દબાણ હટાવ નોટિસ સામે હાઈકોર્ટમાં 3 પિટિશન દાખલ : કલેક્ટર કચેરીમાં આજથી હીયરિંગ શરૂ
રહીશોની જંત્રી મુજબ મકાનો કાયદેસર કરવાની માંગ : આગામી ૧૦ જાન્યુઆરીએ રાજકોટ પધારતા પીએમ નરેન્દ્ર મોદી સમક્ષ જંગલેશ્વરનો પ્રશ્ન મૂકવા તૈયારી
રાજકોટની આજી નદીના કાંઠે આવેલ જંગલેશ્વર વિસ્તારમાં તંત્ર દ્વારા ડિમોલેશન અંગેની નોટીસ ફટકારવામાં આવી હતી. આ નોટીસના કારણે જંગલેશ્વર સહિત સમગ્ર શહેરમાં ખળભળાટ મચી ગયો હતો. જેનો જોરશોરથી વિરોધ કરવામાં આવ્યો હતો. તંત્ર દ્વારા ૧3૫૦ આસામીઓને નોટીસ ફટકારાયા બાદ કેવિએટ દાખલ કરવામાં આવી હતી. આજથી તંત્ર દ્વારા નોટીસ આપેલા આસામીઓનું હિયરીંગ શરૂ કરવામાં આવ્યું છે. આજે પ્રથમ દિવસે ૫૯૦થી વધુ આસામીઓને કચેરી ખાતે બોલાવી તેઓના નિવેદનો નોંધવામાં આવ્યા હતાં. આગામી ત્રણ દિવસ સુધી હિયરીંગ કરવામાં આવશે. તાજેતરમાં કોંગ્રેસ દ્વારા જાહેર સભા કરવામાં આવી હતી અને કોંગ્રેસ પક્ષ દ્વારા લત્તાવાસીઓને ન્યાય અપાવવામાં આવશે તેવી સ્થાનિકો દ્વારા લાગણી વ્યકત કરવામાં આવી છે. આગામી 10 થી 12 જાન્યુઆરી દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અહીં આવી રહ્યા છે ત્યારે તેમને રજૂઆત કરવા માટે પણ અમે જશું તેમ જણાવ્યું હતું.
રાજકોટમાં આજી નદીના કાંઠે રિવરફ્રન્ટ બનાવવા માટે સરકારી જમીન પરના 1350 જેટલા દબાણો દૂર કરવા માટેની નોટિસ આપવામાં આવી હતી. જેમાં આજે પ્રથમ દિવસે 590 મિલકત ધારકોને હિયરિંગ માટે બોલાવવામાં આવ્યા છે. જેઓની માંગણી છે કે જંત્રી પ્રમાણે મકાન અને દુકાન કાયદેસર કરી આપવામાં આવે અને ઘરની છત છીનવવામાં ન આવે. જો અમારા પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે તો આગામી 10 જાન્યુઆરીના આવનારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સમક્ષ રજૂઆત કરવામાં આવશે.
રાજકોટ પૂર્વ વિભાગના મામલતદાર નિલેશ અજમેરાએ જણાવ્યું હતું કે, 1350 લોકોને નોટિસ આપવામાં આવી છે. જેમાંથી પ્રથમ દિવસે 590 લોકોને હીયરિંગ માટે બોલાવવામાં આવ્યા છે. જેમાં જે લોકો ગેરહાજર રહેશે તેઓને ત્રણ તક આપવામાં આવશે અને ત્યારબાદ કલમ 202 મુજબ ડિમોલિશન માટેની ફાઈનલ નોટિસ આપવામાં આવશે. બીજા દિવસે 540 અને ત્રીજા દિવસે 260 મિલકત ધારો કોને બોલાવવામાં આવ્યા છે. જેમના દ્વારા લાઈટ બિલ અને વેરાબીલ રજૂ કરવામાં આવી રહ્યા છે. જેની તપાસણી બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે જંગલેશ્વરમાં સ્થાનિકોને નોટીસ ફટકારવામાં આવી હતી ત્યારબાદ આસામીઓ દ્વારા હાઇકોર્ટમાં પીટીશન દાખલ કરવામાં આવી છે. આ પીટીશનની સુનાવણી અંગે પણ હાલ જંગલેશ્વરવાસીઓ રાહ જોઇ રહ્યાં છે ત્યારે તંત્ર દ્વારા હિયરીંગ શરૂ કરવામાં આવતાં જંગલેશ્વરના સ્થાનિકોમાં કચવાટ ફેલાયો છે અને આ બાબતે તેઓને 3૦ દિવસનો સમય આપવામાં આવે તેવી રજુઆત હિયરીંગમાં કરવામાં આવી છે.
નોંધનીય છે કે હાઇકોર્ટમાં કરેલી પીટીશનમાં જંગલેશ્વર વાસીઓએ જણાવ્યું હતું કે રાજકોટ શહેરના જંગલેશ્વર વિસ્તાર અને આજુબાજુના રહેણાક વિસ્તાર જેવાકે ભીમનગર, યોગેશ્વર ચોક, ખોડિયારમંદિર, રાધાક્રષ્ણનગર, વેલનાથચોક, વિક્રમચોક, બુદ્ધનગર, નાડોદાનગર હોય જેમાં કોઈ ગેરકાયદેસર કબજો કરેલ ન હોય કે કોઈ સરકારી જમીન દબાણ કરેલ ન હોય આથી આપ સાહેબને જણાવીએ કે આ રહેણાક વિસ્તારમાં છેલ્લા ૫૦ થી ૬૦ વર્ષ આપના દ્વારા આપવામાં આવેલ દસ્તાવેજી પુરાવામાં રેશનકાર્ડ ધરાવીએ છીએ તે ઉપરાંત આપના દ્વારા ચુંટણીકાર્ડ, આધારકાર્ડ અને આવકના દાખલા દસ્તાવેજી પુરાવા રૂપે ધરાવીએ છીએ. તે ઉપરાંત રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જંગલેશ્વર વિસ્તારને ઘર નંબર સહીત ટેક્સબીલ, જન્મ-મરણ નોંધો તેમજ વોટર ટેક્સ બીલ તેમજ રોશની વિભાગ દ્વારા લાઈટબીલ સહીતના દસ્તાવેજો જે સાથે ઉતરો-ઉતર રહેણાક મકાન લે-વેચના નોટરીરાઈઝ દસ્તાવેજો ધરાવીએ છીએ. જેથી કરીને આ રહેણાક વિસ્તાર કોઈ ગેરકાઈદેસર દબાણ કે ગેરકાયદેસર કબજો કરેલ નથી. જેથી ન્યાયીક કાર્યવાહી કરવામાં આવે.
આશરો નહી હોય તો અમે કયાં રહીશું : સ્થાનિક
જંગલેશ્વર શેરી નંબર – 30 માં રહેતા ઉમર સોરાએ જણાવ્યું હતું કે, અમે અહીં પરિવાર સાથે રહીએ છીએ. જેમાં વર્ષ 1976 પહેલાના લાઈટ બિલ અને વેરા બિલ છે. આજી રિવરફ્રન્ટ બનાવવા માટે ડિમોલિશન કરવું એ યોગ્ય નથી. અમારા ઘર પરથી છત છીનવાય તો અમે રહેવા માટે ક્યાં જશું? જેથી અમને જંત્રી મુજબ મકાન કાયમી કરાવી આપવામાં આવે અથવા આવાસ ફાળવણી કરવામાં આવે.


