રેડ એલર્ટ વચ્ચે રજાના દિવસનો સદુપયોગ: કણજીકુઈ પ્રાથમિક શાળામાં યોજાયું વૃક્ષારોપણ
વિદ્યાર્થીઓની રજા હોવા છતાં શિક્ષકો અને SMC સભ્ય દ્વારા શાળા પરિસરમાં ઔષધીય અને છાંયડા આપતા વૃક્ષોનું વાવેતર કરાયું
અગ્ર ગુજરાત, આણંદ/રાલેજ
હવામાન વિભાગ દ્વારા જાહેર કરાયેલા રેડ એલર્ટને ધ્યાને લઈ આણંદ જિલ્લા કલેક્ટરની સૂચના મુજબ તા.24 જુલાઈ 2026 (શુક્રવાર)ના રોજ તમામ પ્રાથમિક શાળાઓમાં શૈક્ષણિક કાર્ય બંધ રાખવામાં આવ્યું હતું. આ આદેશના અનુસંધાને કણજીકુઈ પ્રાથમિક શાળા, રાલેજ ખાતે વિદ્યાર્થીઓને રજા આપવામાં આવી હતી, પરંતુ શાળાનો તમામ સ્ટાફ ફરજ પર હાજર રહ્યો હતો. શૈક્ષણિક કાર્ય મુલતવી રહેતા શાળા પરિવાર દ્વારા આ સમયનો સદુપયોગ કરી પર્યાવરણ સંરક્ષણ માટે પ્રેરણાદાયી પહેલ કરવામાં આવી હતી.
શાળા પરિસરમાં દાતા દ્વારા ભેટ આપવામાં આવેલા લીમડો, પીપળો, કેસુડો અને આસોપાલવ જેવા ઉપયોગી વૃક્ષોના રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું હતું. વૃક્ષારોપણ દ્વારા વિદ્યાર્થીઓ અને સમાજમાં પ્રકૃતિપ્રેમ, પર્યાવરણની જાળવણી તેમજ ‘હરિયાળા ગુજરાત’નો સંદેશ વધુ મજબૂત બને તેવો સુંદર પ્રયાસ શાળા સ્ટાફ દ્વારા કરવામાં આવ્યો હતો.
આ રચનાત્મક કાર્યક્રમમાં શાળાના આચાર્ય જસભાઈ વાઘેલા, શિક્ષક અશોકભાઈ રાવજીભાઈ પટેલ તેમજ શાળા વ્યવસ્થાપન સમિતિ (SMC)ના સભ્ય લાલજીભાઈ મકવાણા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. વાવેતર બાદ ઉપસ્થિત સૌએ માત્ર રોપા રોપવા પૂરતું સીમિત ન રહેતા, વૃક્ષોના યોગ્ય જતન અને સંવર્ધન માટે દ્રઢ સંકલ્પ વ્યક્ત કર્યો હતો. કણજીકુઈ પ્રાથમિક શાળા માત્ર ગુણવત્તાસભર શિક્ષણ જ નહીં, પરંતુ સામાજિક અને પર્યાવરણીય જવાબદારીઓ નિભાવવામાં પણ સતત અગ્રેસર રહે છે. કુદરતી આપદા કે રજાના દિવસે પણ સમયનો આ પ્રકારે સકારાત્મક ઉપયોગ કરીને શાળાએ અન્યો માટે પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડ્યું છે.


