સર્વોચ્ચ અદાલતનો અસમર્થ બંદીવાનો માટે ભાવનાત્મક નિર્દેશ
ગંભીર બિમાર અને અશકત કેદીઓ વહેલા મુકત થશે
ત્રણ મહિનામાં નિયમ બનાવવા સુપ્રિમ કોર્ટનો ગુજરાત સહિતની રાજય સરકારોને આદેશ : નવી માર્ગદર્શિકા જાહેર
સરકારી પ્રક્રિયાના ઢીલના લીધે મરણાસન્ન કેદીને જીવનના અંતિમ દિવસો જેલના સળીયા પાછળ વિતાવવા મજબૂર ન કરવા જોઇએ : સુપ્રિમ
અગ્ર ગુજરાત, નવી દિલ્હી
દેશની જેલોમાં બંધ અતિ વૃદ્ધ, ગંભીર અથવા અસાધ્ય બીમારીઓથી પીડાતા અને શારીરિક રીતે લાચાર કેદીઓ માટે સુપ્રીમ કોર્ટે એક અત્યંત સંવેદનશીલ અને ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. સર્વોચ્ચ અદાલતે આવા લાચાર કેદીઓને સમય પહેલાં અથવા દયાના આધારે મુક્ત કરવા માટે એક પારદર્શક, સરળ અને ઝડપી પ્રક્રિયા તૈયાર કરવાનો આદેશ આપ્યો છે. કોર્ટે દેશના તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને આદેશ આપ્યો છે કે તેઓ આગામી ૩ મહિનાની અંદર આ સંદર્ભે એક મજબૂત અને સ્પષ્ટ નીતિ તૈયાર કરે.
ઉલ્લેખનીય છે કે, અસાધ્ય બીમારીઓ અને વૃદ્ધાવસ્થા સામે ઝઝૂમી રહેલા કેદીઓની મુક્તિ અંગેની આ અરજી રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તામંડળ (NALSA) દ્વારા દાખલ કરવામાં આવી હતી. આ અરજીમાં જણાવાયું હતું કે દેશના દરેક રાજ્યમાં આવા કેદીઓની મુક્તિ માટે નિયમો પહેલેથી જ અસ્તિત્વમાં છે, પરંતુ તેની વહીવટી પ્રક્રિયા એટલી જટિલ અને લાંબી છે કે ઘણીવાર કેદીઓનો જેલમાં જ અંત આવી જાય છે.
NALSA એ પોતાની અરજીમાં દેશભરની જેલોમાં બંધ ૭૦ વર્ષથી વધુ ઉંમરના એવા કેદીઓની ઓળખ કરવા માટે એક ચોક્કસ તંત્ર બનાવવાની માંગ કરી હતી, જેઓ એચઆઈવી (HIV), કેન્સર, એઇડ્સ (AIDS) અને ટીબી (TB) જેવી જીવલેણ બીમારીઓનો સામનો કરી રહ્યા છે. અરજીમાં એવી માંગ પણ કરવામાં આવી હતી કે આવા અસમર્થ કેદીઓને પેરોલ, ફર્લો અથવા જામીન પર મુક્ત કરવા માટે નિયમો હળવા કરવામાં આવે.
આ સંવેદનશીલ મુદ્દા પર ગંભીરતાથી વિચારણા કર્યા બાદ સુપ્રીમ કોર્ટે સ્વીકાર્યું કે આ બાબતમાં અદાલતી હસ્તક્ષેપ અનિવાર્ય છે. જસ્ટિસ વિક્રમ નાથ અને જસ્ટિસ સંદીપ મહેતાની ખંડપીઠે પોતાના આદેશમાં ભાવુક પરંતુ કાનૂની દૃષ્ટિએ મહત્વપૂર્ણ નોંધ લખી કે, “વહીવટી અને સરકારી પ્રક્રિયાની ઢીલ કે વિલંબના કારણે કોઈ પણ મરણાસન્ન કેદીને તેના જીવનના અંતિમ દિવસો જેલના સળિયા પાછળ વિતાવવા માટે મજબૂર ન કરવા જોઈએ.”
