BAPS સંસ્કારધામ મંદિર મૂર્તિપ્રતિષ્ઠા મહોત્સવ ભવ્ય રીતે યોજાયો
ચંદન પાર્કમાં રંગીલા રાજકોટનું સંસ્કાર અને સંસ્કૃતિનું નવું કેન્દ્ર રચાયું
નગરયાત્રા, અન્નકૂટ સહિતના વિવિધ કાર્યક્રમો યોજાયા
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ શહેરના ધાર્મિક અને સાંસ્કૃતિક જીવનમાં એક ઐતિહાસિક પળનો ઉમેરો થયો જ્યારે બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થા દ્વારા ચંદન પાર્ક વિસ્તારમાં નૂતન સંસ્કારધામનું ભવ્ય નિર્માણ અને મૂર્તિપ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું. રંગીલા રાજકોટના રૈયા રોડ સ્થિત RMC ગ્રાઉન્ડ, પ્રમુખસ્વામી ઑડિટોરિયમની બાજુમાં યોજાયેલ આ મહોત્સવે શહેરમાં આધ્યાત્મિક ઉર્જાનો અનોખો સંચાર કર્યો હતો અને ભક્તિભાવથી ઓતપ્રોત વાતાવરણ સર્જાયું હતું.
આ પવિત્ર પ્રસંગની શરૂઆત વૈદિક પરંપરાઓ મુજબ યોજાયેલા યજ્ઞથી થઈ હતી. યજ્ઞમાં હરિભક્તોએ મોટી સંખ્યામાં હાજરી આપી અને શ્રદ્ધાભાવે અહૂતિ અર્પણ કરી હતી. સમગ્ર વાતાવરણ મંત્રોચ્ચાર અને ધૂપ-દીપની સુગંધથી આધ્યાત્મિક બની ગયું હતું, જે ભક્તોના હૃદયમાં શાંતિ અને પવિત્રતાનો અનુભવ કરાવતું હતું. બપોરે ૫:૦૦ કલાકે ભવ્ય નગરયાત્રાનો પ્રારંભ થયો, જે મહોત્સવનું મુખ્ય આકર્ષણ બની રહી. નગરયાત્રામાં ભગવાન સ્વામિનારાયણ અને ગુણાતીતાનંદ સ્વામીની મૂર્તિઓને ભવ્ય રથમાં સુશોભિત કરવામાં આવી હતી, જ્યારે રાધા-કૃષ્ણ ભગવાનની મૂર્તિઓ મયુર આકારના આકર્ષક રથમાં અલંકૃત થઈ હતી. આ દિવ્ય રથો ભક્તો માટે દર્શનનો અદભૂત અવસર બની રહ્યા. નગરયાત્રા દરમ્યાન ભક્તોએ ઉત્સાહ અને ભક્તિ સાથે ગુરુપરંપરા, ગણપતિજી અને હનુમાનજીના રથોને ખેંચી અનોખી સેવા અર્પણ કરી હતી, જે સૌ માટે પ્રેરણારૂપ બની રહી.
ચંદન પાર્ક ખાતે યોજાયેલી નગર યાત્રા કાર્યક્રમમાં ગણમાન્ય મહેમાનોની ઉપસ્થિતિ રહી હતી. આ પ્રસંગે મહિલા મુખ્ય મહેમાન માં ધારાસભ્ય ડૉ. દર્શિતાબેન શાહ હાજર રહ્યા હતા.તેમજ વોર્ડ નંબર 9ના કોર્પોરેટર જાનકીબેન કટોલીયા, દક્ષાબેન વાસાણી અને શહેર ભાજપ મંત્રી અરુણાબેન પરમાર પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. નગરયાત્રામાં રજૂ કરાયેલા વિવિધ આકર્ષક ફ્લોટ્સે સમાજને વ્યસનમુક્તિ, પારિવારિક એકતા અને સંસ્કારપૂર્ણ જીવનશૈલીના પ્રેરક સંદેશો આપ્યા. બાળ-બાલિકાઓ અને યુવાઓ દ્વારા કરવામાં આવેલી જીવંત પ્રસ્તુતિઓએ સમગ્ર યાત્રાને ઉત્સાહ અને ઊર્જાથી ઓતપ્રોત બનાવી દીધી. બહેનો ગામઠી વેશભૂષામાં બેડા સાથે, ઘરચોળા અને પરંપરાગત પહેરવેશમાં, સાફા સાથે સ્કૂટર રેલીમાં, ધજા-બેનરો સાથે તેમજ મરાઠી ડ્રેસમાં લેઝીમ પ્રસ્તુતિ આપતા જોડાયા હતા. ચણિયાચોળીમાં સજ્જ યુવતીઓએ ગરબા અને દાંડિયા રજૂ કર્યા, જ્યારે મહિલાઓએ જવારા લઈ, કીર્તન-ભજન અને કરતાલ સાથે ભક્તિભાવ પ્રગટાવ્યો. ગ્રામજનો અને શહેરવાસીઓના ઉમંગભર્યા સહભાગથી સમગ્ર વિસ્તાર આધ્યાત્મિક અને સાંસ્કૃતિક રંગે રંગાઈ ગયો હતો.
