રાજકોટ સહિતના મેટ્રો સિટીમાં મકાન ખરીદવું મોંઘુ પડશે
ઘરની કિંમતમાં તા.૧ જુલાઇથી ૭ લાખ સુધીનો વધારો
રહેણાંક પ્રોજેકટમાં પ થી ૧૦ ટકાનો વધારો ઝીંકાશે : ૪૫ લાખમાં મળતુ ઘર ૫૫ લાખ સુધી મોંઘુ થશે
નવા પ્રોજેકટમાં ૧૦ ટકા અને જૂના પ્રોજેકટમાં ૫ ટકાનો વધારો કરાશે : ક્રેડાઇ હાઉસમાં મળેલ બેઠકમાં બિલ્ડર એસો.નો નિર્ણય
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ સહિત રાજયભરમાં સપનાનું ઘર ખરીદવા માંગતા લોકો માટે માઠા સમાચાર છે. હવે ઘરો મોંઘા થશે એવો સ્પષ્ટ સંકેત ગુજરાતના મોટા ડેવલપર્સ અને બિલ્ડરોએ આપી દીધો છે. અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતના ઘર ખરીદવા ઈચ્છતા લોકો માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. આગામી ૧ જુલાઈથી રહેણાંક પ્રોજેક્ટોના ભાવમાં ૫%થી ૧૦% સુધીનો વધારો ઝીંકાઇ શકે છે. તાજેતરમાં મળેલી ગુજરાતના તમામ મોટા ડેવલપર્સની એક મહત્ત્વપૂર્ણ બેઠકમાં આ આકરો નિર્ણય લેવાયો છે.
ડેવલપર્સના જણાવ્યા અનુસાર, છેલ્લા કેટલાક મહિનાઓથી બાંધકામ ખર્ચ સતત વધી રહ્યો હોવાથી હવે જૂના ભાવે પ્રોજેક્ટ પૂરા કરવા અશક્ય બન્યા છે, જેના કારણે કિંમતો વધારવી અનિવાર્ય બની ગઈ છે. નિષ્ણાતોની માનીએ તો પહેલાં જે નવું ઘર અમદાવાદમાં 45 લાખમાં મળતું હતું, 1 જુલાઈ પછી તેની કિંમત લગભગ 52 થી 55 લાખની આસપાસ પહોંચી શકે છે. ખુદ ડેવલપર્સે જ માલ-મટિરિયલની વધતી કિંમતોને કારણે આ સંકેત આપી દીધો છે.
છેલ્લા ચાર મહિનામાં સિમેન્ટ, સ્ટીલ, ટાઇલ્સ અને એલ્યુમિનિયમ જેવી પાયાની બાંધકામ સામગ્રીના ભાવમાં ૨૫%થી લઈને ૬૦% સુધીનો મોટો ઉછાળો નોંધાયો છે. આ ઉપરાંત, મજૂરી ખર્ચ (લેબર કોસ્ટ) અને ટ્રાન્સપોર્ટેશનના ભાડામાં પણ નોંધપાત્ર વધારો થયો છે. આ તમામ પરિબળોને કારણે રિયલ એસ્ટેટ પ્રોજેક્ટ્સનો કુલ બાંધકામ ખર્ચ (કોસ્ટ ઓફ કન્સ્ટ્રક્શન) અંદાજે ૨૦%થી ૨૫% જેટલો વધી ગયો છે, જે આખરે ગ્રાહકોના માથે તોળાશે.
આ નિર્ણયની સૌથી ગંભીર અસર નવા લોન્ચ થનારા પ્રોજેક્ટ્સ પર જોવા મળશે. અંદાજે ૭૫% જેટલા નવા પ્રોજેક્ટ્સમાં સીધો ભાવવધારો લાગુ થશે. જે પ્રોજેક્ટ્સનું પ્લાનિંગ થઈ ગયું છે પરંતુ હજુ વેચાણ શરૂ થયું નથી, તેને નવી ઊંચી કિંમતો સાથે બજારમાં મૂકવામાં આવશે. અમદાવાદના વિવિધ વિસ્તારોમાં જે નવી સ્કીમો શરૂ થવાની તૈયારીમાં છે, ત્યાં ઘર ખરીદનારાઓએ હવે વધુ બજેટ રાખવું પડશે.
જે પ્રોજેક્ટ્સનું કામ અંતિમ તબક્કામાં છે અથવા જે ટૂંક સમયમાં પઝેશન (કબ્જો) આપવાના છે, તેમાં ડેવલપર્સે થોડી રાહત આપી છે. આવા પ્રોજેક્ટ્સમાં સરેરાશ ૫% જેટલો મર્યાદિત વધારો થશે, જ્યારે શરૂઆતના તબક્કાના પ્રોજેક્ટ્સમાં પૂરેપૂરો ૧૦% વધારો થશે. ઉદાહરણ તરીકે, જે ફ્લેટ કે મકાનની કિંમત હાલ ૫૦ લાખ રૂપિયા છે, તે ૧ જુલાઈ પછી ૫૨.૫ લાખથી ૫૫ લાખ રૂપિયાનો થઈ જશે. આમ, ગ્રાહકે સીધા ૨.૫ લાખથી ૫ લાખ રૂપિયા વધુ ચૂકવવા પડશે.
