રાંદરડા તળાવમાંથી મળેલી લાશનો કેસ ગરમાયો : ન્યાય નહીં મળે તો સામૂહિક આપઘાતની ચીમકી
મારા પુત્રની હત્યા કરાવવામાં આવી છે, પત્ની, સાસુ અને અન્ય લોકો સામે ગંભીર આરોપો, પોલીસે તપાસ તેજ કરી
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ શહેરના પ્રદ્યુમનનગર પાર્ક નજીક આવેલા રાંદરડા તળાવમાંથી એક યુવકનો મૃતદેહ મળી આવતાં વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે. ઘટનાની જાણ થતાં આજીડેમ પોલીસનો કાફલો સ્થળ પર દોડી ગયો હતો અને મૃતદેહને બહાર કાઢી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં મૃતકની ઓળખ વિપુલ રાઠોડ તરીકે થઈ છે. જોકે, આ કેસમાં મૃતકના પરિવારજનોએ અકસ્માત કે આત્મહત્યાની શક્યતા નકારી સીધી હત્યાનો આક્ષેપ કરતાં સમગ્ર મામલો વધુ ગંભીર બન્યો છે.
પરિવારના જણાવ્યા અનુસાર, વિપુલ અચાનક ગુમ થયા બાદ તેનો મૃતદેહ શંકાસ્પદ સંજોગોમાં તળાવમાંથી મળી આવ્યો હતો. આ સમાચાર મળતાં જ પરિવારજનોમાં શોક અને આક્રોશની લાગણી ફેલાઈ ગઈ હતી. મૃતકના સ્વજનોએ આરોપ મૂક્યો છે કે વિપુલની પત્ની અને સાસુએ કાવતરું ઘડી તેની હત્યા કરાવી છે. મૃતકની માતા રંજનબેને આંસુભીની આંખે જણાવ્યું હતું કે, વિપુલ સવારે ઘરેથી નીકળ્યો હતો ત્યારે કેટલાક શખ્સો તેને જબરદસ્તી રિક્ષામાં બેસાડી લઈ ગયા હતા. બપોર સુધી ઘરે પરત ન ફરતા પરિવાર ચિંતિત બન્યો હતો. ત્યારબાદ જાણ થઈ હતી કે સાગરનગર વિસ્તારમાં તેના પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો.
માતાના આક્ષેપ મુજબ, હુમલાખોરોએ ઈંટ, લાકડાં અને પાઈપ જેવા સાધનોથી વિપુલને માર માર્યો હતો. હુમલા દરમિયાન તે પોતાનો જીવ બચાવવા માટે વિનંતી કરતો રહ્યો હતો, છતાં હુમલાખોરોએ તેને છોડ્યો નહોતો. તેમણે કિશન મુના અને તેના સાગરીતો સામે શંકા વ્યક્ત કરી છે. સાથે જ વિપુલની પત્ની અને સાસુએ સમગ્ર કાવતરું રચ્યું હોવાનો આરોપ પણ લગાવ્યો છે. મૃતકની બહેન કિરણબેને પણ અનેક ગંભીર આક્ષેપો કર્યા હતા. તેમના જણાવ્યા પ્રમાણે, વિપુલને પરાણે રિક્ષામાં બેસાડી સાગરનગર લઈ જવામાં આવ્યો હતો, જ્યાં તેને ઢોરમાર મારવામાં આવ્યો હતો. હુમલામાં તેના હાથ-પગ તેમજ જીભને ગંભીર ઈજાઓ પહોંચી હોવાનું તેમણે જણાવ્યું હતું. પરિવારને શંકા છે કે વિપુલની પત્ની પાયલ, સાસુ કૈલાશ, સાળા ઋત્વિક અને કિશન સોલંકી સહિતના લોકો આ સમગ્ર ઘટનામાં સંડોવાયેલા હોઈ શકે છે. પરિવારે વધુમાં દાવો કર્યો હતો કે છેલ્લા દોઢ વર્ષથી વિપુલને સાસરિયા પક્ષ તરફથી માનસિક અને શારીરિક ત્રાસ આપવામાં આવતો હતો. સંતાનોને મળવા જતાં પણ તેને અપમાનિત કરવામાં આવતો હોવાનો આરોપ છે. પત્નીના અન્ય વ્યક્તિ સાથે સંબંધ હોવાની શંકાને કારણે પણ વિવાદ ચાલતો હોવાનો પરિવારનો દાવો છે. ઘટનાને લઈને મૃતકના સ્વજનોએ ચેતવણી આપી છે કે જો તેમના દીકરાને ન્યાય નહીં મળે અને જવાબદારો સામે કડક કાર્યવાહી નહીં થાય તો તેઓ સામૂહિક આપઘાત જેવું પગલું ભરવા મજબૂર બનશે.
આ તરફ આજીડેમ પોલીસે સમગ્ર ઘટનાની ગંભીરતા ધ્યાનમાં રાખી તપાસ શરૂ કરી છે. મૃતદેહને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો છે. પોલીસનું કહેવું છે કે પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને અન્ય વૈજ્ઞાનિક પુરાવાઓના આધારે મોતનું ચોક્કસ કારણ સ્પષ્ટ થશે. હાલ સીસીટીવી ફૂટેજ, કોલ ડિટેઈલ્સ તેમજ પરિવાર દ્વારા કરાયેલા આક્ષેપોના આધારે શંકાસ્પદ લોકોની પૂછપરછ સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.


