રાજયની ૧૫ મનપામાં ૫૯૮૪, પાલિકામાં ૭૮૧૮, 3૪ જિલ્લા પં.માં ૪૯૦૬, ૨૬૦ તા.પં.માં ૨૦,૬3૮ ફોર્મ ભરાયા
સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં ૧૦,૦૦પ બેઠકો માટે 3૯,3૮૬ મુરતીયાઓની ઉમેદવારી : સૌથી વધારે તાલુકા પંચાયતમાં દાવેદારી
અગ્ર ગુજરાત, રાજકોટ
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. ઉમેદવારી પત્રો ભરવાની પ્રક્રિયા પૂર્ણ થતાં જ હવે ચૂંટણી જંગ વધુ રોમાંચક બન્યો છે. આજે રાજ્યભરમાં ઉમેદવારી પત્રોની ચકાસણી હાથ ધરવામાં આવી રહી છે. જ્યારે આવતીકાલે ઉમેદવારી પાછી ખેંચવાનો અંતિમ દિવસ હોવાથી રાજકીય પક્ષો પોતાના સમીકરણો ગોઠવવામાં વ્યસ્ત બન્યા છે.
રાજ્યમાં મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની કુલ 10,005 બેઠકો માટે કુલ 39,386 ઉમેદવારી પત્રો ભરાયા છે. આ આંકડા દર્શાવે છે કે, સરેરાશ એક બેઠક દીઠ ચાર જેટલા ઉમેદવારો મેદાનમાં છે, જે ચૂંટણીમાં તીવ્ર સ્પર્ધાનું સંકેત આપે છે. ચૂંટણી આંકડાઓ પર નજર કરીએ તો રાજ્યની 15 મહાનગરપાલિકાની 1,044 બેઠકો માટે 5,984 ઉમેદવારી પત્રો ભરાયા છે. તેમાં પણ અમદાવાદમાં સૌથી વધુ 192 બેઠકો માટે 1,553 ફોર્મ નોંધાયા છે, જ્યારે સુરતમાં 120 બેઠકો માટે 1,059 ઉમેદવારી પત્રો ભરાયા છે. આ બંને શહેરોમાં રાજકીય રસાકસી વધુ તેજ બનવાની શક્યતા છે.
નગરપાલિકાઓમાં પણ ભારે ઉત્સાહ જોવા મળ્યો છે. 84 નગરપાલિકાની 2,624 બેઠકો માટે કુલ 7,818 ફોર્મ ભરાયા છે. ઉપરાંત 11 નગરપાલિકાની 13 બેઠકો માટે યોજાનારી પેટાચૂંટણીમાં 140 ઉમેદવારી પત્રો જમા થયા છે. પંચાયત સ્તરે સૌથી વધુ પ્રતિસ્પર્ધા જોવા મળી રહી છે. 34 જિલ્લા પંચાયતની 1,090 બેઠકો માટે 4,906 ફોર્મ ભરાયા છે, જ્યારે 260 તાલુકા પંચાયતની 5,234 બેઠકો માટે સૌથી વધુ 20,638 ઉમેદવારી પત્રો નોંધાયા છે. આ આંકડાઓથી સ્પષ્ટ થાય છે કે ગ્રામ્ય વિસ્તારોમાં ચૂંટણીને લઈને ભારે ઉત્સાહ છે.
ચૂંટણી પંચના નિયમો મુજબ, આજે તમામ ઉમેદવારી પત્રોની સ્ક્રૂટિની હાથ ધરાશે. આ દરમિયાન ઉમેદવારોના દસ્તાવેજોની ચકાસણી કરીને યોગ્યતા નિર્ધારિત કરવામાં આવશે. ત્યારબાદ આવતીકાલે ફોર્મ પાછા ખેંચવાનો અંતિમ દિવસ હોવાથી અનેક સ્થળોએ રાજકીય દબાણ, સમજુતી અને સમીકરણો ગોઠવાતાં જોવા મળશે. ફોર્મ પાછા ખેંચવાની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જ સ્પષ્ટ થશે કે કેટલાં ઉમેદવારો મેદાનમાં રહેશે અને કેટલાંક બેઠકો બિનહરીફ જાહેર થશે.
હાલ તમામ રાજકીય પક્ષો અને અપક્ષ ઉમેદવારો મતદારોને આકર્ષવા માટે જોરશોરથી તૈયારી કરી રહ્યા છે. આગામી દિવસોમાં પ્રચાર વધુ તેજ બનશે. સ્થાનિક મુદ્દાઓ, વિકાસના પ્રશ્નો અને જ્ઞાતિ આધારિત સમીકરણો ચૂંટણીના કેન્દ્રમાં રહેવાની શક્યતા છે. આ ચૂંટણી માત્ર સત્તા મેળવવાનો જંગ નહીં, પરંતુ સ્થાનિક સ્તરે રાજકીય પ્રભાવ અને નેતૃત્વની કસોટી પણ માનવામાં આવી રહી છે. અંતે જનતા કોને પસંદ કરે છે અને કોના માથે જીતનો તાજ ચઢે છે તે પરિણામના દિવસે જ સ્પષ્ટ થશે.


