વિધાનસભા બાદ સ્થાનિક સંસ્થાની ચૂંટણીના પ્રચારમાં પણ સામે આવ્યો અણબનાવ
રાજકોટમાં નયનાબા-રિવાબા જાડેજા વચ્ચે રાજકીય મંચ પર શાબ્દીક યુધ્ધ
જીત માટે શુભેચ્છા પાઠવ્યા બાદ ભાજપના ઉમેદવારો જ જીતશે તેવો ભાભી રિવાબાનો ટોણો
શિક્ષણમંત્રી અવર કોન્ફીડન્સમાં હોવાનો નયનાબાનો પલટવાર, હાર જીતને સમય ઉપર છોડતા કોંગ્રેસના ઉમેદવાર
મહિલા અનામત બિલ પર કોંગ્રેસ સહિતના વિપક્ષોને આડે હાથ લેતા શિક્ષણમંત્રી રીવાબા
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટમાં સ્થાનિક સ્વરાજયની ચૂંટણીનો માહોલ જામ્યો છે. મહાપાલિકાના વોર્ડ નં.૨માં ભારતીય ક્રિકેટર રવિન્દ્રસિંહ જાડેજાના બહેન નયનાબા જાડેજા કોંગ્રેસના ઉમેદવાર તરીકે ચૂંટણી જંગમાં ઉતર્યા છે. ત્યારે તેમના ભાભી અને જામનગરના ભાજપના ધારાસભ્ય રીવાબા જાડેજાએ શુભેચ્છા પાઠવી હતી અને કારમો પરાજય થશે તેવો ટોણો પણ માર્યો હતો. આ અંગે બંને નણંદ-ભાભી વચ્ચે રાજકીય મંચ પરથી શાબ્દીક ટપાટપી થઇ હતી.
રાજકોટમાં એક કાર્યક્રમમાં રાજયના શિક્ષણમંત્રી અને નયનાબાના ભાભી રીવાબા દ્વારા નયનાબાને શુભેચ્છા પાઠવવામાં આવી હતી અને ભાજપના ઉમેદવારોની જીત થશે તેવો ટોણો પણ મારતા નયનાબાએ પણ પલટવાર કરતા જવાબ આપ્યો હતો કે એ તો સમય જ બતાવશે. બંનેના શાબ્દીક જંગથી રાજકોટનો રાજકીય માહોલ ધગધગતો થયો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે રીવાબા અને નયનાબા જાડેજા વચ્ચે ચાલતા અણબનાવની રાજયભરમાં ચર્ચા થઇ રહી છે. અગાઉ વિધાનસભા ચૂંટણી વખતે પણ નણંદ અને ભાભી વચ્ચે વાક યુધ્ધ થયું હતું.
રિવાબાએ મહિલા અનામત બિલ અંગે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 18 એપ્રિલ શનિવારે રાતે રાષ્ટ્રજોગ સંબોધન કરી મહિલા અનામત બિલ પાસ ન થઇ શક્યું એ માટે વિપક્ષને જવાબદાર ગણાવ્યા બાદ આજે 20 એપ્રિલ ગુજરાતના રાજ્ય કક્ષાના મંત્રી રિવાબા જાડેજાએ કોંગ્રેસ પર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, નારી શક્તિનું સન્માન માટેનો અવસર હતો 17 એપ્રિલનો એ દિવસ ઇતિહાસમાં નારી શક્તિના સન્માન માટે સુવર્ણ અક્ષરે લખાયો હોત પરંતુ કોંગ્રેસ પક્ષે વિરોધ કરતા આ દિવસ નારી શક્તિ માટે કાળો દિવસ બની ગયો છે આ દેશની 70 કરોડ મહિલાઓનું અપમાન છે.
રાજ્યકક્ષાના મંત્રી રિવાબા જાડેજાએ જણાવ્યું હતું કે, 17 એપ્રિલનો દિવસ મહિલાઓના સન્માન માટે સુવર્ણ અક્ષરે લખાઈ શક્યો હોત પરંતુ કોંગ્રેસે વિરોધ કરતા આ દિવસ મહિલાઓના સન્માન માટે કાળો દિવસ સાબિત થયો છે. સંસદમાં જે થયું એ માત્ર બિલની હાર ન હતી, પરંતુ એ દેશની 70 કરોડ મહિલાઓ દીકરીઓએ જોયેલા સપનાઓ ઉપર કોંગ્રેસનો આઘાત જનક પ્રહાર હતો. દેશ આખાએ જોઈ લીધું કે ભાજપ સરકાર મહિલાઓ માટે અને કોંગ્રેસ સરકાર મહિલાઓના માર્ગમાં સતત અવરોધ બનીને આગળ વધી રહ્યું છે. કોંગ્રેસ અને બાકીના વિપક્ષોએ વીલ પસાર ન થતા જે આનંદ વ્યક્ત કર્યો પાટલી થપથપાવી આ મહિલાઓનું અપમાન નથી તો શું છે.?
