45 દિવસમાં ટ્રાફિક ચલણ નહીં ભરો તો લાયસન્સ-આરસીનું કામ અટકશે
પાંચ કે તેથી વધુ બાકી ચલણવાળા વાહનો ‘Not to be Transacted’ હેઠળ આવશે; ગુજરાતમાં 12 ઓગસ્ટથી નેક્સ્ટ જનરેશન ચલણ સિસ્ટમનો અમલ શરૂ
અગ્ર ગુજરાત, રાજકોટ
ગુજરાતમાં ટ્રાફિક નિયમોના ભંગ બદલ આપવામાં આવતા ઇ-ચલણ મામલે હવે વાહનચાલકોની બેદરકારી ભારે પડી શકે છે. ગુજરાત પોલીસે 12 ઓગસ્ટ, 2026થી રાજ્યમાં નેક્સ્ટ જનરેશન ચલણ સિસ્ટમનો અમલ શરૂ કર્યો છે. નવી વ્યવસ્થા હેઠળ ચલણ મળ્યા બાદ તેની ચુકવણી અથવા વાંધો રજૂ કરવા માટે ચોક્કસ સમયમર્યાદા નક્કી કરવામાં આવી છે. સમયસર કાર્યવાહી નહીં કરનાર સામે ડ્રાઇવિંગ લાયસન્સ તથા વાહન રજિસ્ટ્રેશન સંબંધિત કામગીરી અટકાવવાની જોગવાઇ કરવામાં આવી છે.
સુધારેલા નિયમ-167 મુજબ ઇલેક્ટ્રોનિક ચલણ ઓનલાઈન હોય તો ત્રણ દિવસમાં અને રૂબરૂ હોય તો 15 દિવસની અંદર પહોંચાડી શકાશે. ચલણ જારી થયાની તારીખથી 45 દિવસની અંદર તેની રકમ ભરવી પડશે અથવા યોગ્ય દસ્તાવેજી પુરાવા સાથે ઓનલાઈન વાંધો નોંધાવવો પડશે.
માત્ર ચલણ સામે વાંધો નોંધાવવાથી કામ પૂર્ણ માનવામાં આવશે નહીં. વાહન માલિકે પોતાના દાવાને સમર્થન આપતા પુરાવા પણ રજૂ કરવા પડશે. ઉલ્લંઘન થયું ન હોવાનું દર્શાવતા પુરાવા, સ્થાનિક જાહેરનામું, જરૂરી પરવાનગી, માર્ગ પર પ્રતિબંધ અથવા ડાયવર્ઝન અંગેની સૂચના સહિતના દસ્તાવેજો રજૂ કરી શકાશે.
જો 45 દિવસમાં ચલણ સામે કોઈ વાંધો રજૂ કરવામાં નહીં આવે તો ચલણ સ્વીકાર્યું હોવાનું માનવામાં આવશે. ત્યારબાદ પણ ચુકવણી માટે વધુ 30 દિવસનો સમય આપવામાં આવશે. બીજી તરફ, સત્તાધિકારી દ્વારા વાંધો ફગાવી દેવામાં આવે તો તેનો આદેશ મળ્યાથી અથવા પોર્ટલ પર અપલોડ થયાથી 30 દિવસમાં ચલણ ભરવું પડશે. જો કોર્ટમાં જવું હોય તો નિયમ મુજબ 50 ટકા રકમ જમા કરાવ્યા બાદ અદાલતનો સંપર્ક કરી શકાશે.
નવી વ્યવસ્થામાં વારંવાર ટ્રાફિક નિયમો તોડનારા અને ચલણની અવગણના કરનારા વાહનચાલકો પર પણ ખાસ નજર રાખવામાં આવશે. 1 જાન્યુઆરી, 2026થી શરૂ થતા એક વર્ષના સમયગાળામાં પાંચ કે તેથી વધુ ઉલ્લંઘનોને ધ્યાનમાં લેવામાં આવશે. નિર્ધારિત સમયમર્યાદામાં બાકી ચલણનો નિકાલ નહીં થાય તો સંબંધિત વ્યક્તિના ડ્રાઇવિંગ લાયસન્સ અથવા વાહનના રજિસ્ટ્રેશન અંગેની અરજીઓની પ્રક્રિયા અટકાવી દેવામાં આવશે.
આવા વાહનોને ‘Not to be Transacted’ તરીકે ચિહ્નિત કરવામાં આવશે અને બાકી ચલણની ચુકવણી થાય ત્યાં સુધી આ સ્થિતિ યથાવત રહેશે. નિયમો અને કોર્ટના આદેશને આધીન પોલીસ આવા વાહનને અટકાવીને ડિટેઇન પણ કરી શકશે.
પોલીસે વાહનચાલકોને પરિવહન પોર્ટલ પર પોતાના ચલણની સ્થિતિ નિયમિત તપાસવાની અને સમયસર ચુકવણી કરવાની અપીલ કરી છે. ચલણ સામે વાંધો હોય તો નિયત સમયમર્યાદામાં જરૂરી પુરાવા સાથે પ્રક્રિયા પૂર્ણ કરવી જરૂરી રહેશે. સાથે જ વાહન માલિકોએ પોર્ટલ પર પોતાનો સાચો અને સક્રિય મોબાઇલ નંબર અપડેટ રાખવો જોઈએ, જેથી ટ્રાફિક ઉલ્લંઘન અને ઇ-ચલણ અંગેની જાણકારી સમયસર મળી રહે.
નવી સિસ્ટમથી ટ્રાફિક ચલણની કાર્યવાહી વધુ ટેક્નોલોજી આધારિત અને સમયબદ્ધ બનશે, પરંતુ સાથે જ વાહનચાલકો માટે એક બાબત સ્પષ્ટ છે કે ચલણને નજરઅંદાજ કરવું હવે મોંઘું પડી શકે છે.


