કોળી સમાજમાં તળા : દિલ્હીમાં તા.૧૪ અને ૨૧ જૂને બબ્બે સંમેલન યોજાશે
બીજા દ્વારા બોલાવવામાં આવેલા અધિવેશનને અંગત સ્વાર્થ અને રાજકીય લાભ લેવા માટે આયોજન કર્યુ હોવાનો રાજયના મંત્રી કુંવરજીભાઇ બાવળિયાનો આક્ષેપ : સમાજમાં ફાટા પડયાનો વિવાદ સપાટી પર
અગ્ર ગુજરાત, રાજકોટ
દિલ્હીમાં કોળી સમાજના બબ્બે અધિવેશને સમાજના બે ભાગલા પાડી નાખ્યા છે. ગુજરાત રાજ્યના પાણી પુરવઠા અને કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા જેના રાષ્ટ્રીય અધ્યક્ષ છે તેમના દ્વારા 14 જૂને અખિલ ભારતીય કોળી સમાજનું સંમેલન રાખવામાં આવ્યું છે જેની સામે વિરેન્દ્ર કશ્યપ રાષ્ટ્રીય અધ્યક્ષ છે તેવા કોળી સમાજ દ્વારા 21 જૂને અધિવેશન રાખવામાં આવ્યું છે. બાવળિયાએ વિરોધી જૂથને યુવાનો અને મહિલા વિરોધી ગણાવ્યું છે તો આ મામલે રાજકોટના કોળી સમાજના આગેવાને આ મામલે પ્રતિક્રિયા વ્યક્ત કરી છે.
દેશમાં 25 કરોડની વસ્તી ધરાવતા સમાજના બબ્બે સંમેલનથી લોકો દુવિધામાં હોવાની વાત કરવામાં આવી છે. કોળી સમાજના સંગઠનમાં રહેલા વર્તમાન અને પૂર્વ હોદ્દેદારોમાં 80% થી વધુ વ્યક્તિઓ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા હોવાનું સામે આવ્યું છે. જેથી આ બંનેમાંથી એક પણ સંમેલનમાં જવું ન જોઈએ તેવો મત પણ એક વર્ગ વ્યક્ત કરી રહ્યો છે. જોકે આ ખેંચતાણથી કોળી સમાજમાં ફાંટા પડ્યાનો વિવાદ સપાટી પર આવ્યો છે.
કુંવરજી બાવળીયાએ જણાવ્યું હતું કે, 14 જૂનના દિલ્હીમાં અખિલ ભારતીય કોળી સમાજનું અધિવેશન મળવાનું છે. મહારાષ્ટ્રના કોળી સમાજના તમામ લોકોને ત્યાં પધારવા માટે આમંત્રિત કરું છું. બીજા કોળી સમાજ દ્વારા 21 જૂનના અધિવેશન બોલાવવા માટેનું એલાન કરવામાં આવ્યું છે. પરંતુ તે લોકોએ પોતાના અંગત સ્વાર્થ માટે અથવા તો પોલિટિકલ લાભ લેવા માટે આ સંમેલનનું આયોજન કર્યું છે. તેમાં ઘણા લોકો એવા છે કે જેઓ અખિલ ભારતીય કોળી સમાજમાં સામેલ છે પરંતુ તેઓએ સમાજ માટે અત્યાર સુધી કંઈ નથી કર્યું.
ગુજરાત ઉપરાંત મધ્યપ્રદેશ અને દિલ્હીના લોકો પણ આ કોળી સમાજમાં જોડાયેલા છે પરંતુ તેઓએ અત્યાર સુધી સમાજ માટે કઈ કર્યું નથી. અખિલ ભારતીય કોળી સમાજના યુવા અધ્યક્ષ બનીને ગુજરાતમાંથી કોઈ મહારાષ્ટ્ર આવ્યા હતા. જુના લોકો છે તેઓએ કોળી સમાજમાં યુવાનો અને મહિલાઓ આવે તો તેનો વિરોધ જ કર્યો છે. જ્યારે મને અખિલ ભારતીય કોળી સમાજના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકેની જવાબદારી સોંપવામાં આવી અત્યારથી મેં યુવાનો અને મહિલાઓનો સમાવેશ કરવાનો પૂરો પ્રયત્ન કર્યો છે. જેથી હું 14 જૂનના મલનારા સંમેલનમાં આવવા માટે મુખ્ય આગેવાનોને આમંત્રિત કરું છું. મૂળ અખિલ ભારતીય કોળી સમાજનું આ અધિવેશન છે.
જ્યારે સામા પક્ષે પ્રવીણ કોળીએ જણાવ્યુ હતુ કે,ગુજરાત સહિત સમગ્ર દેશભરમાં 25 કરોડ જેટલી કોળી જ્ઞાતિની વસ્તી છે. અખિલ ભારતીય કોળી સમાજના રાષ્ટ્રીય અધ્યક્ષ જે વ્યક્તિ હોય છે તેનું પાર્ટી સન્માન કરતી હોય છે. સન્માનને અનુરૂપ પાર્ટી દ્વારા તેમને પદ પણ આપવામાં આવતું હોય છે.સાત દિવસના અંતરે દિલ્હી ખાતે બે બે રાષ્ટ્રીય અધિવેશન બોલાવવાથી સમાજને નુકસાન પહોંચી શકે છે.કોળી સમાજ હાલ દુવિધામાં છે કે, કયા અધિવેશનમાં હાજરી આપવી કયા અધિવેશનમાં હાજરી ન આપવી.
કોળી સમાજના સંગઠનમાં રહેલા વર્તમાન હોદ્દેદારો અને પૂર્વ હોદ્દેદારોમાં 80% થી વધુ વ્યક્તિઓ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે. લડાઈ સમાજ માટે નહીં, પરંતુ સમાજથી મોટા પોતે કઈ રીતે સાબિત થાય તેનો છે એક તરફથી ગુજરાતમાં કોળી સમાજના વ્યક્તિઓ ઉપર પ્રતાડના થઈ રહી હોવાના બનાવો સામે આવી રહ્યા છે. આવા સમયે કોળી સમાજને એકજુટ કરવાને બદલે સમાજના ભાગલા પાડવામાં આવી રહ્યા છે કોળી સમાજના ગુજરાતના હોદ્દેદારોને તેમજ લોકોને અપીલ છે કે, બંનેમાંથી એક પણ અધિવેશનમાં હાજરી ન આપવી જોઈએ.


