સરગમ કલબ સંસ્થા નહી પણ સેવાની યુનિવર્સિટી : મહાનુભાવોના ઉદગાર
વજુભાઈ વાળા, દર્શિતા શાહ, ગીજુભાઈ ભરાડ, મુકેશભાઈ દોશી, કમલનયન સોજીત્રા અને જગદીશ કોટડીયાએ સેવા પ્રવૃત્તિ વખાણી : વાર્ષિક સાધારણ સભા સંપન્ન : ૨૦૨૫-૨૬ના વાર્ષિક હિસાબોને બહાલી
અગ્ર ગુજરાત, રાજકોટ
છેલ્લા ૪૫ વર્ષથી રાજકોટમાં વિવિધ ક્ષેત્રે સેવાકીય પ્રવૃતિ કરતી સામાજિક સંસ્થા સરગમ કલબની વાર્ષિક સાધારણ સભા મળી હતી અને તેમાં વર્ષ ૨૦૨૫-૨૬ના આવક-જાવકના હિસાબોને બહાલી આપવામાં આવી હતી. આ સાધારણ સભામાં ઉપસ્થિત વિવિધ ક્ષેત્રના મહાનુભાવોએ સરગમ કલબની પ્રવૃતિને વખાણી હતી અને આ એક સામાજિક સંસ્થા નહી પણ સેવાની યુનિવર્સિટી છે તેવી લાગણી વ્યક્ત કરી હતી.
પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળાએ આ સભાને સંબોધતા કહ્યું હતું કે, સરગમ કલબ દ્વારા ચાલી રહેલી સેવાનો લાભ છેવાડાના માનવી સુધી મળે છે અને તેને લીધે ઘણા લોકોનું જીવન ધોરણ સુધર્યું છે. તેમણે સરગમ કલબના નવા બની રહેલા સેવા ભવન માટે ઉદાર હાથે ફાળો આપવા દાતાઓ અને સભ્યોને અનુરોધ કર્યો હતો.
શિક્ષણ શાસ્ત્રી ગીજુભાઈ ભરાડે આ પ્રસંગે કહ્યું હતું કે, સરગમ કલબ એક સંસ્થા નથી પણ સેવાની યુનિવર્સિટી છે. દેશમાં કોઈ જગ્યાએ ૪૫ વર્ષથી કાર્યરત અને ૧૧ હજારથી વધુ સભ્યો ધરાવતી કોઈ સેવા સંસ્થા નથી. સાથોસાથ ૫૧ જેટલી સેવા પ્રવૃતી પણ કરવામાં આવે છે. ખરા અર્થમાં સરગમ કલબ એક વિચાર છે જે દરેક ઘરમાં પહોંચે છે અને દરેકને સેવા માટે પ્રેરણા આપે છે.
ધારાસભ્ય દર્શિતા શાહ અને ઉદ્યોગપતિ જગદીશભાઈ કોટડીયાએ પોતાના વક્તવ્યમાં રાજકોટમાં આટલી સરસ સેવા પ્રવૃત્તિ કરવા બદલ સરગમ પરિવાર અને તેના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળાને અભિનંદન આપ્યા હતા. ઉદ્યોગપતિ કમલ નયન સોજીત્રાએ કહ્યું હતું કે, સરગમ કલબની પ્રવૃતિઓને લીધે રાજકોટની એક પ્રકારની શાખ ઉભી થઇ છે. આ શાખ હજુ વધુ મજબુત બને તે માટે સૌએ સરગમ કલબ અને તેના હોદેદારોના હાથ મજબુત કરવા જોઈએ.
ભાજપના પૂર્વ પ્રમુખ મુકેશભાઈ દોશીએ પોતાના વક્તવ્યમાં સરગમ કલબને રાજકોટનું ગૌરવ ગણાવી હતી. તેમણે કહ્યું હતું કે, સરગમ કલબના સેવાભાવી કાર્યકરો અને ગુણવંતભાઈ ડેલાવાળા રાત-દિવસ જોયા વગર સેવા પ્રવૃત્તિ કરે છે જે અનુકરણીય છે.
આ પૂર્વે પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળાએ સ્વાગત પ્રવચનમાં સૌને આવકાર્યા હતા અને સરગમ કલબ દ્વારા નિર્માણ પામી રહેલા સેવા ભવનની વિગતો આપી હતી. તેમણે દાતાઓએ આપેલા સહકાર બદલ આભાર માન્યો હતો સાથોસાથ હજુ બીજા દાતાઓ આ સેવા યજ્ઞમાં સહયોગ આપે તેવી અપીલ કરી હતી.
આ સાધારણ સભામાં સ્મિતભાઈ પટેલે રજુ કરેલા સરગમ કલબના હિસાબોને સર્વાનુમતે બહાલી આપવામાં આવી હતી.
આ સાધારણ સભામાં વજુભાઈ વાળા, ગોવિંદભાઈ પટેલ, મનીષભાઈ માદેકા, જગદીશભાઈ ડોબરિયા, ખોડીદાસભાઈ પટેલ, મુકેશભાઈ દોશી, ડો. સિદ્ધાર્થ પટેલ, યોગેશભાઈ પુજારા, મધુભાઈ પટોળીયા, કમલનયન સોજીત્રા, હિતેશભાઈ દોશી, સ્મિતભાઈ પટેલ, ગીજુભાઈ ભરાડ, નાથાભાઈ કાલરીયા, જગદીશભાઈ કોટડીયા, શિવલાલભાઈ આદ્રોજા, જયેશભાઈ વસા, પ્રવીણભાઈ ધોળકિયા, તેજસભાઈ ભટ્ટી, ગોપાલભાઈ સાપરિયા, કિરીટભાઈ પટેલ, હરદેવસિંહ જાડેજા, રાકેશભાઈ પોપટ, ડો. રાજેશભાઈ પટેલ, દિનેશભાઈ અમૃતિયા, યજ્ઞેશભાઈ પટેલ, હરીસીંગભાઈ સુચરિયા, ડો. દર્શીતાબેન શાહ, પરસોત્તમભાઈ કમાણી, અર્જુનભાઈ શિંગાળા, ઘનશ્યામ પરસાણા, રાજભા ગોહિલ, શૈલેશભાઈ માઉ, કાશ્મીરાબેન નથવાણી, ચંદ્રિકાબેન ધામેલીયા, જયશ્રીબેન સેજપાલ, લતાબેન તન્ના, ડો. ચંદાબેન શાહ, સુધાબેન ભાયા, અલ્કાબેન કામદાર, ગીતાબેન હિરાણી, અલ્કા ધામેલીયા, જસુમતીબેન વસાણી અને શિલ્પાબેન પુજારા વગેરે હાજર રહ્યા હતા.
આ સાધારણ સભાનું સંચાલન ડો. જ્યોતિબેન રાજગુરુએ કર્યું હતું જયારે આભારવિધિ જયેશભાઈ વસાએ કરી હતી. આ સાધારણ સભાની વ્યવસ્થામાં ગુણવંતભાઈ ડેલાવાળાનાં માર્ગદર્શન હેઠળ ભરતભાઈ સોલંકી, જયસુખભાઈ ડાભી, અનવર ઠેબા, રાજેન્દ્રભાઈ શેઠ અને કનૈયાલાલ ગજેરા વગેરે જોડાયા હતા.


