- બનાસકાંઠના કણોદરમાં ઔષધ નિયમન તંત્રના દરોડા
- બનાસકાંઠાના કણોદર ખાતે શ્રીમૂલ ડેરીમાં તપાસ કરતાં શકાસ્પદ ઘીનો જથ્થો મળ્યો
- પેઢીના માલિક વિપુલ રાવલની હાજરીમાં પૃથ્થકરણ માટે શ્રીમૂલ ઘીના ત્રણ નમૂના લેવામાં આવ્યા
ખોરાક અને ઔષધ નિયમન તંત્રે બનાસકાંઠા જિલ્લાના કણોદર ખાતેની બે પેઢી ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ કરીને નાગરિકોના આરોગ્ય સાથે ચેડા કરતી હોવાની બાતમી આધારે દરોડો પાડયો હતો, કણોદર ખાતે શ્રીમૂલ ડેરી અને નમસ્તે ફૂડ પ્રોડક્ટસમાં રેડ કરી અખાદ્ય જથ્થો જપ્ત કરાયો હતો, બંને પેઢીમાં રૂ.53 લાખની કિંમતનો 8200 કિ.ગ્રા. શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે.
બનાસકાંઠાના કણોદર ખાતે શ્રીમૂલ ડેરીમાં તપાસ કરતાં શકાસ્પદ ઘીનો જથ્થો મળ્યો હતો, પેઢીના માલિક વિપુલ રાવલની હાજરીમાં પૃથ્થકરણ માટે શ્રીમૂલ ઘીના ત્રણ નમૂના લેવામાં આવ્યા હતા, જ્યારે બાકીનો 41.86 લાખની કિંમતનો 6354 કિ.ગ્રા. શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. કણોદર ખાતે નમસ્તે ફૂડ પ્રોડક્સમાં રેડ કરતાં ત્યાં પણ શંકાસ્પદ ઘીનો જથ્થો મળ્યો હતો, પેઢીના માલિક વગર પરવાનાએ ઘીનું ઉત્પાદન કરતાં હોવાનું જણાયું હતું.
પેઢીના માલિક ફિરોઝ હૈદર અઘારિયાની હાજરીમાં નમસ્તે ઘીના 6 નમૂના લેવાયા હતા જ્યારે બાકીનો 10.82 લાખની કિંમતનો 1754 કિ.ગ્રા. જેટલો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. હવે પૃથ્થકરણ અહેવાલ આવ્યા બાદ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.


