કચ્છના ખાવડા અને ધોળાવીરામાં ત્રણની તીવ્રતાના બે ભૂકંપના આંચકા
3.૬ અને 3.૨ની તીવ્રતાથી ધરતી ધણધણી ઉઠતા લોકોમાં ભયનો માહોલ
અગ્ર ગુજરાત, કચ્છ
ભૂકંપના લધે હંમેશા ન્યૂઝમાં રહેતો ગુજરાતનો સહરદી જિલ્લો કચ્છ હાલ ફરી એકવાર ધ્રૂજી ઉઠ્યો છે. આજે અઢાષી બીજ એટલે કે કચ્છી લોકોના નવા વર્ષના પાવન પર્વે ઠેર ઠેર રથયાત્રા યોજાઈ રહી છે, તે વચ્ચે કચ્છમાં માત્ર ત્રણ મિનિટના અંતરે બે ભૂકંપના આંચકા નોંધાતા સ્થાનિકોમાં ભયનો માહોલ છવાયો છે. બપોરના સમયે કચ્છનાં ખાવડા અને ધોળાવીરામાં 3મી તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવતાં સ્થાનિક લોકો થોડા ગભરાઈ ગયા છે.
મળતી માહિતી મુજબ, આજે 16મી જુલાઈને ગુરુવારે અષાઢી બીજના કચ્છી લોકોના નવા વર્ષે કચ્છમાં ત્રણ મિનિટમાં બે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપનો પ્રથમ આંચકો બપોરે 2:20 વાગ્યે ખાવડા નજીક 3.6ની તીવ્રતાનો નોંધાયો હતો. બપોરના દિવસે અચાનક ખાવડાની ધરા ધ્રૂરતા સ્થાનિક લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા અને થોડી ક્ષણો માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
બપોરે 2:20 વાગ્યે ખાવડા નજીક 3.6ની તીવ્રતાનો ભૂકંપનો પ્રથમ આંચકો નોંધાયા બાદ બપોરે 2:23 વાગ્યે કચ્છના ધોળાવીરા નજીક 3.2ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો. ત્યારે ધોળાવીરા અને આસપારના વિસ્તારોમાં રહેવા સ્થાનિક લોકોમાં ભારે દોડધામ મચી હતી.
નોંધનીય છે કે, કચ્છ જિલ્લામાં આવેલી 10થી વધુ સક્રિય ફોલ્ટ લાઈનના કારણે અહીં અવારનવાર ભૂકંપના આંચકા અનુભવાતા રહે છે. ત્યારે આજે અષાઢી બીજે કચ્છી લોકોના નવા વર્ષ પર જ કચ્છમાં ભૂકંપના આંચકા અનુભવાતા સ્થાનિક લોકો થોડી ગભરાહટ અનુભવી રહ્યા છે.


