ધ્રોલના મજોઠમાં ખનીજ માફિયા સામે તંત્ર કાર્યવાહી ન કરતા અનોખો વિરોધ
જાગૃત નાગરીકે અર્ધનગ્ન થઈ વિરોધ નોંધાવ્યો: આંદોલનની ચિમકી
અગ્ર ગુજરાત, ધ્રોલ
ધ્રોલ તાલુકાના મજોઠ ગામમાં ચાલી રહેલા ગેરકાયદેસર ખનીજ ખનન સામે તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી ન થતાં, એક અરજદારે જામનગર સ્થિત ખાણ-ખનીજ કચેરી ખાતે અર્ધનગ્ન હાલતમાં વિરોધ પ્રદર્શન કર્યું છે. મજોઠ ગામના અરજદાર સોડાભાઈ નાગજીભાઈ વરુએ આ અનોખો વિરોધ નોંધાવી ન્યાયની માંગ કરી છે.
અરજદારના જણાવ્યા અનુસાર, મજોઠ ગામમાં લાંબા સમયથી મોટા પાયે ગેરકાયદે ખનીજ ચોરીની પ્રવૃત્તિઓ ચાલી રહી છે. આ અંગે તેમણે ખાણ-ખનીજ વિભાગ સહિતના સરકારી તંત્રને અનેક વખત લેખિત અને મૌખિક રજૂઆતો કરી હતી, છતાં ભૂમાફિયાઓ સામે કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી. તંત્રની આ નિષ્ક્રિયતાથી કંટાળીને આખરે તેમણે આ પ્રતીકાત્મક વિરોધ નોંધાવ્યો છે.
અરજદારે મજોઠ ગામની નદીમાંથી રેતી ખનન અને સિંચાઈની જમીનમાંથી થતા ગેરકાયદેસર માટી ખનન બાબતે જામનગર શહેરની મુખ્ય ખાણ અને ખનીજ વિભાગની કચેરીને અલગ-અલગ તારીખોએ પુરાવા સાથે લેખિત અરજીઓ કરી હતી.
અરજદારે ગંભીર આક્ષેપ કર્યો છે કે, ખાણ-ખનીજ વિભાગના અધિકારીઓ ખનીજચોરો સાથે કથિત રીતે લાંચના કૌભાંડમાં સામેલ છે. આ જ કારણે આટલી ગંભીર ફરિયાદો અને પુરાવા આપવા છતાં માફિયાઓ વિરુદ્ધ કોઈ જ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી નથી.
તંત્ર દ્વારા કોઈ પગલાં ન લેવાતા ખનીજચોરો વધુ બેફામ બન્યા છે. ગેરકાયદે ખનન પ્રવૃત્તિનો વિરોધ કરવા બદલ ખનીજ માફિયાઓએ હથિયારો બતાવી અરજદારને જાનથી મારી નાખવાની ધમકીઓ આપી છે.
અરજદારના જણાવ્યા મુજબ, ખનીજ માફિયાઓ ગામના અન્ય લોકો મારફતે ખુલ્લી ધમકીઓ અપાવી રહ્યા છે કે,અરજીઓ કરીને અમારું શું તોડી લીધું? થાય તે કરી લે, સરકારી અધિકારીઓ રૂપિયાના ભૂખ્યા છે અને તારી દરેક અરજીઓ ફાઈલે કરી નાખે છે.
આ પ્રકારની ધમકીઓથી અરજદાર અને તેમનો પરિવાર સતત ભયના ઓથાર હેઠળ જીવી રહ્યો છે અને ગમે ત્યારે જાનનું જોખમ હોવાની ભીતિ સેવાઈ રહી છે.
ઉગ્ર આંદોલનની ચેતવણી
અરજદારે ઉચ્ચ અધિકારીઓ સમક્ષ તાકીદે તપાસ હાથ ધરીને ગેરકાયદે ખનન બંધ કરાવવા અને તેમને સુરક્ષા પૂરી પાડવા માંગ કરી છે. તેમણે ચેતવણી આપતા જણાવ્યું છે કે,ખાણ ખનીજ વિભાગની બેદરકારીના કારણે અમને આમરણાંત ઉપવાસ આંદોલન પર બેસવાની ફરજ પડી છે. જો આ આંદોલન દરમિયાન કોઈ પણ અઘટિત ઘટના ઘટશે, તો તેની સઘળી જવાબદારી જામનગર ખાણ અને ખનીજ વિભાગની રહેશે.
જો આ ગેરકાયદે પ્રવૃત્તિ અને માફિયાઓ સામે તાત્કાલિક કડક પગલાં નહીં લેવાય, તો આગામી દિવસોમાં આંદોલન વધુ ઉગ્ર બનાવવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.


