સ્વામિનારાયણ ગુરુકુલ ઇન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીઓએ મેળવ્યો પાઠયપુસ્તકથી પ્રયોગશાળા સુધીનો વિજ્ઞાનનો જીવંત અનુભવ
વિવિધ પ્રયોગ સરળ રીતે સમજાવતા નિષ્ણાંતો
અગ્ર ગુજરાત, રાજકોટ
સ્વામિનારાયણ ગુરુકુલ ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે ધોરણ ૬ થી ૧૨ ના વિદ્યાર્થીઓ માટે વિજ્ઞાન વિષયનું પ્રાયોગિક સત્ર યોજવામાં આવ્યું હતું. આ સત્રમાં શાળાના વિજ્ઞાન શિક્ષક રૈયાણી સર, ગોસાઈ સર અને કવિતા મેડમ દ્વારા વિદ્યાર્થીઓને પાઠ્યપુસ્તકમાં સમાવિષ્ટ વૈજ્ઞાનિક સિદ્ધાંતોને પ્રયોગો દ્વારા સરળ, રસપ્રદ અને વ્યવહારિક રીતે સમજાવવામાં આવ્યા હતા.
પ્રાયોગિક સત્ર દરમિયાન વિદ્યાર્થીઓને પાનમાં રહેલા હરિતદ્રવ્ય (ક્લોરોફિલ) અને પ્રકાશ સંશ્લેષણ સંબંધિત પ્રયોગનું જીવંત નિદર્શન કરવામાં આવ્યું હતું. પાનને ગરમ કરવાની પ્રક્રિયા, તેમાં થતા ફેરફારો તેમજ આયોડિન પરીક્ષણ દ્વારા સ્ટાર્ચની હાજરી વિશે સમજ આપવામાં આવી. તેમજ પ્રયોગશાળાના વિવિધ સાધનોનો સુરક્ષિત અને યોગ્ય ઉપયોગ કેવી રીતે કરવો તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું.
વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક પ્રયોગોનું નિરીક્ષણ કર્યું, વિવિધ પ્રશ્નો પૂછ્યા અને વૈજ્ઞાનિક તથ્યોને સમજવાનો પ્રયાસ કર્યો. આ પ્રાયોગિક સત્ર દ્વારા વિદ્યાર્થીઓમાં વિજ્ઞાન પ્રત્યે રસ, જિજ્ઞાસા, અવલોકન શક્તિ અને વૈજ્ઞાનિક અભિગમનો વિકાસ થયો. સમગ્ર કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો અને વિદ્યાર્થીઓએ પ્રયોગાત્મક શિક્ષણનો યાદગાર અનુભવ મેળવ્યો હતો.