સાંજે ૭:૩૦ કલાકે યોજાયેલી જાહેર સભામાં વિશેષ કાર્યક્રમો યોજાયા. આ પ્રસંગે પ્રદેશના અગ્રણીઓ અને આગેવાનો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા, જેમાં જયરાજસિંહ જાડેજા અને પરેશભાઈ ઠાકર (કોર્પોરેટર, વોર્ડ નં. ૧), ડૉ. અલ્પેશ મોરજારિયા (પૂર્વ કોર્પોરેટર), નાગજીભાઈ વરૂ (મહામંત્રી, ભાજપ) તેમજ ચંદન પાર્ક રોઝરી સ્કૂલના સંચાલક વિશાલભાઈ વરીયા ઉપસ્થિત રહ્યા હતા. મહીલા વિભાગમાંથી અંજના બહેન મોરજારિયા અને સેજલબેન ચૌધરી (કોર્પોરેટર, વોર્ડ નં. ૧) ની વિશેષ હાજરી રહી હતી.
ચંદનપાર્કના સંસ્કારધામ ખાતે મૂર્તિઓની વેદોક્ત વિધિથી ભવ્ય પ્રતિષ્ઠા સંપન્ન થઈ. વહેલી સવારથી જ સમગ્ર પરિસર ભક્તિ, શ્રદ્ધા અને દિવ્યતાના અનોખા માહોલથી ઓતપ્રોત બન્યું, જ્યાં ઉપસ્થિત દરેક ભાવિકે અલૌકિક શાંતિ અને આનંદનો અનુભવ કર્યો. પૂજ્ય સંતોના પવિત્ર માર્ગદર્શન હેઠળ ષોડશોપચાર વિધિથી પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવી અને ત્યારબાદ ભક્તો માટે મંદિરના દ્વાર ખુલ્લા મુકાયા. આ પ્રસંગે ભગવાન સમક્ષ ભવ્ય અન્નકૂટ ધરાવવામાં આવ્યો, જેમાં ૨૮૩થી વધુ વિવિધ વાનગીઓ-મીઠાઈ, ફરસાણ, ફળો, મુખવાસ, જ્યુસ, કોલ્ડ્રીંક્સ, કેક તથા કલાત્મક ફ્રૂટ-વેજીટેબલ કાર્વિંગ્સ વગેરે સજાવીને ભક્તિભાવથી અર્પણ કરવામાં આવી. આરતી અને ભજન સાથે સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ઉઠ્યું. શહેરના અગ્રેસરો, મહાનુભાવો અને અનેક હરિભક્તોની વિશાળ ઉપસ્થિતિએ પ્રસંગને વિશેષ ભવ્યતા આપી. પ્રભુદર્શન, સંતોના આશીર્વાદ અને પ્રસાદથી સૌએ આત્મિક તૃપ્તિ અને ધન્યતા અનુભવી હતી.
મંદિર માત્ર ઉપાસનાનું સ્થાન નહીં, પરંતુ સંસ્કાર, શાંતિ અને જીવન પરિવર્તનનું કેન્દ્ર છે, આ જ ભાવનાથી નૂતન સંસ્કારધામ સમાજને સમર્પિત કરવામાં આવ્યું છે, જેથી સંસ્કારી સમાજ અને સુખી પરિવારનું નિર્માણ થાય. ભારતીય સંસ્કૃતિની ધરોહર સમા સંસ્કારધામો દ્વારા થનાર અનેક સમાજ ઉપયોગી કાર્યોમાં યશભાગી બનવા માટે રાજકોટ મંદિરના કોઠારી પૂજ્ય બ્રહ્મતીર્થ સ્વામી અને પૂજ્ય અપૂર્વમુનિ સ્વામી દ્વારા સર્વે ભાવિક ભક્તજનોને પહેલ કરવામાં આવી છે.


