રાજકોટ જિલ્લા પંચાયતમાં 29 બેઠકમાં બદલાવ થતા પ્રમુખ સહિતના દિગ્ગજ નેતાઓ કપાયા
કોંગ્રેસમાંથી પક્ષપલ્ટો કરનાર અર્જુન ખાટરીયાની ટિકિટ કપાઈ, પ્રવિણાબેન રંગાણી, પી.જી.કિયાડા, પૂર્વ પ્રમુખ ભુપત બોદર, સહદેવસિંહ જાડેજા સહિતના ધૂરંધરોને ન મળી ટીકીટ
36 બેઠકમાંથી 6 રિપીટ, 3માં નામ બાકી અને 27 સીટ પર નવા ચહેરાઓને મેદાનમાં ઉતારાયા: લોધિકાની ટીકીટ હાસ્ય કલાકાર ધીરૂભાઈ સરવૈયાના પુત્રને અપાઈ
લેઉવા પટેલને 11, કોળી સમાજને 9, અનુસુચિત જાતિ અને આહિર સમાજને 4-4 અને કડવા પાટીદારના 2 ઉમેદવારનો સમાવેશ
અગ્ર ગુજરાત, રાજકોટ
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું બ્યૂગલ ફૂંકાઈ ચૂક્યું છે. રાજકોટ જિલ્લા પંચાયતમાં ભાજપ, કોંગ્રેસ અને AAP મેદાનમાં છે. આ ત્રણેય વચ્ચે ટક્કર જોવા મળશે. હાલમાં ત્રણેય પક્ષો ભાજપ-કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પોતાના ઉમેદવારોના નામો જાહેર કરી રહી છે.
રાજકોટ જિલ્લા પંચાયતની 36 પૈકી 33 બેઠક ઉપર શુક્રવારે ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે તો બેડલાં, કુવાડવા, અને શિવરાજપુર બેઠકના ઉમેદવાર જાહેર કરવાના બાકી છે. જાહેર થયેલા ઉમેદવારોમાં બેડી બેઠક પર સુમીતાબેન ચાવડાને રિપીટ કરવામાં આવ્યા જયારે રાજેશભાઈ ડાંગરને રિપીટ કરી દેરડીના બદલે મોવિયા બેઠક પરથી ઉમેદવાર જાહેર કરાયા છે અને લોધીકા બેઠક પરથી હાસ્ય કલાકાર ધીરુભાઈ સરવૈયાના પુત્ર દિલીપ સરવૈયાને ટિકિટ આપવામાં આવી છે.
રાજકોટ જિલ્લા પંચાયતમાં 21 બેઠક બિન અનામત સામાન્ય, 10 બેઠક સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ(ઓબીસી), 4 બેઠક અનુસૂચિત જાતિ અને 1 બેઠક અનુસૂચિત જનજાતિની જાહેર કરવામાં આવી છે. રાજ્ય ચૂંટણી પંચે બેઠકોનું રોટેશન કરતા પ્રમુખ અને કારોબારી ચેરમેન સહિત પદાધિકારીના પતા કપાયા છે. જોકે, ઉપપ્રમુખ રાજેશભાઈ ડાંગરને આ વખતે દેરડીના બદલે મોવિયા બેઠક પરથી ઉમેદવાર બનાવી ચૂંટણી લડાવવા જાહેરાત કરવામાં આવી છે.
જિલ્લા પંચાયતમાં સ્ત્રીઓ માટે બિન અનામત સામાન્ય બેઠકમાંથી 10, ઓબીસીની 5, અનુસૂચિત જાતિની 2 અને અનુસૂચિત જનજાતિની 1 મળી કુલ 18 બેઠક અનામત રાખવામાં આવી છે. જિલ્લા પંચાયતની કુલ 36 બેઠકમાંથી માત્ર 7 બેઠક ગત વખતની જેમ યથાવત્ રાખવામાં આવી છે જ્યારે 29 બેઠકમાં ફેરફાર કરવામાં આવતા પ્રમુખ પ્રવિણાબેન રંગાણી, કારોબારી ચેરમેન પી.જી.કિયાડા, પૂર્વ પ્રમુખ ભૂપત બોદર, પૂર્વ કારોબારી ચેરમેન સહદેવસિંહ જાડેજા સહિતના ધુરંધરો કપાઇ ગયા છે.
