સવન સરફેસ પરિવાર આયોજિત શ્રીમદ્દ ભાગવત સપ્તાહ સંપન્ન
કથા દરમિયાન વિવિધ પ્રસંગોની ઉજવણી કરાઇ
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટમાં રૈયા ગામની નજીક રૈયા રોડ પર સવન સરફેસ પરિવાર દ્વારા ચૈત્ર માસમાં સામૂહિક શ્રીમદ્દ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન થયું હતું. જેમાં વક્તાપદે બ્રહ્મલીન ભાગવતાચાર્ય મનહરલાલજી મહારાજના પુત્ર શાસ્ત્રી ડો.કૃષ્ણકુમાર મહેતા ( M.Sc, M.Ed, Ph.D.)એ ભાગવતજીના રહસ્યોનું સરળ સમજૂતી સાથે વર્ણન કર્યું હતું. તેમજ શુદ્ધ કથા, મૂળ કથાની ત્રણ પેઢીની પરંપરાને અનુસરીને બોધદાયી દ્રષ્ટાંતો, પર્યાવરણ, રાષ્ટ્રપ્રેમ, વ્યસનમુક્તિ, દહેજપ્રથા,વાચનટેવવગેરેને આવરી લઈને લોકજાગૃતિનુ કર્તવ્ય નિભાવ્યું હતું.આ આયોજનમાં ભરતભાઈ સોની તથા વ્રજલાલ જોબનપુત્રા કથાના મુખ્ય યજમાનપદે રહ્યા હતા.તેમજ સીમાબેન કણજારીયા,ડો.મનીષ સંચાણીયા, વિશાલભાઈ મેંઢાં,વિશાલભાઈ પોપટ, શીતલબેન હિમાંશુભાઈ માધાણી, વ્યોમ મોરઝરિયા, સંજય રાયઠઠ્ઠા, સ્વ.રીતેશભાઈ પારેખ પરિવાર, રાજેશ્રી હરેશભાઈ હિન્ડોચા, દીપચંદભાઈ ગુપ્તા, ડો.વિધિ જય પરીખ, જયભાઈ મકવાણા, પરાગભાઈ હિંગુ વગેરે ભાવિકો પોથીજીના તથા કથા પ્રસંગોના યજમાન તરીકે પૂજાવિધિમા સહભાગી થયા હતા.
ભવ્ય પોથીયાત્રા સાથે કથાનો શુભારંભ થયો હતો.ભાગવત કથામાં વરાહ નારાયણ, કપિલ ભગવાન, સતીચરિત્ર, ધ્રુવચરિત્ર, નૃસિંહપ્રાકટ્ય, વામનજન્મ, રામજન્મ,કૃષ્ણજન્મ-વેશભૂષાસાથે ભવ્ય નંદમહોત્સવ, બાળલીલા, ગીરીરાજ ઉત્સવ,રુકમણી વિવાહ,સુદામા ચરિત્ર વગેરે પ્રસંગો ભાવપૂર્વક ઉજવાયા હતા.કથાની પૂર્ણાહુતિ પ્રસંગે સૌ યજમાનો અને કાર્યકરોનું સન્માન થયું હતું.આ તકે આયોજકોએ કથાકાર ડો.કૃષ્ણકુમાર મહેતાની સંગીતમય કથાશૈલીને બિરદાવી હતી. કથામાં વિવિધ ક્ષેત્રના સામાજિક, ધાર્મિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.ચૈત્ર માસમાં આયોજિત આ પાવન સામૂહિક ભાગવત સપ્તાહમાં સવન સરફેસ રેસીડન્સીના તમામ રહેવાસીઓ સદ્ભાગી થયા હતા.તેમ સવન સરફેસ પરિવાર શ્રીમદ્દ ભાગવત સપ્તાહ સમિતિની યાદીમાં જણાવાયું છે.


