દર ૧૫ દિવસે કામોની સમીક્ષા કરવા કલેકટરોને આદેશ
રાજય સરકારની ચિંતન શિબિરનો પ્રારંભ : અધિકારીઓને મુખ્યમંત્રીની ગંભીર ટકોર : કલેકટરોને સત્તાનો પ્રજાલક્ષી ઉપયોગ કરવા સૂચન : ગુજરાતના વિકાસનો રોડ મેપ કરાશે તૈયાર
અગ્ર ગુજરાત, અમદાવાદ
અડાલજના ત્રિમંદિર ખાતે મહેસૂલ વિભાગની ત્રિદિવસીય ચિંતન શિબિરનો ભવ્ય પ્રારંભ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા કરવામાં આવ્યો હતો. “Collaborate, Innovate and Transform for Better Land Governance” થીમ સાથે યોજાયેલી આ શિબિરમાં રાજ્યભરના જિલ્લા કલેક્ટરો અને મહેસૂલી અધિકારીઓ એકત્ર થયા છે. કાર્યક્રમના આરંભે મુખ્યમંત્રીએ તીખી ટિપ્પણી કરતાં કહ્યું કે, “ચિંતન શિબિર છે તો બધા ચિંતિત કેમ?”. એટલું જ નહીં ‘હું ચલાવું છું’ એવો અભિમાન છોડીને ટીમવર્કથી કાર્ય કરવાની અધિકારીઓને ટકોર કરી હતી.
મુખ્યમંત્રીએ કલેક્ટરોની ભૂમિકા પર ભાર મૂકતાં કહ્યું કે તેઓ પાસે વિશાળ સત્તાઓ છે અને તે સત્તાનો ઉપયોગ પ્રજાલક્ષી કામોમાં થવો જોઈએ. ‘દર 15 દિવસે પોતાના કામનું ચિંતન કરો, એક-બે લોકોના કારણે આખા વિભાગની છબી ખરાબ ન થાય’ એવી ચેતવણી આપતાં તેમણે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવવાની સ્પષ્ટ સૂચના આપી. તેમણે જણાવ્યું કે સ્વાગત ઓનલાઈન જેવા કાર્યક્રમોમાં નાગરિકોના પ્રશ્નો સીધા તેમની પાસે પહોંચે છે, તેથી અધિકારીઓએ અગાઉથી જ સમસ્યાઓનું નિવારણ કરી દેવું જોઈએ જેથી લોકો સંતોષ અનુભવે.
મુખ્યમંત્રીએ અધિકારીઓને સંવેદનશીલ વહીવટ માટે પ્રેરિત કરતાં કહ્યું કે, “ઓફિસમાં આવનાર કોઈપણ વ્યક્તિને ખચકાટ ન થાય, હસતા મોઢે કામ કરશો તો અરજદાર ખુશ થશે.” સાથે જ તેમણે “હું ચલાવું છું” એવો અભિમાન છોડીને ટીમવર્કથી કાર્ય કરવાની સલાહ આપી અને ઉમેર્યું કે સિસ્ટમ સૌના સહકારથી ચાલે છે. IAS અધિકારીઓના સંઘર્ષનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું કે મોટી મહેનત બાદ આ પદ પ્રાપ્ત થાય છે, તેથી જવાબદારીપૂર્વક કાર્ય કરવું જરૂરી છે. વ્યક્તિગત કે વહીવટી મુશ્કેલી હોય તો સીધા તેમને જાણ કરવા પણ મુખ્યમંત્રીએ આશ્વાસન આપ્યું.
મુખ્યમંત્રીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘સૌના સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ’ના મંત્રને યાદ કરતાં કહ્યું કે વિકસિત ભારત 2047ના લક્ષ્યને વિકસિત ગુજરાતથી સાકાર કરવા મહેસૂલ વિભાગની ભૂમિકા મહત્વપૂર્ણ છે. નાગરિકોના સુખાકારી માટે ચિંતન-મંથનને જરૂરી ગણાવી આ શિબિરને આત્મસંવાદનું શક્તિશાળી માધ્યમ ગણાવ્યું.
શિબિરમાં મહેસૂલ રાજ્યમંત્રી સંજયસિંહ મહીડાએ જણાવ્યું હતું કે કે રાજ્ય સરકાર વહીવટને નાગરિકોની સેવા ગણે છે અને છેવાડાના માનવીના પ્રશ્નો ઉકેલવા પ્રતિબદ્ધ છે. ઇ-ધરા, IORA જેવી ડિજિટલ પહેલો દ્વારા ફેસલેસ અને પેપરલેસ ગવર્નન્સ અમલમાં મૂકાઈ છે. જમીન ફાળવણીમાં ‘ઝીરો ડીલે’ નીતિ અપનાવી પારદર્શિતા વધારવામાં આવી છે, જેના કારણે ગુજરાત વૈશ્વિક રોકાણકારો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. સાથે જ ડ્રોન ટેક્નોલોજી અને સેટેલાઈટ ઇમેજરી દ્વારા જમીન સર્વે વધુ સચોટ બનાવવામાં આવી રહ્યો છે.
મુખ્ય સચિવ મનોજકુમાર દાસે મહેસૂલ વિભાગના કાર્યને બિરદાવતાં જણાવ્યું કે ટેકનોલોજી અને પારદર્શિતાથી વહીવટ વધુ મજબૂત બની રહ્યો છે. વિકાસ પ્રોજેક્ટ્સ માટે જમીન ફાળવણીમાં રાજ્યએ નોંધપાત્ર પ્રદર્શન કર્યું છે, ખાસ કરીને રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે ગુજરાત અગ્રેસર છે. વહીવટી તંત્ર મજબૂત કરવા એડિશનલ કલેક્ટરની જગ્યાઓ તથા તલાટી-સર્વેયરની ભરતી પણ કરવામાં આવી છે.
ચિંતન શિબિર મહેસુલ વિભાગમાં પરિવર્તન લાવશે : ડો.જયંતિ રવિ
અધિક મુખ્ય સચિવ ડૉ. જયંતી રવિએ જણાવ્યું હતું કે આ ચિંતન શિબિર માત્ર ચર્ચા પૂરતી મર્યાદિત નહીં રહે પરંતુ મહેસૂલ વિભાગમાં ગુણાત્મક પરિવર્તન લાવશે. કલેક્ટર સંસ્થાના ગૌરવશાળી ઈતિહાસનો ઉલ્લેખ કરતાં તેમણે જણાવ્યું હતું કે નવી ટેકનોલોજી અને આધ્યાત્મિક ઉર્જાના સમન્વયથી વહીવટ વધુ અસરકારક બનશે. આ પ્રસંગે રાજ્યના ઉચ્ચ અધિકારીઓ, જિલ્લા કલેક્ટરો અને મહેસૂલી કર્મચારીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. કુલ મળીને, આ ત્રિદિવસીય ચિંતન શિબિર રાજ્યના વહીવટી તંત્રમાં પારદર્શિતા, કાર્યક્ષમતા અને નાગરિક કેન્દ્રિત અભિગમને વધુ મજબૂત બનાવવાનો મહત્વપૂર્ણ પ્રયાસ સાબિત થઈ રહી છે.


