હાઉસિંગ બોર્ડના ભયજનક આવાસના નળ જોડાણ કાપતા સ્થાનિક ખાડામાં સૂઇ ગયા
ભગતસિંહ ગાર્ડન નજીક આવેલ હાઉસિંગ બોર્ડના ૭૯૨ જર્જરીત આવાસના ધારકોને નોટીસ આપ્યા બાદ મનપાની કાર્યવાહી : સમય મર્યાદામાં નોટીસ મુજબની કામગીરી નહી થતાં નળ કનેકશન કાપતા રહેવાસીઓનો મનપામાં હલ્લાબોલ
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વોર્ડ નં.૧૦માં આવેલા શહિદ ભગતસિંહ ગાર્ડન નજીકના ગુજરાત હાઉસિંગ બોર્ડના અતિ જર્જરીત થઇ ગયેલા ૭૯૨ આવાસના માલિકોને રિપેરીંગ અથવા ખાલી કરવા માટેની નોટીસ ફટકારવામાં આવી હતી. આ નોટીસની સમયમર્યાદા પૂર્ણ થતાં મનપા દ્વારા આજે નળ કનેકશન કાપવાની કાર્યવાહી કરતા ત્યાં ખોદેલા ખાડામાં સ્થાનિક વૃધ્ધ સૂઇ ગયા હતા અને વિરોધ નોંધાવ્યો હતો. ઉપરાંત આ બાબતે આવાસ ધારકો દ્વારા કાર્યવાહીના વિરોધમાં મનપા કચેરીમાં હલ્લાબોલ કરી ઉગ્ર સુત્રોચ્ચારો કર્યા હતાં.
આ અંગે સોસાયટીના પ્રમુખ જયેન્દ્રસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે અમે તમામ સોસાયટીના ક્વાર્ટર ધારકો મેયરને રજૂઆત કરવા માટે આવ્યા હતા. મેયરનો અમને ખૂબ જ સારો અને સંતોષકારક રીપ્લાય મળ્યો જે બદલ મેયરનો આભાર માનીએ છીએ. અમારે ત્યાં અમુક જર્જરિત ક્વાર્ટર છે. જેનું રીપેરીંગ કરવા માટે સમય આપવાની અમારી માંગણી હતી. જેથી અત્યારે અમને ચાર મહિનાનો સમય આપવામાં આવ્યો છે. અમારા નળ કે વીજ જોડાણ નહીં કપાય. જે માટે અમને એવું કહ્યું કે અને કોઈ જાનહાની થશે તો કોર્પોરેશન ન જવાબદારી નહીં રહે પરંતુ અમારી જવાબદારી રહેશે તેવું લેખિતમા આપવા માટે જણાવવામાં આવ્યું છે.
વધુમાં તેમણે જણાવ્યું કે, અમારે ત્યાં નળ જોડાણ કાપવાનું ચાલુ હતું ત્યારે તેના એક રહેવાસી વૃધ્ધ ખાડામાં સૂઈ ગયા હતા. જોકે હવે મેયર દ્વારા કહેવામાં આવ્યું છે કે નળ જોડાણ કાપવાનું રોકાવી દઉં છું. જ્યાં કોઈ જાનહાની થશે તો રહેવાસીની જવાબદારી રહેશે. આ સાથે જ ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાનો હોવાથી તેમની પણ જવાબદારી ગણાય.
રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ નં.10 માં ભગતસિંહ ગાર્ડન પાસે આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડ (જીએચબી)ના 792 જેટલાં ક્વાર્ટર્સ અત્યંત જર્જરિત તથા ભયગ્રસ્ત હાલતમાં છે. આ અંગે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સંબંધિત રહેવાસીઓ/આસામીઓને 2015થી વિવિધ તબક્કે કાયદેસરની નોટિસો પાઠવવામાં આવી છે તેમજ સ્થળ પર ભયગ્રસ્ત મિલક્ત અંગેના ચેતવણી બોર્ડ પણ લગાવવામાં આવ્યા છે. એટલું જ નહીં પણ ગુજરાત હાઉસિંગ બોર્ડને પણ આ બાબતે અવારનવાર જાણ કરવામાં આવી હોવા છતાં બોર્ડ દ્વારા ક્વાર્ટર ખાલી કરાવવા માટે કોઇ કામગીરી કરવામાં આવતી નથી આથી મહાનગરપાલિકા દ્વારા આ કવાર્ટર ખાલી કરાવવા માટે નળ જોડાણ અને વીજ જોડાણ કાપવાની આખરી નોટિસ ફટકારવામાં આવી હતી.
આ ક્વાર્ટર્સ અંગે કરવામાં આવેલ ટેકનિકલ તપાસ અને સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી રિપોર્ટ મુજબ હાઉસિંગ બોર્ડના આ કવાર્ટર માનવ વસવાટ માટે અયોગ્ય તથા જોખમી હાલતમાં હોવાનું નોંધાયું છે. ચોમાસાની ઋતુ નજીક હોય અને ભારે વરસાદ, પવન કે અન્ય કુદરતી પરિસ્થિતિઓ દરમિયાન જાનમાલને નુકસાન થવાની સંભાવના રહેલી છે. આથી આ ભયગ્રસ્ત ક્વાર્ટર્સ ખાલી કરાવવા મહાનગરપાલિકા દ્વારા આગામી દિવસોમાં નળ જોડાણ તેમજ વીજ પુરવઠો બંધ કાપવાની આખરી નોટિસ આપવામાં આવી હતી. જોકે હવે દિવાળી બાદ આ કાર્યવાહી થશે.
ચૂંટાયેલી પાંખ લોકોના હિતમાં નિર્ણય લેશે : મેયર
મેયર ડૉ. નેહલ શુક્લે આ મામલે જણાવ્યું હતું કે, સવારે મને ત્યાંથી ફોન આવ્યો હતો કે અમારા નળ જોડાણ કાપવામાં આવી રહ્યા છે. સ્વભાવિક રીતે ચૂંટાયેલી પાંખને આ પ્રકારની કાર્યવાહી થવાની હતી. ચોમાસામાં આ રીતે નળ કનેક્શન કાપવામાં આવે તો લોકોને પણ મુશ્કેલી થાય. જેથી તુરંત કાર્યવાહી અટકાવવાનો આદેશ આપ્યો છે. આ પ્રોપર્ટી ગુજરાત હાઉસિંગ બોર્ડની છે કોર્પોરેશનને સ્ટ્રક્ચર કે પ્રોપર્ટી સાથે કોઈ લેવાદેવા નથી પરંતુ નબળા બાંધકામના કારણે કોઈ જાનહાનિ ન થાય તેની તકેદારી લેવી જરૂરી છે. જેથી સ્થાનિકો પાસે એફિડેવિટ માગવામાં આવ્યું છે કે કોઈપણ પ્રકારની જાનહાની થશે તો જવાબદારી જે તે મકાન ધારકની રહેશે. કોર્પોરેશન ન જવાબદારી રહેશે નહીં. સ્થાનિકોએ દિવાળી સુધીનો ચાર મહિનાનો સમય માગ્યો હતો જે રીપેરીંગ માટે આપવામાં આવ્યો છે.


