સરકારી કામકાજ પર નજર રાખવા વિધાનસભામાં સમિતિઓ બનાવાઇ
મહત્વની ચાર સમિતિમાં ચેરમેનોની બિનહરીફ વરણી કરાઇ
અગ્ર ગુજરાત, ગાંધીનગર
ગુજરાત વિધાનસભા ખાતેથી સંસદીય પ્રક્રિયાને વેગ આપતા એક સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી દ્વારા ગૃહના નાણાંકીય અને બિન-નાણાંકીય કામોની દેખરેખ અને સમીક્ષા માટે અલગ-અલગ 19 સમિતિઓની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. અધ્યક્ષે જણાવ્યું હતું કે, આ તમામ સમિતિઓ વિધાનસભાના અધિકાર પ્રમાણે એક ‘નાનકડા ગૃહ’ તરીકે કાર્યરત રહીને સરકારી કામકાજ પર નજર રાખશે. આ તમામ સમિતિઓમાં ચૂંટાયેલા ધારાસભ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
વિધાનસભાની સૌથી મહત્વની ગણાતી ચાર નાણાંકીય સમિતિઓ – અંદાજ સમિતિ, પંચાયત રાજ સમિતિ, જાહેર સાહસોની સમિતિ અને જાહેર હિસાબ સમિતિની રચના બિનહરીફ તરીકે થઈ છે. જેના ચેરમેન પદની જવાબદારી કેટલાક ધારાસભ્યોને સોંપવામાં આવી છે જેમાં અંદાજ સમિતિ: ડૉ. સી.જે. ચાવડા (ચેરમેન), જાહેર હિસાબ સમિતિ: પંકજ દેસાઈ (ચેરમેન), જાહેર સાહસોની સમિતિ: રમણલાલ વોરા (ચેરમેન), પંચાયત રાજ સમિતિ: ઉદય કાનગડ (ચેરમેન)
નાણાંકીય કામો ઉપરાંત અન્ય મહત્વની સમિતિઓમાં પણ સભ્યોની નિમણૂંક કરાઈ છે. બિન-સરકારી કામકાજ માટે અર્જુનસિંહ ચૌહાણ, સરકારી ખાતરીઓ માટેની સમિતિમાં એલિસબ્રિજના ધારાસભ્ય અમિત શાહ, અને અનુસૂચિત જનજાતિ કલ્યાણ સમિતિમાં મોહનભાઈ ઢોડિયાને પ્રમુખ બનાવાયા છે.
જ્યારે સભામાં હાજરી-ગેરહાજરીની ચકાસણી માટે વિનોદભાઈ મોરડીયાની વરણી કરાઈ છે, જેમાં સંગીતાબેન પાટીલ અને મેઘજીભાઈ ચાવડાનો પણ સમાવેશ થાય છે. આ સિવાય, વિશેષ અધિકાર સમિતિમાં કેશુભાઈ પટેલ અને મુકેશ પટેલની નિમણૂંક થઈ છે. જ્યારે અનુસૂચિત જાતિ કલ્યાણ સમિતિના ચેરમેન તરીકે માલતીબેન મહેશ્વરીની નિમણૂંક કરવામાં આવી છે. આ સમિતિઓ આગામી સમયમાં શાસન વ્યવસ્થાને વધુ પારદર્શક બનાવવાનું કામ કરશે.


