વિશ્વ પૃથ્વી દિવસ પર લોક વિજ્ઞાન કેન્દ્ર, દ્વારા સંરક્ષણ અને પર્યાવરણલક્ષી કાર્યક્રમોનો સંકલ્પ
આગામી દિવસોમાં બૌધ્ધિકોનું વ્યાખ્યાન યોજવા આયોજન
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ મહનગરપાલિકા અને સૌરાષ્ટ્ર એજ્યુકેશન ફાઉન્ડેશન (SEF) ટ્રસ્ટ દ્વરા સ્થાપીત અને સંચાલીત ઓ. વે. શેઠ પ્રાદેશિક લોક વિજ્ઞાન કેન્દ્ર – રાજકોટ ખાતે તા. ૨૨ એપ્રિલને બુધવારનાં રોજ વિશ્વ પૃથ્વી દિવસ નિમિત્તે લોક વિજ્ઞાન કેન્દ્ર સાથે સંકળાયેલ વિવિધ સંસ્થાઓનાં પ્રતિનીધીઓ દ્વારા પૃથ્વી સંરક્ષણ અને પર્યાવરણલક્ષી કાર્યક્રમો માટે સંકલ્પ કરવામાં આવ્યો.
વિશ્વ પૃથ્વી દિવસ દર વર્ષે 22 એપ્રિલના રોજ પર્યાવરણ સંરક્ષણ માટે લોકોને જાગૃત કરવાના પર્યાવરણ સંરક્ષણ પ્રત્યે સભાન બનાવવા અને પૃથ્વીની રક્ષા માટે પ્રતિબદ્ધ થવાના હેતુથી વિશ્વભરમાં ઉજવવામાં આવે છે. 1969માં સંયુક્ત રાષ્ટ્ર્નાં યુનેસ્કોની પરિષદમાં સૌપ્રથમવાર શાંતિ કાર્યકર્તા જ્હોન મેકકોનેલે પૃથ્વી દિવસની ઉજવણીનો પ્રસ્તાવ મૂક્યો હતો. પૃથ્વી દિવસ સૌ પ્રથમ વખત 22 એપ્રિલ, 1970ના રોજ અમેરિકામાં ઉજવવામાં આવ્યો હતો. આ પછી ડેનિસ હેઝે 1990 માં વૈશ્વિક સ્તરે તેની ઉજવણી કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. દર વર્ષે પૃથ્વી દિવસની ઉજવણી માટે થીમ પસંદ કરવામાં આવે છે. 2026ની આ વર્ષની થીમ ‘આપણી શક્તિ, આપણો ગ્રહ’ (Our Power, Our Planet) છે. જે પર્યાવરણીય સંરક્ષણ, ક્લાઇમેન્ટ એક્શન અને ટકાઉ જીવનશૈલીને પ્રોત્સાહન આપવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે.
વિશ્વ પૃથ્વી દિવસની ઉજવણી પ્રસંગે યોજાયેલ ખાસ બેઠકમાં રાજકોટ ખાતે આગામી દિવસોમાં પર્યાવરણ જાગૃતિનાં રાષ્ટ્રીય કક્ષાના સેમિનાર, પરિસંવાદ, તાલીમ અને કોન્ફરન્સ, વિવિધ વિષયોનાં તજજ્ઞોને આમંત્રણ અને સૌરાષ્ટ્ર અને રાજકોટની કોલેજો તેમજ યુનિવર્સિટીઓનાં સંશોધકોને સાંક્ળવાનાં કાર્યક્રમો નિર્ધારિત થયાં. જેમાં વિદ્યાર્થીઓ, એન્જિનિયરો અને ઉભરતાં સંશોધકો માટે રોજિંદા ઉપયોગમાં લેવાતા પાણી માટેના આર.ઓ. સિસ્ટમમાં વેડફાતા પાણીને કઈ રીતે વિજ્ઞાનની મદદથી બચાવી શકાય અને ઉપયોગમાં લઈ શકાય? તે માટેની ઓપન સ્પર્ધા યોજવાનું નક્કી કરવામાં આવ્યું. સાથે સાથે આગામી કાર્યક્રમો માટે હની બી નેટવર્ક સંસ્થાનાં સ્થાપક, ગ્રાસરુટ ઈનોવેશનનાં તજજ્ઞ અને અમદાવાદની આઈ.