આવતીકાલે ઇસ્કોન મંદિર ખાતે નરસિંહ ચતુર્દશી મહોત્સવની ઉજવણી કરાશે
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટના કાલાવડ રોડ સ્થિત ઇસ્કોન મંદિર રાજકોટ ખાતે આવતીકાલે તા.30 એપ્રિલ, ગુરુવારના રોજ ભગવાન નરસિંહ દેવના પ્રાગટ્ય ઉત્સવ—નરસિંહ ચતુર્દશીની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવશે.
આ અંગે વધુ માહિતી આપતા ઇસ્કોન મંદિરના પ્રમુખ વૈષ્ણવસેવા પ્રભુજી જણાવે છે કે ભગવાન નરસિંહદેવ સર્વવિઘ્ન વિનાશક અને ભક્તવત્સલ છે. જેમ તેમણે પ્રહલાદ મહારાજને તમામ વિપત્તિમાંથી બચાવ્યા હતા, તેમ તેઓ આજના સમયમાં પણ ભક્તોના જીવનમાં આવતી મુશ્કેલીઓમાંથી રક્ષણ આપે છે. તેથી નરસિંહ ચતુર્દશીનો આ પવિત્ર ઉત્સવ દરેક ભક્ત માટે વિશેષ મહત્વ ધરાવે છે.
ભગવાન નરસિંહદેવ ભક્તોના જીવનમાં ખાસ સ્થાન ધરાવે છે. તેઓ ભક્તના હૃદયમાંથી ભય, અશાંતિ અને નકારાત્મકતા દૂર કરીને આત્મવિશ્વાસ, શ્રદ્ધા અને ભક્તિમાં વૃદ્ધિ કરે છે. તેમની ઉપાસના દ્વારા ભક્તને આંતરિક શક્તિ, સંરક્ષણ અને આધ્યાત્મિક સ્થિરતા પ્રાપ્ત થાય છે. નરસિંહદેવ ભક્તોને ધાર્મિક માર્ગ પર સ્થિર રાખી તેમના જીવનમાં ધૈર્ય અને નિર્ભયતા પ્રદાન કરે છે. તેથી જ ભક્તો માટે નરસિંહદેવની શરણાગતિ જીવનમાં સુરક્ષા અને શાંતિનો આધાર બને છે.
આજના સમયમાં વિશ્વમાં ચાલી રહેલી અસંતુલિત પરિસ્થિતિઓ અને યુદ્ધ જેવા સંજોગોમાં શાંતિ માટે ભગવાનનું સ્મરણ જ એકમાત્ર સાચો માર્ગ છે. આ પવિત્ર અવસર પર ઇસ્કોન મંદિર રાજકોટ ખાતે વિશેષ નરસિંહ યજ્ઞ દ્વારા વિશ્વ શાંતિ માટે પ્રાર્થના કરવામાં આવશે.
આ નરસિંહ ચતુર્દશી ની 30 એપ્રિલ ગુરુવાર ના રાજકોટ ના ઇસ્કોન મંદિર ખાતે ભવ્ય ઉજવણી કરવામાં આવશે. જેમાં સવારે 10:00 વાગ્યે: વિશ્વ શાંતિ માટે વિશેષ મહા નરસિંહ યજ્ઞ, સાંજે 6:00 વાગ્યે: ભગવાન નરસિંહ પ્રાગટ્ય ઉત્સવની કથા, સાંજે 7:00 વાગ્યે: ભગવાનનો ભવ્ય મહા અભિષેક કરવામાં આવશે. ત્યારબાદ સર્વ ભક્તો માટે મહાપ્રસાદનું આયોજન કરાયું છે.
આ નરસિંહ ચતુર્દશીના પાવન અવસર પર ઇસ્કોન મંદિર રાજકોટ દ્વારા રાજકોટની ધર્મપ્રેમી અને ઉત્સવપ્રેમી જનતાને મંદિરે પધારીને ભગવાન નરસિંહ દેવના દર્શન કરવાનો, યજ્ઞનો લાભ લેવા, ભગવાનની કથા તથા મહાભિષેકનો લાભ લેવા અને મહાપ્રસાદ ગ્રહણ કરવા માટે ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવે છે.


