રેસકોર્ષ મેદાનમાં ભવ્ય હનુમાન ચાલીસા યુવા કથાનો પ્રારંભ
વિરાણી હાઇસ્કૂલ ખાતેથી હાથી-ઘોડા, વિન્ટેજ કાર, નાસીક ઢોલ, સાંસ્કૃતિક નૃત્યોની ઝલક સાથે ભવ્ય પોથીયાત્રા નીકળી : સાળંગપુર ધામનો અનુભવ કરતા ભાવિકો : સાત દિવસ સુધી વિવિધ ધાર્મિક પ્રસંગો યોજાશે
રાજકોટમાં સતત બીજા વર્ષે રેસકોર્સ મેદાનમાં ભવ્ય હનુમાન ચાલીસા યુવા કથાનું આયોજન કરવામાં આવ્યું છે. આજરોજ બપોરે 2 વાગ્યે હાથી, ઘોડા, વિન્ટેજ કાર અને નાસિક ઢોલ સાથે ભવ્ય પોથીયાત્રાથી નીકળી હતી. 2 જાન્યુઆરી, 2026 સુધી સાળંગપુરધામના સ્વામી હરિપ્રકાશદાસજીના મુખારવિંદથી કથાનું રસપાન કરાવશે. સાત દિવસ સુધી રેસકોર્સમાં સાળંગપુરધામ જેવો માહોલ જોવા મળશે.
150 જેટલા યુવા યજમાનો દ્વારા આયોજિત આ કથા દરેક રાજકોટવાસીને યજમાન બનાવવાના ભાવ સાથે યુવાનોમાં ભારતીય સંસ્કૃતિનું સિંચન કરાવવાના શુભ આશયથી યોજાઈ રહી છે, જ્યાં એકસાથે 50 હજાર લોકો કથા શ્રવણ કરી શકશે. ઉલ્લેખનીય છે કે, દેશ આખું 31st ડિસેમ્બરના રોજ ન્યુયર પાર્ટીનું સેલિબ્રેશન કરશે, જ્યારે આ સમયે રાજકોટના હજારો યુવાનો કથામાં દાદાના જન્મના વધામણાં કરી હનુમાન ચાલીસાના પાઠ કરશે.
આજરોજ બપોરે 2 વાગ્યે વિરાણી હાઈસ્કૂલ મેદાનથી અતિ ભવ્ય અને દિવ્ય પોથીયાત્રાનું નીકળી હતી. આ પોથીયાત્રામાં હાથી, ઘોડા, વિન્ટેજ કાર, નાસિક ઢોલ,અઘોરી નૃત્ય, બાહુબલી હનુમાન, થાર જીપ અને બુલેટ સવારોનું આકર્ષણ જણાવ્યું હતું. આ સાથે નાસિકના ઢોલ-નગારા અને ભારતીય સાંસ્કૃતિક નૃત્યોની ઝલક પણ જામશે. ખાસ હાથીની અંબાડી પોથીયાત્રાની શોભા વધારશે.
આ ઉપરાંત 551 બહેનો મસ્તક પર રામચરિતમાનસની પોથી લઇ યાત્રામાં જોડાઇ હતી. આ પોથી યાત્રા વિરાણી હાઈસ્કૂલ મેદાનથી શરૂ થઈ યાજ્ઞિક રોડ, ઈમ્પિરિયલ હોટલ થઈને, જિલ્લા પંચાયત ચોક અને કિશાનપરા ચોક થઈને રેસકોર્સ ગ્રાઉન્ડમાં પ્રવેશ પામશે. ડી.જે. અને બેન્ડવાજાના તાલે “જય શ્રી રામ”, “જય હનુમાન”, “જય બજરંગબલી”ના ગગનભેદી નાદ સાથે સમગ્ર શહેર ભક્તિમય બની બન્યું હતું.
31 ડિસેમ્બરે હનુમાન જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવશે જેમાં 151 કિલોની કેક, 108 કિલો પુષ્પવર્ષા, ભવ્ય અન્નકૂટ તથા ફૂલ-ફુગ્ગાથી સભામંડપને શોભાવવામાં આવશે. 31મી ડિસેમ્બરની રાત્રે પાશ્ચાત્ય સંસ્કૃતિના બદલે હનુમાન દાદાની આરાધના સાથે યુવાનો નવા વર્ષને વધાવશે એવું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. દાદાના જન્મદિવસને વધાવવા માટે અત્યારથી યુવાનોમાં અનોખો થનગનાટ જોવા મળી રહ્યો છે.
2 જાન્યુઆરી, 2026ના રોજ પુર્ણાહુતિના દિવસે હનુમાન દાદાને ભવ્ય અન્નકૂટ ધરાવવામાં આવશે. શહેરના બહેનો પોતાના ઘરેથી અલગ-અલગ વાનગીઓ તૈયાર કરી દાદાને ધરાવશે. આ તમામ વાનગીઓ સ્વયં સેવક ભાઈઓ તથા બહેનો અન્નકૂટ સ્વરૂપે શણગારશે અને પ્રસાદ સ્વરૂપે ભાવિકોને વિતરણ કરવામાં આવશે.
25 હજારથી વધુ સ્વયંસેવકો સેવા આપશે
આ કથાનું આયોજન સમગ્ર રાજકોટ શહેરના 150 જેટલા યુવા યજમાનો દ્વારા કરવામાં આવ્યું છે અને કથાના આયોજક કોઈ વ્યક્તિ નહિ પરંતુ, દરેક રાજકોટવાસી પોતે છે એવા ભાવ સાથે યુવાનોમાં ભારતીય સંસ્કૃતિનું સિંચન કરાવવાના શુભ આશયથી સતત બીજા વર્ષે ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. અહીંયા દરરોજ એક સાથે 50,000 લોકો બેસી અને કથા શ્રવણ કરી શકે તે માટેનું આયોજન કરવામાં આવ્યું છે, જેમને સ્થળ પર જ પાણી અને ફૂડ પેકેટની પણ વ્યવસ્થા કરવામાં આવી છે આ માટે 2500થી વધુ સ્વયં સેવકો જહેમત ઉઠાવી રહ્યા છે.
5 લાખ પ્રસાદના પેકેટનું વિતરણનો ટાર્ગેટ
સ્વયંસેવક ભાઈઓ-બહેનો દ્વારા 5 લાખ પ્રસાદની કીટ તૈયાર કરવામાં આવી છે. કથા સાંભળવા આવતા તમામ ભાવિક ભક્તોને પ્રસાદ મળી રહે તે માટે વ્યવસ્થા કરવામાં આવી છે. યુવા કથા સમિતિ દ્વારા 5 લાખ જેટલા પ્રસાદના પેકેટનું વિતરણ કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. આ સાથે કથા સાંભળવા આવતા તમામ લોકોને જગ્યા પર જ પાણી મળે એવી વ્યવસ્થા કરવામાં આવી છે.


