યુધ્ધના કારણે રાજકોટ એરપોર્ટ પર ત્રણ માસમાં ૨3 હજાર મુસાફરો ઘટયા
દૈનિક ૧૪ ફલાઇટની ઉડાન, ઉનાળુ વેકેશનમાં પ્રવાસીઓની સંખ્યા વધવાની ટુર્સ ઓપરેટરોને આશા
અગ્ર ગુજરાત, રાજકોટ
અમદાવાદ હાઈવે પર ચોટીલા પાસે આવેલા હીરાસરમાં સ્થિત રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટથી 29 માર્ચથી 24 ઓક્ટોબર, 2026 સુધીના સમર શેડ્યૂલ મુજબ હાલ દૈનિક 13 સહિત 14 ફ્લાઇટ ઉડાન ભરી રહી છે. જો કે હાલ અમેરિકા અને ઈઝરાયેલ દ્વારા ઈરાન સાથેના યુદ્ધના કારણે હવાઈ સેવાને ગંભીર અસર પહોંચી હોય તેમ હવાઈ મુસાફરોની સંખ્યામાં ઘટાડો થઈ રહ્યો છે. ચાલુ વર્ષે જાન્યુઆરી માસમાં 1.39 લાખ, ફેબ્રુઆરીમાં 1.26 લાખ તો માર્ચમાં મુસાફરો ઘટીને 1.16 લાખ થઈ ગયા. જોકે હવે ઉનાળુ વેકેશન છે ત્યારે મુસાફરોની સંખ્યામાં વધારો થશે તેવી ટુર્સ ઓપરેટરોને આશા છે.
ગત વર્ષે રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટથી 12.53 લાખ મુસાફરોએ ફલાઈટમાં અવરજવર કરી હતી. જેમાં 6.13 લાખ મુસાફરો ફલાઇટમાં આગમન કરી ચૂક્યા છે. જ્યારે 6.39 લાખ મુસાફરો એરપોર્ટ પરથી ફ્લાઈટમાં પ્રસ્થાન કરી ચૂક્યા હતા. જેમાં મુંબઈની 7, દિલ્હીની 4, હૈદરાબાદ, બેંગ્લોર, પુણેની 1- 1 ફ્લાઈટ ઉડાન ભરી હતી.
રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી મુંબઈ જવા 5 તો નવી મુંબઈ માટેની નવી 2 ફ્લાઈટ છે. આ ઉપરાંત દિલ્હીની 4, હૈદરાબાદ અને બેંગ્લોરની 1- 1 ફ્લાઇટ ડેઈલી ઉડાન ભરી હતી. જ્યારે પુણેની ફ્લાઈટ અઠવાડિયામાં ચાર વખત ઉડાન ભરી રહી છે. જ્યારે ઈન્ડિગો એર લાઈન્સની ગોવાની ફ્લાઇટ બંધ થઈ છે. જે બાબતે એરલાઈન્સના સૂત્રોના જણાવ્યા પ્રમાણે રાજકોટથી ગોવા જવા માટેની ફ્લાઈટ એપ્રિલ અંતથી શરૂ થશે.
હાલ અમેરિકા અને ઈઝરાયલ દ્વારા ઈરાન સાથે યુદ્ધ ચાલી રહ્યું છે, જેને કારણે દુબઈ અને તુર્કી જેવા સ્થળોએ જવાનું હવાઈ મુસાફરો ટાળી રહ્યા છે. જેથી ફલાઈટમાં મુસાફરોની સંખ્યામાં ઘટાડો થયો છે. જો કે હવે ઉનાળુ વેકેશન છે, ત્યારે લોકો પરિવાર સાથે હરવા ફરવા માટે નીકળી પડતા હોઈ છે. ત્યારે હવાઈ મુસાફરોની સંખ્યામાં વધારો થશે તેવી પૂરેપૂરી શક્યતા છે.


