સ્પીન એન્ડ સ્વીંગ ક્રિકેટ એકેડમીમાં હવે ચેતેશ્વર પુજારા આપશે કોચિંગ
ગ્રામ્ય વિસ્તારના બાળકોને મળશે તાલીમની ઉત્તમ તક
અગ્ર ગુજરાત, રાજકોટ
ભારતમાં જમીની સ્તરે ક્રિકેટના વિકાસને વધુ મજબૂત બનાવવાની દિશામાં લેવામાં આવેલા એક મહત્ત્વપૂર્ણ પગલાના ભાગરૂપે સ્પિન એન્ડ સ્વિંગ ક્રિકેટ એકેડમીએ રાજકોટ નજીક આવેલા તારગઢી ગામ ખાતે ચેતેશ્વર અરવિંદભાઈ પુજારા ક્રિકેટ એકેડમી સાથે સહયોગ સાધ્યો છે. આ સહયોગ સાધવા પાછળનો ઉદ્દેશ ખેતીવાડી કરનારા ગ્રામ્ય સમુદાયોમાંથી આવતા પ્રતિભાશાળી બાળકોને ક્રિકેટની સુવ્યવસ્થિત તાલીમ પૂરી પાડવાનો છે. આ પહેલને એગ્રી-ટેક કંપની એસએમએલ દ્વારા તેના સીએસઆર કાર્યક્રમ હેઠળ સમર્થન પૂરું પાડવામાં આવી રહ્યું છે, જ્યારે એએસકે ફાઉન્ડેશન24 ગામડાંઓમાં સમુદાય સાથે જોડાણ અને જનસંપર્ક સાધવાની જમીની સ્તરની પ્રવૃત્તિઓનું નેતૃત્વ કરશે.
આ સહભાગીદારી અંતર્ગત ચાર સંસ્થાઓએ હાથ મિલાવ્યાં છે, જે પ્રોફેશનલ ક્રિકેટ કૉચિંગ અને માળખાગત સુવિધાઓથી વંચિત યુવા પ્રતિભાઓ માટે રમતગમતની સાર્થક તકોનું સર્જન કરવાનું સંયુક્ત વિઝન ધરાવે છે.
ખ્યાતનામ ભૂતપૂર્વ ક્રિકેટર ચેતેશ્વર પુજારા અને તેમના પિતા અરવિંદભાઈ પુજારા દ્વારા સ્થાપવામાં આવેલી ચેતેશ્વર અરવિંદભાઈ પુજારા ક્રિકેટ એકેડમી છેલ્લાં 10 વર્ષથી રાજકોટની બહાર આવેલા તારગઢી ગામ ખાતેની પોતાની ફેસિલિટીમાં વંચિત અને પ્રતિભાશાળી યુવાનોને ક્રિકેટની સંપૂર્ણપણે નિઃશુલ્ક તાલીમ આપીને આ રમત પ્રત્યેનું ઋણ ચૂકવવાનું ઉમદા કાર્ય કરી રહી છે. આ નવી સહભાગીદારી મારફતે સ્પિન એન્ડ સ્વિંગ ક્રિકેટ એકેડમી હવે પોતાની પ્રોફેશનલ કૉચિંગની કુશળતા, જમીની સ્તરે ક્રિકેટના વિકાસનો અનુભવ અને સુવ્યવસ્થિત તાલીમ કાર્યક્રમો દ્વારા આ એકેડમીના ધ્યેયને વધુ મજબૂત બનાવવામાં યોગદાન આપશે.
આ પહેલની શરૂઆત કરવા માટે તારગઢી ગામ ખાતે આવેલા એકેડમીના મેદાનમાં એક વિશેષ માસ્ટરક્લાસ સેશન યોજવામાં આવ્યું હતું, જેમાં ચેતેશ્વર પુજારાએ આસપાસના ગામો અને ખેતીવાડી કરતાં સમુદાયોમાંથી આવેલા ઉભરતા યુવા ક્રિકેટરો સાથે વ્યક્તિગત રીતે સંવાદ સાધ્યો હતો. આ સેશન દરમિયાન તેમણે પોતાની ક્રિકેટ કારકિર્દીની વિકાસયાત્રામાંથી પ્રાપ્ત થયેલા મૂલ્યવાન અનુભવોને શૅર કર્યા હતા. તેમણે શિસ્ત, સાતત્ય અને માનસિક શક્તિના મહત્ત્વ અંગે વાત કરી હતી તેમજ યુવા ખેલાડીઓ પોતાની રમતને સુધારી શકે તે માટે ઉપયોગી સૂચનો પણ આપ્યાં હતાં. બાળકોને મોટા સપનાં જોવા માટે પ્રોત્સાહિત કરીને શ્રી ચેતેશ્વર પુજારાએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, દરેક વિદ્યાર્થીએ એક દિવસ ભારતનું સર્વોચ્ચ સ્તરે પ્રતિનિધિત્વ કરવાના અંતિમ લક્ષ્ય સાથે તાલીમ લેવી જોઈએ.
શહેરના દોડધામભર્યા જીવનથી દૂર શાંત વાતાવરણમાં આવેલી ચેતેશ્વર અરવિંદભાઈ પુજારા ક્રિકેટ એકેડમી ક્રિકેટની સ્પર્ધાત્મક તાલીમને પ્રોત્સાહન આપવા માટે રચાયેલી આધુનિક માળખાગત સુવિધાઓ ધરાવે છે, જેમાં પ્રોફેશનલ રીતે જાળવવામાં આવતી ટર્ફ વિકેટ્સ, પ્રેક્ટિસ નેટ્સ, બોલિંગ મશીન્સ, તાલીમના વિશિષ્ટ સાધનો તેમજ ઉચ્ચ ગુણવત્તા ધરાવતી આઉટફીલ્ડ જેવી સુવિધાઓનો સમાવેશ થાય છે.
રાજકોટમાં શરૂ કરવામાં આવેલી આ પહેલ સમગ્ર દેશમાં જમીની સ્તરનું ક્રિકેટ નેટવર્ક બનાવવાના સ્પિન એન્ડ સ્વિંગ ક્રિકેટ એકેડમીના વ્યાપક વિઝનને હાંસલ કરવાની દિશામાં વધુ એક સીમાચિહ્નરૂપ સિદ્ધિ છે. નજીકના ભવિષ્યમાં આ જ પ્રકારના કાર્યક્રમોને ભારતના વિવિધ વિસ્તારોમાં શરૂ કરવાની પણ યોજના છે.


