ભારત અને બાંગ્લાદેશની વચ્ચે રાજદ્વારી સંબંધોમાં તણાવ વધતો જોવા મળી રહ્યો છે. મંગળવારે ભારતે બાંગ્લાદેશના હાઈ કમિશનર રિયાજ હમીદુલ્લાને સમન મોકલ્યું છે. આ સમન એક અઠવાડિયામાં બીજી વખત મોકલવામાં આવ્યું છે, જ્યારે ભારતીય વિદેશ મંત્રાલયે બાંગ્લાદેશી રાજદૂતને બોલાવીને પોતાના તરફથી વાંધો વ્યક્ત કર્યો છે.
સુરક્ષાના પડકારો ઉભા કરવાની ખુલ્લેઆમ વાતો
આ પગલું એવા સમયે ઉઠાવવામાં આવ્યું છે, જ્યારે થોડા કલાક પહેલા જ બાંગ્લાદેશના વિદેશ મંત્રાલયે નવી દિલ્હીમાં ભારતીય હાઈ કમિશનર પ્રણય વર્માને સમન્સ પાઠવવામાં આવ્યા હતા અને ભારતમાં બાંગ્લાદેશી રાજદ્વારી મિશનની બહારની ઘટનાઓ પર “ગંભીર ચિંતા” વ્યક્ત કરવામાં આવી હતી. વિદેશ મંત્રાલયે સ્પષ્ટ કર્યું કે બાંગ્લાદેશી હાઈ કમિશનરને ઢાકામાં બગડતી સુરક્ષાની સ્થિતિ અને ત્યાં સ્થિત ભારતીય હાઈ કમિશનરને મળી રહેલી સંભવિત ધમકીઓને લઈ ભારતની ગંભીર ચિંતાથી અવગત કરાવવામાં આવ્યા. MEAએ કહ્યું કે કેટલાક કટ્ટરપંથ તત્ત્વ ભારતીય મિશનની આસપાસ સુરક્ષાના પડકારો ઉભા કરવાની ખુલ્લેઆમ વાતો કરી રહ્યા છે.
સિલિગુડી વિઝા કેન્દ્રમાં થયેલી તોડફોડ પર ગંભીર ચિંતા વ્યક્ત કરી
ભારતે ગયા અઠવાડિયે જ હમીદુલ્લાને બોલાવીને ઢાકામાં ભારતીય મિશનોની સુરક્ષાને લઈ ચિંતા વ્યક્ત કરી હતી. ત્યારે બાંગ્લાદેશે ભારતીય રાજદૂત પ્રણય વર્માની સામે દિલ્હી સ્થિતિ પોતાના હાઈ કમિશનની બહાર થયેલા વિરોધ પ્રદર્શનો અને સિલિગુડી વિઝા કેન્દ્રમાં થયેલી તોડફોડ પર ગંભીર ચિંતા વ્યક્ત કરી. ભારતે બાંગ્લાદેશમાં તાજેત્તરમાં થયેલી ઘટનાઓને લઈને ફેલાવવામાં આવી રહેલા ખોટા અને ભ્રામક નેરેટિવને વખોડ્યા છે અને કહ્યું કે અંતરિમ સરકારે અત્યાર સુધી ન તો તપાસ કરી છે ના તો કોઈ કોઈ નક્કર પુરાવા ભારત સાથે શેર કર્યા છે.
શરીફ ઉસ્માન હાદીની હત્યા બાદ માહોલ તણાવભર્યો
ઉલ્લેખનીય છે કે બાંગ્લાદેશમાં કટ્ટરપંથી નેતા શરીફ ઉસ્માન હાદીની હત્યા બાદ માહોલ તણાવભર્યો છે. પ્રદર્શનકારીઓએ કોઈ પુરાવા વગર આ હત્યાની પાછળ ભારતીય હાથ હોવાનો દાવો કર્યો છે અને ભારે હિંસા કરી છે. જો કે આ દાવાને તેમની જ આર્મીએ રદ કરી દીધો છે. જો કે સ્થિતિ વધુ ત્યારે વણસી જ્યારે મેમનસિંહમાં એક હિન્દુ મજૂર દીપુ ચંદ્ર દાસને કથિત રીતે ભીડ દ્વારા માર મારીને હત્યા કરી દીધી અને ત્યારબાદ મૃતદેહને સળગાવી દીધો, આ ઘટનાને લઈ ભારતમાં પણ આક્રોશ જોવા મળી રહ્યો છે.


