ખોખરી ગામે વોકળામાંથી પરપ્રાંતીય મજૂર અને નાનકડા દીકરાના મૃતદેહ મળ્યા
ત્રણ દિવસથી લાપતા પિતા-પુત્રની કોહવાયેલી હાલતમાં લાશ મળી, મોત પાછળ અકસ્માત કે અન્ય કારણ? તપાસ યથાવત
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાના ખોખરી ગામે વોકળામાંથી પિતા અને 6 વર્ષના પુત્રના કોહવાયેલી હાલતમાં મૃતદેહ મળતાં સમગ્ર વિસ્તારમાં શોક અને ચકચાર ફેલાઈ છે. ત્રણ દિવસથી ગુમ થયેલા પિતા-પુત્રની શોધખોળ ચાલી રહી હતી, તે દરમિયાન ગઈકાલે મોડી રાત્રે વોકળામાંથી બંનેના મૃતદેહ મળી આવ્યા હતા. બનાવની જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને બંને મૃતદેહને બહાર કાઢી ફોરેન્સિક પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.
પડધરી તાલુકો ખોખરી ગામ
પોલીસ પાસેથી મળેલી માહિતી મુજબ, ખોખરી ગામે અનિરુદ્ધસિંહ જાડેજાની વાડીમાં મધ્યપ્રદેશનો ડાવર પરિવાર છેલ્લા કેટલાક સમયથી ખેતમજૂરીનું કામ કરતો હતો. આ પરિવારમાં રાજેશભાઈ જુવાનસીંગ ડાવર (ઉંમર 27), તેમની પત્ની રેણુકા ડાવર અને 6 વર્ષનો પુત્ર અરુણ રાજેશભાઈ ડાવરનો સમાવેશ થતો હતો. ગત 16 જાન્યુઆરીના રોજ રાજેશભાઈ દારૂ પીધેલી હાલતમાં ઘરે આવ્યા હતા અને પત્ની સાથે બોલાચાલી થયા બાદ ઘરેથી નીકળી ગયા હતા. ત્યારબાદ પિતા અને પુત્ર બંને ગુમ થયાની જાણ પરિવાર દ્વારા પોલીસને કરવામાં આવી હતી.
ત્રણ દિવસ સુધી બંનેની કોઈ ભાળ ન મળતાં પરિવારજનોમાં ચિંતા વ્યાપી ગઈ હતી. દરમિયાન ગઈકાલે મોડી રાત્રે ખોખરી ગામની સીમમાં આવેલા વોકળામાંથી દુર્ગંધ આવતાં સ્થાનિક લોકોએ તપાસ કરી હતી. તપાસ દરમિયાન વોકળામાં બે મૃતદેહ નજરે પડતાં તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસ અને ગ્રામજનોની મદદથી બંને મૃતદેહને બહાર કાઢવામાં આવ્યા હતા, જે કોહવાયેલી હાલતમાં હતા. ઓળખ કરવામાં આવતા તે રાજેશ ડાવર અને તેમના પુત્ર અરુણ હોવાનું બહાર આવ્યું.
બનાવની ગંભીરતા જોતા પોલીસે બંને મૃતદેહને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડ્યા છે.
રાજકોટ સિવિલ હોસ્પિટલ પોલીસની પ્રાથમિક તપાસમાં એવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે કે બાળક વોકળામાં ન્હાવા પડ્યો હશે અને તેને બચાવવા જતા પિતા રાજેશભાઈ પણ વોકળામાં ઝંપલાવ્યા હોય, જેના કારણે બંને ડૂબી ગયા અને મોત નિપજ્યું. જો કે, આ ઘટના અકસ્માત છે કે તેમાં કોઈ અન્ય કારણ સંકળાયેલું છે તે દિશામાં પણ પોલીસે તપાસ શરૂ કરી છે.
પોલીસ અધિકારીઓનું કહેવું છે કે પોસ્ટમોર્ટમ અને ફોરેન્સિક રિપોર્ટ મળ્યા બાદ જ મોતનું ચોક્કસ કારણ સ્પષ્ટ થઈ શકશે. હાલ તો પરિવારના નિવેદનો, ઘટનાસ્થળની પરિસ્થિતિ અને અગાઉના ઘટનાક્રમના આધારે તપાસ આગળ ધપાવવામાં આવી રહી છે. આ કરુણ ઘટનાએ ખોખરી ગામમાં શોકનું માહોલ સર્જી દીધું છે, જ્યારે પિતા સાથે માસૂમ બાળકના મોતથી દરેકની આંખો ભીની થઈ ગઈ છે.