પ્રક્રિયાને ભ્રષ્ટાચાર મુક્ત અને સંપૂર્ણ પારદર્શક બનાવવા માટે સુપ્રીમ કોર્ટે ટેકનોલોજીનો ઉપયોગ કરવાનો આદેશ આપ્યો છે. કોર્ટે જણાવ્યું છે કે અરજી દાખલ કરવાથી લઈને આખરી નિર્ણય સુધીની સમગ્ર પ્રક્રિયાને રાષ્ટ્રીય ‘e-Prisons’ પોર્ટલ સાથે સાંકળવામાં આવે. અરજીની સ્થિતિ, તબીબી તપાસનો રિપોર્ટ, જેલ પ્રશાસનની ભલામણ અને સક્ષમ અધિકારીનો નિર્ણય – આ તમામ બાબતો ઓનલાઈન પોર્ટલ પર રીઅલ-ટાઇમ અપડેટ થવી જોઈએ.
આ પોર્ટલમાં ‘ઓટોમેટિક એલર્ટ’ની સુવિધા પણ હોવી જોઈએ, જેથી જો નિયત સમયસીમા ઓળંગાય તો સંબંધિત અધિકારીની જવાબદારી નક્કી કરી શકાય. આ સાથે જ કોર્ટે કેદીઓની બીમારી સંબંધિત મેડિકલ રિપોર્ટ્સ અને તેમની અંગત વિગતોની ગોપનીયતા (Privacy) જાળવી રાખવા પર પણ વિશેષ ભાર મૂક્યો છે.
સર્વોચ્ચ અદાલતે આદેશ આપ્યો છે કે કેન્દ્ર સરકાર અને તમામ રાજ્યો આગામી ૬ મહિનામાં આ દિશામાં લેવાયેલા પગલાં અને તેના અમલીકરણ અંગેનો સવિસ્તાર અહેવાલ (Compliance Report) કોર્ટ સમક્ષ રજૂ કરે. આ અત્યંત મહત્વપૂર્ણ માનવતાવાદી મામલાની આગામી સુનાવણી ૧૯ જાન્યુઆરી ૨૦૨૭ ના રોજ નિયુક્ત કરવામાં આવી છે, જેમાં તમામ રાજ્યોના રિપોર્ટની કાનૂની સ્તરે સમીક્ષા કરવામાં આવશે.
સુપ્રીમ કોર્ટે જારી કરેલી મહત્વની માર્ગદર્શિકા
- સમયબદ્ધ નીતિનું નિર્માણ: તમામ રાજ્યો ૩ મહિનાની અંદર અસાધ્ય બીમારીવાળા અને વૃદ્ધ કેદીઓની વહેલી મુક્તિ માટે સ્પષ્ટ નીતિ અમલી બનાવે.
- યોગ્યતા અને પ્રક્રિયા: આ નીતિમાં સ્પષ્ટ ઉલ્લેખ હોવો જોઈએ કે કયા પ્રકારના કેદીઓ આ રાહત મેળવવા માટે લાયક ગણાશે અને તેમની અરજી પર નિર્ણય લેવાની પ્રક્રિયા શું રહેશે.
- અસાધ્ય બીમારીની વ્યાખ્યા સ્પષ્ટ કરવી: ‘ટર્મિનલ ઇલનેસ’ એટલે કે જે બીમારીનો કોઈ ઈલાજ શક્ય નથી અને દર્દી મૃત્યુની નજીક છે, તેની ચોક્કસ મેડિકલ વ્યાખ્યા નક્કી કરવામાં આવે.
- મેડિકલ બોર્ડની રચના: કેદીઓની શારીરિક અસમર્થતા અને બીમારીના સાચા મૂલ્યાંકન માટે નિષ્ણાત તબીબોના વિશેષ મેડિકલ બોર્ડની રચના કરવામાં આવે.
- UTRC ની ભૂમિકા: અન્ડર ટ્રાયલ રિવ્યુ કમિટી (UTRC) સમયાંતરે જેલની મુલાકાત લઈને આવા કેદીઓના કેસોની સમીક્ષા કરે અને જામીન કે પેરોલ માટે ભલામણ કરે.


