વરસાદ ખેંચાતા ધોરાજી-ઉપલેટા પંથકના પશુપાલકો મુશ્કેલીમાં
ઘાસચારો અને પશુ આહારના ભાવમાં જંગી વધારો; દૂધના યોગ્ય ભાવની પશુપાલકોની માંગ
અગ્ર ગુજરાત, ધોરાજી
રાજકોટ જિલ્લાના ધોરાજી અને ઉપલેટા પંથકમાં ચોમાસાની સિઝન દરમિયાન પણ પૂરતો વરસાદ ન થતાં હવે તેની સીધી અસર પશુપાલન વ્યવસાય પર જોવા મળી રહી છે. વરસાદ ખેંચાતા ઘાસચારાનું ઉત્પાદન ઘટી ગયું છે, જેના કારણે ઘાસચારો તેમજ પશુ આહારના ભાવમાં નોંધપાત્ર વધારો થયો છે. વધતા ખર્ચના કારણે પશુપાલકો ભારે આર્થિક સંકટનો સામનો કરી રહ્યા છે અને સરકાર પાસે દૂધના યોગ્ય ભાવની માંગ ઉઠાવી રહ્યા છે.
ધોરાજી અને ઉપલેટા વિસ્તાર ખેતી અને પશુપાલન માટે જાણીતો છે. પરંતુ ચાલુ વર્ષે વરસાદ મોડો પડતા ઘાસચારાનું વાવેતર અને ઉત્પાદન બંને પર અસર થઈ છે. પરિણામે બજારમાં ઘાસચારા માટે ભારે માંગ ઉભી થઈ છે. અગાઉ પ્રતિ મણ રૂ. 60થી 70ના ભાવે મળતો ઘાસચારો હવે રૂ. 120થી 130 પ્રતિ મણ સુધી પહોંચી ગયો છે, જેના કારણે પશુપાલકોનો ખર્ચ નોંધપાત્ર રીતે વધી ગયો છે.
માત્ર ઘાસચારો જ નહીં, પરંતુ કપાસિયા ખોળ, ભૂસું, રાજદાણા સહિતના પશુ આહારના ભાવમાં પણ મોટો વધારો નોંધાયો છે. પશુપાલકોના જણાવ્યા મુજબ અગાઉ રૂ. 1,200 પ્રતિ મણ મળતો કપાસિયા ખોળ હવે વધીને રૂ. 2,200 પ્રતિ મણ સુધી પહોંચી ગયો છે. અન્ય પશુ આહારના ભાવમાં પણ સતત વધારો થતાં પશુપાલનનો ખર્ચ લગભગ બમણો થઈ ગયો છે.
પશુપાલકોનું કહેવું છે કે એક તરફ પશુઓના ભરણપોષણ પાછળ ખર્ચ સતત વધી રહ્યો છે, જ્યારે બીજી તરફ દૂધના ભાવમાં તે પ્રમાણે વધારો થયો નથી. હાલમાં દૂધના પ્રતિ લિટર રૂ. 50થી 60 જેટલો ભાવ મળી રહ્યો છે, જે હાલની મોંઘવારી અને વધતા ખર્ચ સામે પૂરતો નથી. પશુપાલકોનું માનવું છે કે વર્તમાન પરિસ્થિતિમાં દૂધનો ભાવ ઓછામાં ઓછો રૂ. 100 પ્રતિ લિટર થવો જોઈએ, જેથી પશુપાલન વ્યવસાય ટકાવી શકાય.
ઘાસચારા વેપારીઓ પણ માને છે કે વરસાદના અભાવે ઘાસચારાનું ઉત્પાદન ઘટ્યું હોવાથી બજારમાં પુરવઠો ઓછો છે, જ્યારે માંગ સતત વધી રહી છે. તેના કારણે ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. વેપારીઓનું કહેવું છે કે જો આગામી દિવસોમાં સારો વરસાદ નહીં પડે તો ઘાસચારાની અછત વધુ ગંભીર બનવાની શક્યતા છે.
એક તરફ વરસાદની અનિશ્ચિતતા અને બીજી તરફ ઘાસચારો તથા પશુ આહારના આસમાને પહોંચેલા ભાવ વચ્ચે ધોરાજી અને ઉપલેટા પંથકના હજારો પશુપાલકો આર્થિક સંકટનો સામનો કરી રહ્યા છે. હવે તેમની નજર આગામી વરસાદ અને સરકાર દ્વારા દૂધના ભાવ સહિત પશુપાલકોને રાહત આપવા માટે લેવામાં આવતા નિર્ણય પર ટકેલી છે.


