પત્રકારત્વ અને હિન્દી ભવનના સંયુક્ત ઉપક્રમે યોજાયો કાર્યક્રમ
‘વિભાજન વિભિષિકા સ્મૃતિ દિવસ’ નિમિત્તે વિશિષ્ટ વ્યાખ્યાન યોજાયું
અગ્ર ગુજરાત, રાજકોટ
પત્રકારત્વ ભવન અને હિન્દી ભવન, સૌરાષ્ટ્ર યુsનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે ‘‘વિભાજન વિભિષિકા સ્મૃતિ દિવસ’ નિમિત્તે એક વિશિષ્ટ વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું હતું. પત્રકારત્વ ભવન, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં વિધાર્થીઓ સમક્ષ વિભાજનના ઇતિહાસ, તેની સામાજિક અસરો તથા તે સમયગાળાની માનવીય સંવેદનાઓ અંગે વિસ્તૃત માહિતી રજૂ કરવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં વરિષ્ઠ પત્રકાર અને લેખક રાજુલભાઈ દવે વિશિષ્ટ વક્તા તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેમણે ભારતના ભાગલા સાથે જોડાયેલા ઐતિહાસિક પ્રસંગો, વિભાજન દરમિયાન સર્જાયેલી સામાજિક અને માનવીય પરિસ્થિતિ તેમજ તેના લાંબા ગાળાના પ્રભાવ અંગે પોતાના મહત્ત્વપૂર્ણ વિચારો રજૂ કર્યા હતા. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે વિભાજનના ઇતિહાસને માત્ર એક સામાન્ય ઐતિહાસિક ઘટના તરીકે નહીં, પરંતુ માનવજીવન સાથે સંકળાયેલા એક અત્યંત સંવેદનશીલ અધ્યાય તરીકે સમજવાની આવશ્યકતા છે.
‘વિભાજન વિભિષિકા સ્મૃતિ દિવસ’ નિમિત્તે યોજાયેલા આ કાર્યક્રમનો મુખ્ય હેતુ ભારતના વિભાજન દરમિયાન થયેલા વિસ્થાપન, સંઘર્ષ અને અસંખ્ય નાગરિકો દ્વારા વેઠવામાં આવેલી અકથ્ય વેદનાને સ્મરણમાં રાખવાનો તેમજ નવી પેઢીને આ ગંભીર ઐતિહાસિક ઘટનાથી માહિતગાર કરવાનો હતો. આ વ્યાખ્યાન દ્વારા ઉપસ્થિત વિદ્યાર્થીઓ અને શ્રોતાઓને ભારતીય ઇતિહાસના આ મહત્ત્વપૂર્ણ અને સંવેદનશીલ પાસાને વિવિધ પરિપ્રેક્ષ્યથી સમજવાની અમૂલ્ય તક મળી હતી.
આ પ્રસંગે પત્રકારત્વ ભવનના હેડ ડો. નીતા ઉદાણી, તુષાર ચંદારાણા, ડો. જીતેન્દ્ર રાદડિયા તેમજ હિન્દી ભવનના હેડ ડો. શૈલેષ મહેતા, ડો. નારણભાઈ ગામીત અને ડો. દીપ્તિ પરમાર સહિતના અધ્યાપકો અને બન્ને ભવનના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.