આઈ. એમ.ના પ્રાધ્યાપક પ્દ્મ્શ્રી પ્રો. અનિલ ગુપ્તાજીને આમંત્રિત કરવામાં આવનાર છે. ‘વોટર મેન ઓફ ઇન્ડિયા’ તરીકે ઓળખાતાં રાજેન્દ્રસિંહજીને કેન્દ્ર પર વિશેષ આમંત્રિત તરીકે વ્યાખ્યાન માટે આમંત્રણ આપવામાં આવનાર છે. તદુપરાંત, જાણીતા પ્રકૃતિવિદ અને સામાજીક કાર્યકર અને સેન્ટર ફોર ઇન્વાયરમેન્ટના વૈજ્ઞાનિક સુનિતા નારાયણજીને પણ અત્રેના કેન્દ્ર પર વિશેષ આમંત્રીત મહેમાન તરીકે લાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. જાણીતા વૈજ્ઞાનિક અને પ્રસિદ્ધ લેખક રઘુનાથ મશેલકર દ્વારા લિખિત તેમની પ્રસિદ્ધ બેસ્ટ સેલર પુસ્તકોના વિમોચન માટે અને ખાસ ગાંધીયન એન્જિનિયરિંગ વિષેની વ્યાખ્યાન શૃંખલા માટે આમંત્રિત કરવાનો વિચાર કરવામાં આવેલ હતો. આ પ્રસંગે વિવિધ સંસ્થાઓ – સૌરાષ્ટ્ર એજ્યુકેશન ફાઉન્ડેશન ટ્રસ્ટ, બધેકા ટ્રસ્ટ, ભારત સેવક સમાજ, વિશ્વગ્રામ સંસ્થા, એન્વાયરમેન્ટ રિસર્ચ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા, ઇન્ડિયન સોસાયટી ફોર કેમિસ્ટ એન્ડ બાયોલોજીસ્ટ, ઇન્ડિયન પ્લેનેટરી સોસાયટી, ઇંગલિશ લેંગ્વેજ ટીચર્સ એસોસિએશન રાજકોટ, પી.સી. વૈદ્ય સેન્ટર, રાજકોટ, બીગબેંગ એસ્ટ્રોનોમી ક્લ્બ રાજકોટ, આઈ. પી. એન્ડ ઈનોવેશન લેબ, રાજકોટ, વુમન સાયન્સ ક્લ્બ, અને લોક વિજ્ઞાન કેન્દ્ર, રાજકોટના પ્રતિનિધિઓ હાજર રહેલ. જેમાં વરિષ્ઠ માર્ગદર્શક અને લોક વિજ્ઞાન કેન્દ્રનાં નિયામક ડૉ. રમેશભાઇ ભાયાણી, લોક વિજ્ઞાન કેન્દ્રનાં ટ્રસ્ટી અને ગુજરાત વિદ્યાપીઠનાં ભુતપૂર્વ વાઈસ ચાન્સલર પ્રો. અનામિકભાઇ શાહ, લોક વિજ્ઞાન કેન્દ્રનાં ટ્રસ્ટી અને જાણીતા સી.એ. કે. ટી. હેમાણી, ટ્રસ્ટી અને પ્રકૃતિવીદ વિનોદભાઈ પંડયા, કેન્દ્રનાં નિયામક પ્રો. સી. કે. ધમસાણીયા, પ્રો. મિહિરભાઈ જોશી, પ્રો. મીનુ જસદણવાળા, જનાર્દનભાઈ પંડયા, જીતેશભાઈ પંડીત, પીયૂષભાઈ મહેતા, મિનેષભાઈ મેઘાણી, નિલેશભાઈ રાણા, પ્રશાંતભાઈ ચાવડા, તૃપ્તિબેન ચૌહાણ, અવિનાશભાઈ વ્યાસ, વગેરેએ બેઠકમાં ભાગ લીધેલ હતો. આ કાર્યક્રમોનો લાભ લેવાં લોક વિજ્ઞાન કેન્દ્ર, રાજકોટની મુલાકાત લેવાનું અને આ ભગીરથ કાર્યમાં જોડાવાનું સૌને આમંત્રણ છે. વધુ માહિતી માટે ઓ. વે. શેઠ પ્રાદેશિક લોક વિજ્ઞાન કેન્દ્ર – રેસકોર્ષ, રાજકોટ ખાતે સવારે ૧૦ થી સાંજે ૬ સધીમાં રુબરુ સંપર્ક કરવાં જણાવ્યું છે.


