કોંગ્રેસના સ્ટાર પ્રચારક સામે નારાજગી
ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી સામે જ કાર્યકરોએ ફરકાવ્યા કાળા વાવટા
ટિકિટ કપાતા નારાજ ઉમેદવારોના સમર્થકો દ્વારા પ્રચાર-પ્રસાર સમયે વિરોધ પ્રદર્શન : આંતરિક ડખ્ખો સપાટીએ આવ્યો
અગ્ર ગુજરાત, અમદાવાદ
સ્થાનિક સ્વરાજયની ચૂંટણીનો પ્રચાર પ્રસાર ગતિ પકડી છે. દરેક રાજકીય પક્ષો દ્વારા પ્રચારકોની યાદી જાહેર કરવામાં આવી છે. કોંગ્રેસે પણ તેના ૪૦ સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરવામાં આવી છે. તેમાં જીજ્ઞેશ મેવાણીનો પણ સમાવેશ થાય છે. ત્યારે અમદાવાદમાં કોંગ્રેસના જ કાર્યકરો દ્વારા પોતાના પક્ષના લડાયક અને સ્ટાર પ્રચારક ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી સામે કાળા વાવટા ફરકાવી વિરોધ પ્રદર્શન કરવામાં આવતા રાજકીય વાતાવરણમાં ગરમાવો આવ્યો હતો અને પક્ષમાં પણ ખળભળાટ મચી ગયો છે.
ત્રણેય રાજકીય પક્ષોમાંથી ટિકિટ કપાઇ હોય તેવા ઉમેદવારો દ્વારા નારાજગી વ્યકત કરાઇ હતી અને પક્ષો સામે જ મોરચા માંડવામાં આવ્યા છે. ત્યારે રખિયાલમાં પણ ટિકિટ કપાઇ હોવાથી પક્ષના કાર્યકર દ્વારા જીજ્ઞેશ મેવાણી સામે કાળા વાવટા ફરકાવી વિરોધ કરવામાં આવ્યો હતો.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી પહેલા કોંગ્રેસમાં ચાલી રહેલો આંતરિક વિવાદ હવે ખુલ્લો પડી રહ્યો છે. ખાસ કરીને રખિયાલ-સરસપુર વોર્ડમાં ટિકિટ વહેંચણીને લઈને ઉભેલા અસંતોષે પ્રચાર દરમિયાન જ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું છે.
કોંગ્રેસના સ્ટાર પ્રચારક અને વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી 19 એપ્રિલે રખિયાલ-સરસપુર વોર્ડમાં ઉમેદવારોના સમર્થનમાં રેલી માટે પહોંચ્યા હતા. રેલીમાં પૂર્વ ધારાસભ્ય હિંમતસિંહ પટેલ સહિતના નેતાઓ જોડાયા હતા. જોકે, રેલી દરમિયાન મન્સૂરીની ચાલી વિસ્તારમાં સ્થાનિક કાર્યકર્તાઓએ કાળા ઝંડા ફરકાવી વિરોધ નોંધાવ્યો હતો. કાર્યકર્તાઓએ “હાય હાય”ના નારા લગાવી પ્રચારમાં વિક્ષેપ ઊભો કર્યો હતો.
આ વિરોધનું મુખ્ય કારણ ટિકિટ વહેંચણીમાં થયેલા ફેરફારો છે. સ્થાનિક કાર્યકર્તાઓનો આરોપ છે કે સિનિયર નેતાઓએ પોતાના નજીકના લોકોને ટિકિટ અપાવવા માટે સક્રિય કાર્યકર્તાઓને અવગણ્યા છે. અંતિમ ક્ષણે ઉમેદવારોના નામોમાં ફેરફાર થતા ઘણા કાર્યકર્તાઓમાં ભારે નારાજગી ફેલાઈ છે.
ટિકિટ કપાતા નારાજગી વ્યકત કરી
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ માઈનોરિટી સેલના પૂર્વ મહામંત્રી શકીલ ઘાંચીએ જણાવ્યું હતું કે તેમની પત્નીને ટિકિટ આપવાનું નક્કી થયું હતું અને ઉજવણી પણ કરી દેવામાં આવી હતી. છતાં છેલ્લી ઘડીએ ટિકિટ કાપીને અન્ય ઉમેદવારને આપવામાં આવી. આ ઘટનાથી નિરાશ થઈ તેમણે રાજીનામું આપ્યું હતું. તેમની આગેવાનીમાં સ્થાનિક કાર્યકર્તાઓએ રેલી દરમિયાન વિરોધ કર્યો હતો.
ચૂંટણી પરિણામ પર અસરની સંભાવના
આ ઘટના દર્શાવે છે કે કોંગ્રેસમાં આંતરિક અસંતોષ ઊંડો છે, જે ચૂંટણી પ્રચારને સીધી અસર કરી રહ્યો છે. સ્ટાર પ્રચારકો સામે જ વિરોધ થવો એ પક્ષ માટે ચિંતાજનક સંકેત માનવામાં આવી રહ્યો છે. જો આ વિવાદ શમાવવામાં નહીં આવે તો તેનો સીધો પ્રભાવ મતદાન અને ચૂંટણી પરિણામ પર પડી શકે છે.