આ ભાવવધારો મધ્યમ વર્ગના ખિસ્સા પર સીધી અસર કરશે. હાલમાં ૪૫ લાખ રૂપિયા સુધીની કિંમતના ઘરો એફોર્ડેબલ હાઉસિંગની કેટેગરીમાં આવે છે, જેનાથી ખરીદદારોને સરકારી યોજનાઓના લાભ મળે છે. જો કિંમતો વધીને ૭૫ લાખ રૂપિયા સુધી પહોંચી જશે, તો સામાન્ય પરિવારો માટે હોમ લોન અને નાણાકીય આયોજન કરવું અત્યંત પડકારજનક બની રહેશે.
બજાર અને ગ્રાહકો પર શું પડશે અસર?
અમદાવાદમાં મેટ્રો, નવા રોડ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરના કારણે પ્રોપર્ટીની માંગ પહેલેથી જ ઊંચી છે. નિષ્ણાતોના મતે, આ ભાવવધારાથી ટૂંકા ગાળા માટે ખરીદીમાં થોડી નરમાઈ આવી શકે છે. જોકે, બીજી તરફ ૧ જુલાઈના વધારાથી બચવા માટે ઘણા ગ્રાહકો ચાલુ જૂન મહિનામાં જ એડવાન્સ બુકિંગ કરાવી લે તેવી પૂરી શક્યતા છે. તેથી, નવા ઘરમાં રોકાણ કરવા ઈચ્છતા લોકો માટે ૧ જુલાઈ પહેલાં નિર્ણય લેવો વધુ ફાયદાકારક સાબિત થશે.
ઉલ્લેખનીય છેકે, વર્ષ 2017થી ગુજરાતમાં એફોર્ડેબલ 45 લાખની કિંમત પર સરકાર દ્વારા 1 ટકા GST લગાવવામાં આવે છે. રિયલ એસ્ટેટ સેક્ટર દ્વારા માંગ કરવામાં આવી છેકે, સરકાર GSTમાં 45 લાખની રેન્જને વધારે 75 લાખ કરી દે. જો આ માંગણી સ્વીકારાય તો ઘર ખરીદના મીડલ ક્લાસને તેનો ફાયદો થઇ શકે છે.
સપ્લાય ચેઈન ખોરવાતાં પ્રોજેક્ટ કોસ્ટમાં વધારો
સંસ્થાના ચેરમેન રાજેશભાઈ વાસવાનીએ જણાવ્યું હતુ કે, મધ્ય પૂર્વ એશિયામાં યુદ્ધની પરિસ્થિતિના કારણે બિલ્ડીંગ્સમાં ઉપયોગી રો મટીરીયલ્સની સપ્લાય ચેઈન ખોરંભે પડી છે. આ આંતરરાષ્ટ્રીય તણાવને લીધે આયાતી સામગ્રીના ખર્ચમાં મોટો ઉછાળો આવ્યો છે અને રો-મટીરિયલના ભાવમાં 20%થી લઈને 60% જેટલો તોતિંગ વધારો નોંધાયો છે. બાંધકામમાં વપરાતા મુખ્ય મટીરીયલ્સના ભાવમાં આશરે 30%થી 50% જેટલો ધરખમ ભાવ વધારો થયેલ છે અને હજુ પણ આ વધારો ચાલુ જ છે, જેના પરિણામે પ્રોજેકટ કોસ્ટ ખૂબ વધી ગઈ છે. જો આ યુદ્ધ લાંબુ ચાલશે, તો આગામી 6થી 12 મહિનામાં બાંધકામ ઉદ્યોગ પર આનાથી પણ વધુ ગંભીર અસરો થઈ શકે છે.
રેરાના નિયમો અને પઝેશનમાં વિલંબથી બિલ્ડરો પર આર્થિક બોજો
સામાન્ય રીતે જ્યારે કોઈ પ્રોજેક્ટ અમલમાં આવે ત્યારે રેરા (RERA)ના નીતિ નિયમો મુજબ પઝેશન માટેની સમય મર્યાદા નક્કી કરવામાં આવે છે. જો નિયત સમય મર્યાદામાં ગ્રાહકોને પઝેશન ન અપાય તો રેરાના નિયમો મુજબ બિલ્ડરોને દંડ થવાની જોગવાઈ છે. આમ, એક તરફ કાચો માલ મોંઘો થયો છે અને બીજી તરફ કામ પૂરું કરવામાં વિલંબ થઈ રહ્યો છે, જેથી રિયલ એસ્ટેટ વ્યવસાયકારો માટે હાલમાં બધી જ બાજુથી આર્થિક બોજો સહન કરવાની પરિસ્થિતિ ઉદ્ભવી છે.


