લગ્નના 20 દિવસ પહેલાં યુવતીએ ઝેરી ટીકડીઓ ગળી જીવન ટૂંકાવ્યું
કંકોત્રી બાંટવા ગયેલા માતા-પિતા ઘરે પરત ફરતા પહેલાં જ સર્જાઈ કરુણ ઘટના; 21 જૂને થવાના હતા લગ્ન
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટના મવડી ચોકડી નજીક આવેલી જલારામ સોસાયટીમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. પરિવાર જ્યાં દીકરીના લગ્નની ખુશીઓમાં ડૂબેલો હતો, ત્યાં અચાનક શોકનો માહોલ છવાઈ ગયો. આગામી 21 જૂને લગ્નગ્રંથિથી જોડાવાની તૈયારી કરી રહેલી 27 વર્ષીય આરતીબેન રમણીકભાઈ પરમારે ઝેરી દવા પી જીવનનો અંત આણી લીધો હતો.
પ્રાપ્ત વિગતો અનુસાર, આરતીબેનની સગાઈ બિલખાના એક યુવક સાથે થઈ હતી અને લગ્નની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી હતી. તાજેતરમાં જ લગ્નની કંકોત્રીઓ છપાઈ હતી. ગત સાંજે માતા-પિતા સગાસંબંધીઓને આમંત્રણ આપવા માટે કંકોત્રીઓ લઈને બહાર ગયા હતા ત્યારે આરતીબેન ઘરે એકલી હતી.
આ દરમિયાન તેણે ઘઉંમાં રાખવામાં આવતી ઝેરી ટીકડીઓ ગળી લીધી હતી. દવા પીધા બાદ તેણે પંચરની દુકાને બેઠેલા પોતાના ભાઈ અભીને ફોન કરી તબિયત ખરાબ હોવાનું જણાવ્યું હતું. ભાઈ તરત જ ઘરે પહોંચ્યો ત્યારે આરતીબેન ઉલ્ટી અને ઉબકાં કરતી હાલતમાં મળી આવી હતી. પૂછપરછમાં તેણીએ ઝેરી ટીકડીઓ પી લીધાનું જણાવ્યું હતું. પરિવારજનોને જાણ કર્યા બાદ આરતીબેનને તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી. જોકે તબીબોની તમામ કોશિશો છતાં મોડી રાત્રે તેણીનું મૃત્યુ નીપજ્યું હતું.
આરતીબેન એક ભાઈ અને બે બહેનોમાં મોટી હતી. પરિવારના સભ્યોના જણાવ્યા મુજબ તેણીએ રાજીખુશીથી સગાઈ કરી હતી અને લગ્નની તૈયારીઓમાં પણ સક્રિય હતી. આવા સંજોગોમાં તેણીએ આ પગલું શા માટે ભર્યું તે અંગે પરિવારજનો પણ અજાણ છે.
જે ઘરમાં લગ્નગીતોની તૈયારીઓ ચાલી રહી હતી ત્યાં અચાનક શોકનું મૌન છવાઈ જતાં સમગ્ર પરમાર-મોચી પરિવારમાં ગમગીની વ્યાપી ગઈ છે. ઘટનાની જાણ થતાં માલવીયાનગર પોલીસના હેડ કોન્સ્ટેબલ સારંગભાઈ ઓગાણીયાએ જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ દ્વારા વધુ તપાસ કરવામાં આવી રહી છે અને અંતિમવિધિ બાદ પરિવારજનોના નિવેદનો લેવામાં આવશે.
આ કરુણ ઘટનાએ વિસ્તારના રહેવાસીઓમાં પણ ભારે શોકની લાગણી ફેલાવી છે.