રીવાબાએ વધુમાં જણાવ્યું હતું કે, મહિલાઓના અધિકાર રોકવા એ કોંગ્રેસની જીત બની ગઈ છે. કોંગ્રેસનો ઇતિહાસ મહિલાઓ સાથે છડ, વિલંબ અને દગાનો રહ્યો છે. કોંગ્રેસે 60 વર્ષ સતામાં રહી માતૃ શક્તિનું અપમાન કરી વોટબેન્કની રાજનીતિ કરી છે. મહિલાઓના અધિકાર એ કોંગ્રેસ માટે માત્ર ભાષણનો વિષય રહ્યો છે, નિર્ણયની બાબતમાં કોંગ્રેસ ક્યારે પણ મહિલા શક્તિને આગળ વધવા નથી દીધી. બિલ પાસ ન થવા દેવું એ કોંગ્રેસનું પૂર્વનિયોજિત રાજકીય ષડયંત્ર હતું. જે લોકોએ OBC અને દલિત મહિલાઓના શશક્તિકરણ માટે કહી જ નથી કર્યું તેમના નામે હવે આ બિલને રોકવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
તેને વધુમાં કહ્યું કે, કોંગ્રેસને ડર છે કે દેશની સામાન્ય પરિવારની મહિલાઓ સાંસદમાં અને વિધાનસભામાં પ્રતિનિધિત્વ કરશે અને તેમની પરિવારવાદની રાજનીતિને પડકારશે. સતા પરિવાર પૂરતી સીમિત રાખવી એ તેમની માનસિકતા છે. પોતાના પરિવારની મહિલાઓને જ આગળ વધારવી એ જ એમની માનસિકતા છે. માતૃશક્તિને માત્ર રસોડા સુધી સીમિત રાખવાની માનસિકતા આ કોંગ્રેસ પક્ષની છે. આ એજ કોંગ્રેસ છે જેને 370 કલમનો વિરોધ કર્યો, રામ મંદિરનો વિરોધ કર્યો, ત્રિપલ તલાકનો વિરોધ કર્યો, CAAનો વિરોધ, GSTનો વિરોધ, UCCનો વિરોધ કર્યો, સર્જીકલ સ્ટ્રાઇક અને ઓપરેશન શિંદુરનો વિરોધ, નર્મદા ડેમનો વિરોધ અને સ્ટેચ્યુ ઓફ યુનિટીનો પણ વિરોધ કર્યો. કોંગ્રેસની માનસિકતા એ જ છે કોઈપણ રિફોમેશન આવે એમાં જૂઠું બોલો, ભ્રમ ફેલાવવો અને આગળ વધવા ન દેવું.
નણંદ નયનાબાને શુભેચ્છા પાઠવતા રિવાબા
રાજકોટમાં રાજ્ય કક્ષાના મંત્રી રીવાબા જાડેજાએ કોંગ્રેસમાંથી ચૂંટણી લડી રહેલા નણંદ નયનાબા જાડેજાને શુભેચ્છા આપી. રીવાબાએ કહ્યું ચૂંટણી લડનારને શુભેચ્છા પાઠવું છું. જો કે જીત ભાજપની જ થશે મને પૂરો ભરોસો છે. ભાજપના કાર્યકર્તાઓ પર મને પૂર્ણ વિશ્વાસ છે કે 26 તારીખે ભાજપની પેનલના ઉમેદવારોને જંગી બહુમતી સાથે જીતાડશે અને કોંગ્રેસને જડબાતોડ જવાબ આપશે.
શુભકામના આપનારનો આભાર : નયનાબા
રાજકોટ શહેર વોર્ડ નં. 2ના કોંગ્રેસના ઉમેદવાર નયનાબા જાડેજાએ જણાવ્યું હતું કે, મને શુભેચ્છા પાઠવનાર મારા શુભેચ્છકો, મારા સમાજના લોકો મારા વિસ્તારના મતદારો અને માતાજી ભગવતીનો હું આભાર માનું છું. જીત કોની થશે એ આવનાર સમય બતાવશે કારણ કે, ભાજપના પૂર્વ નગરસેવકોએ કોઈ કામ નથી કર્યા માત્ર ભ્રષ્ટાચાર કર્યા છે. જનતા પણ હવે આ વાત જાણી ગઈ છે માટે ભાજપની હાર થશે કે જીત એ આવનાર સમય બતાવશે.