રાજકોટ જિલ્લા પંચાયતમાં પૂર્વ કારોબારી સમિતિના ચેરમેન અને પૂર્વ વિપક્ષ નેતા પણ રહી ચૂકેલા અર્જુન ખાટરિયાનું પત્તુ કપાઈ ગયું છે. અર્જુન ખાટરીયા 25 વર્ષ સુધી કોંગ્રેસમાં રહ્યા બાદ ગત લોકસભા ચૂંટણી પહેલા વર્ષ 2024માં તેઓએ કેસરિયો ધારણ કરી ભાજપમાં પ્રવેશ કર્યો હતો. તેઓ સતત ચાર ટર્મથી જિલ્લા પંચાયતના સભ્ય તરીકે ચૂંટાઈ આવતા હતા જો કે ભાજપમાં પ્રવેશ બાદ આ વખતે તેમની બાદબાકી કરવામાં આવી છે.
રાજકોટ જીલ્લા પંચાયતની જાહેર કરાયેલી 36 બેઠકોના ઉમેદવારોની યાદીમાં મતક્ષેત્રોની વસતિ અને તેના આધારિત જ્ઞાતિ સમીકરણો પર ફોકસ કરવામાં આવ્યું હતું. જ્ઞાતિવાઈઝ ટિકીટ ફાળવણી ચકાસવામાં આવે તો સૌથી વધુ 11 બેઠકો પર લેઉવા પટેલ ઉમેદવારો છે. જયારે કોળી સમાજના 9, દલિત તથા આહિર સમાજના 4-4 કડવા પાટીદારને બે તથા ક્ષત્રિય, ભરવાડ, ચુંવાળીયા કોળી, ગઢવી, આદિજાતિ તથા રાજપૂત ખાંટ સમાજમાંથી 1-1 ટિકીટો આપવામાં આવી છે.
જીલ્લા પંચાયતની બેઠકોના અનામત રોટેશનમાં ફેરફાર થયો હોવાથી અનેક બેઠકોના સમીકરણો બદલાઈ ગયા હતા પરિણામે અર્ધોડઝન જેટલી સામાન્ય બેઠકો પર પણ અનામત શ્રેણીના ઉમેદવારોને ટિકીટ આપવામાં આવી હતી. જ્ઞાતિ સમીકરણો ગોઠવવા અનેક ફોર્મ્યુલા રજુ થવા છતાં સર્વસંમતિ શકય બની ન હતી.
પ્રથમ ડેમેજ કંટ્રોલ કરાયું અને પછી લીસ્ટ જાહેર કરાયું
અર્જુન ખાટરીયાને અગાઉ બોલાવી લેવાયા હતા. ભાજપના જ સૂત્રોએ કહ્યું કે ઉમેદવારી ટીકીટ માટે ખેંચતાણ અને જબરૂ લોબીંગ હતું જ. અમુક નામો વિશે નેતાગીરીને અગાઉથી જ સંકેત હતા. એટલે કેટલાંક સ્થળોએ અગાઉ જ ડેમેજ કંટ્રોલ કરી લેવાયું હતું. સીનીયર અને તાકાતવર નેતા અર્જુન ખાટરીયાનો દાખલો આપતા સૂત્રોએ કહ્યું કે તેઓ સાથે નેતાગીરીએ અગાઉ જ મીટીંગ કરી લીધી હતી અને માપદંડ આધારિત મર્યાદા વિશે સ્થિતિ સ્પષ્ટ કરી દીધી હતી. કોટડાની બેઠક પર તેઓ કહે તેને ટીકીટ આપવા તૈયારી બતાવી હતી. અર્જુન ખાટરીયાએ વાત સ્વીકારીને યુવરાજભાઇનું નામ સુચવ્યું હતું. એટલે નારાજગીનો છેદ ઉડી ગયો હતો. અર્જુન ખાટરીયા ચાર ટર્મ લડી ચુક્યા હોવાથી ટીકીટ નકારવામાં આવી હતી.


