લવ મેરેજ બાબતે ખોડલધામના પ્રણેતાનું મહત્વપૂર્ણ નિવેદન
પ્રેમ પાપ નથી, લગ્ન માતા-પિતાની મરજીથી થવા જરૂરી : નરેશભાઇ પટેલ
પ્રેમ કરવો એ ગુનો નથી પરંતુ કોની સાથે લગ્ન કરવા એ માતા-પિતાની સહમતીથી થાય તે મહત્વનું છે : નરેશભાઇની યુવાનોને ટકોર
સિંગરોને લત્તા મંગેશકરને આઇડિયલ બનાવવા સૂચન
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજયમાં પાટીદાર સમાજની સિંગરો દ્વારા કરાયેલા લવમેરેજ ચર્ચાના કેન્દ્રમાં છે અને ગુજરાતભરમાં તેનો વિરોધ જોવા મળ્યો છે ત્યારે ખોડલધામના ચેરમેન અને પ્રણેતા નરેશભાઇ પટેલે યુવાનોને ટકોર કરતા કહ્યું હતું કે પ્રેમ કરવો એ પાપ નથી પરંતુ લગ્ન માતા-પિતાની ઇચ્છા મુજબ કરવા જોઇએ. લગ્ન બાબતે માતા-પિતાની મરજી હોવી અત્યંત જરૂરી છે.
ભાવનગરની પ્રિયા મોરડીયા, સુરતની આરતી સાંગાણી,સુરતની રિદ્ધી રાજપરા, કિંજલ દવે, કિંજલ રબારી અને કાજલ મહેરિયાના પ્રેમસંબંધ, મૈત્રીકરાર અને પ્રેમલગ્નના કારણે સામાજિક લેવલે અને સોશિયલ મીડિયામાં ભારે વિવાદ સર્જાયો હતો. વિવાદ એટલો વકર્યો હતો કે ગુજરાત સરકારે નિયમોમાં ફેરફાર કરવાની ફરજ પડી હતી.
ખોડલધામના ચેરમેન નરેશ પટેલનો આજે જન્મદિવસ હોય રાજકોટમાં યોજાયેલા બ્લેડ ડોનેશન કેમ્પમાં હાજરી આપી હતી. આ સમયે મીડિયા સાથેની વાતચીત દરમિયાન લવમેરેજને લઈ મહત્વનું નિવેદન આપતા કહ્યું કે, પ્રેમ કરવો એ ગુનો નથી. પરંતુ, કોની સાથે લગ્ન કરવલા એ માતાપિતાની સહમતીથી થાય તે જરુરી છે.
નરેશભાઇ પટેલે વધુમાં જણાવ્યું હતું કે, માત્ર સિંગર નહીં પણ દરેક ફિલ્ડમાં કામ કરતી દીકરીઓ માટે આ પ્રશ્ન ચિંતાજનક છે. પણ પોતાના આઈડલ કોણ છે એ મહત્વનું છે. મારું માનવું છે કે, સિંગર હોય તો તેને લત્તા મંગેશકરને પોતાના આઈડોલ બનાવવા જોઈએ, જેથી કોઈ પ્રશ્ન નહીં રહે.
સુરતમાં રહેતી પાટીદાર યુવતી અને ગાયિકા આરતી સાંગાણીએ તેમની સાથે સ્ટેજ પ્રોગ્રામ કરતા તબલાવાદક દેવાંગ ગોહેલ સાથે મૈત્રી કરાર કરી રહેવા લાગતાં આરતીનાં પરિવારજનો અને પટેલ સમાજના આગેવાનોમાં વિરોધનો સૂર ઊઠ્યો હતો.
પાટીદાર સમાજની દીકરી આરતી સાંગાણીનો લવમેરેજનો વિવાદ હજી તો માંડ શાંત પડ્યો હતો ત્યાં જ સુરત પાટીદાર સમાજમાંથી વધુ એક સિંગરે લવમેરેજ કરી લેતા વિવાદ સર્જાયો હતો. સુરતની પાટીદાર સમાજની ઉભરતી લોકગાયિકા રિદ્ધિ રાજપરાએ મ્યુઝિક રિધમ આર્ટિસ્ટ જયેશ વાઘેલા સાથે ભાગીને લગ્ન કરી લેતા સમાજમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો. આ ઘટનાને પગલે પાટીદાર અગ્રણીઓ દ્વારા કડક વલણ અપનાવવામાં આવ્યું હતુ અને રિદ્ધિ રાજપરાનો સ્ટેજ પર ‘નો એન્ટ્રી’ સાથે બહિષ્કાર કરવાની અપીલ કરવામાં આવી હતી. આ વિવાદ વચ્ચે સુરતના અગ્રણી પાટીદાર લોકગાયકો પણ મેદાને આવ્યા હતા અને તેમણે વાલીઓને ચોંકાવનારી અપીલ કરતા કહ્યું હતું કે, પાટીદાર સમાજમાં દીકરીઓને સિંગર ન બનાવવી જોઈએ, અહીં દીકરીઓએ માત્ર ભોગ જ બનવું પડે છે.


