ધનંજય ફાઇનાન્સ કૌભાંડમાં નવો ખુલાસો
કૌભાંડી પાંભર દંપતીએ ખોટા પાસપોર્ટ બનાવી કોર્ટની મંજૂરી વગર વિદેશ પ્રવાસો કર્યા
6.28 કરોડના ઠગાઈ કેસમાં જામીનની શરતોનો ભંગ, સુરતમાં ખોટી અરજી કરીને નવા પાસપોર્ટ મેળવી 2024થી 2026 દરમ્યાન વિદેશ યાત્રા કરતા ફરિયાદ નોંધાઈ
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ સહિત ગુજરાતના અનેક શહેરોમાં રોકાણકારોને ઊંચા વ્યાજના લાલચમાં ફસાવી કરોડો રૂપિયાની છેતરપિંડી કરનાર ધનંજય ફાઇનાન્સ લિમિટેડ (DFL) કૌભાંડમાં એક ચોંકાવનારો નવો વળાંક આવ્યો છે. અગાઉથી જ કરોડો રૂપિયાની ઠગાઈના કેસમાં આરોપી બનેલા ઘનશ્યામભાઈ વલ્લભભાઈ પાંભર અને તેમની પત્ની અસ્મિતાબેન પાંભર સામે હવે ખોટા દસ્તાવેજોના આધારે પાસપોર્ટ મેળવી કોર્ટની પરવાનગી વગર વિદેશ પ્રવાસ કરવાનો ગંભીર આરોપ લાગ્યો છે.
આ મામલે રાજકોટના વકીલ અશોકકુમાર હરીભાઈ કોયાણીએ સુરતના ડિંડોલી પોલીસ મથકમાં વિગતવાર ફરિયાદ નોંધાવી છે, જેમાં સમગ્ર કાવતરું બહાર આવ્યું છે. ફરિયાદ મુજબ આરોપીઓએ કોર્ટમાં પોતાના મૂળ પાસપોર્ટ જમા કરાવ્યા હોવા છતાં ખોટી અરજી કરીને નવા પાસપોર્ટ મેળવ્યા અને તેના આધારે વિદેશ યાત્રા કરી કાયદાનો ખુલ્લેઆમ ભંગ કર્યો છે.
ફરિયાદી અશોકકુમાર કોયાણી, જે છેલ્લા પાંચ વર્ષથી રાજકોટ જિલ્લા કોર્ટમાં વકીલાત કરે છે, તેમણે પોતાની અરજીમાં જણાવ્યું છે કે તેઓ અને તેમના સગા-સંબંધીઓ સહિત અનેક લોકોએ ધનંજય ફાઇનાન્સમાં મોટી રકમ રોકાણ કરી હતી. રાજકોટના નાના મવા રોડ પર આવેલી આ ફાઇનાન્સ પેઢીએ લોકોને આકર્ષક વ્યાજ આપવાની લાલચ આપી કરોડો રૂપિયાની ડિપોઝિટ મેળવી હતી.
પરંતુ થોડા સમય બાદ આ પેઢી અચાનક બંધ થઈ ગઈ અને રોકાણકારોના પૈસા પરત ન મળતા ભોગ બનનારાઓમાં રોષ ફાટી નીકળ્યો હતો. આ કેસમાં અગાઉ રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો, જેમાં આરોપીઓએ કુલ 6.28 કરોડ રૂપિયાની છેતરપિંડી કરી હોવાનો ખુલાસો થયો હતો. આ ગુનામાં IPCની કલમ 406, 409, 420, 114, 120(B) તેમજ ગુજરાત પ્રોટેક્શન ઓફ ઈન્ટરેસ્ટ ઓફ ડીપોઝીટર એક્ટ હેઠળ કાર્યવાહી હાથ ધરાઈ હતી.
આ કેસમાં ઘનશ્યામભાઈ પાંભર અને અસ્મિતાબેન પાંભરે ગુજરાત હાઈકોર્ટમાંથી આગોતરા જામીન મેળવ્યા હતા. જામીન મળતી વખતે કોર્ટ દ્વારા સ્પષ્ટ શરત મૂકી હતી કે તેઓ ટ્રાયલ કોર્ટની મંજૂરી વગર દેશ છોડશે નહીં અને તેમના પાસપોર્ટ કોર્ટમાં જમા કરાવવાના રહેશે. આરોપીઓએ આ શરત મુજબ પોતાના પાસપોર્ટ કોર્ટમાં જમા પણ કરાવ્યા હતા.
પરંતુ ફરિયાદ મુજબ, ત્યારબાદ આરોપીઓએ કાવતરું રચી સુરતના ડિંડોલી પોલીસ સ્ટેશનમાં પોતાના પાસપોર્ટ ખોવાઈ ગયા હોવાની ખોટી અરજી કરી. આ ખોટી માહિતીના આધારે દાખલો મેળવી તેમણે સુરત રીજીયોનલ પાસપોર્ટ ઓફિસમાં નવા પાસપોર્ટ માટે અરજી કરી અને નવા પાસપોર્ટ મેળવી લીધા.
તપાસમાં બહાર આવ્યું છે કે ઘનશ્યામભાઈએ પાસપોર્ટ નંબર C1065080 અને અસ્મિતાબેને પાસપોર્ટ નંબર C1061793 મેળવ્યા હતા. આ નવા પાસપોર્ટના આધારે બંનેએ 2024 થી 2026 દરમિયાન વિદેશ પ્રવાસ કર્યા હોવાના આક્ષેપો છે.
ફરિયાદમાં વધુમાં જણાવાયું છે કે આરોપીઓએ આ સમગ્ર પ્રક્રિયામાં સરકારી તંત્રને ખોટી માહિતી આપી, બનાવટી દસ્તાવેજો તૈયાર કર્યા અને તેનો ઉપયોગ કરીને કાયદેસરની પ્રક્રિયાનો દુરુપયોગ કર્યો. આ કૃત્ય રાજ્યસેવકોને ગેરમાર્ગે દોરી ઠગાઈ કરવા સમાન છે.
આ મામલે રાજકોટ તાલુકા પોલીસ દ્વારા કરવામાં આવેલી તપાસના અહેવાલમાં પણ આ હકીકતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. RTI હેઠળ મેળવાયેલા દસ્તાવેજોમાં સ્પષ્ટ થાય છે કે આરોપીઓએ કોર્ટની શરતોનો ભંગ કર્યો છે અને ખોટા દસ્તાવેજોના આધારે પાસપોર્ટ મેળવી વિદેશ યાત્રા કરી છે.
હાલમાં આ મામલો વધુ ગંભીર બનતા ફરી એકવાર પોલીસ તંત્ર સક્રિય થયું છે. ફરિયાદીના જણાવ્યા મુજબ, આ સમગ્ર પ્રકરણમાં આરોપીઓએ પૂર્વયોજિત કાવતરું રચી ગુનો આચર્યો છે અને તેમના વિરુદ્ધ કડક કાનૂની કાર્યવાહી થવી જોઈએ.
આ કેસ માત્ર આર્થિક છેતરપિંડી પૂરતો મર્યાદિત નથી રહ્યો, પરંતુ હવે તેમાં દસ્તાવેજી બનાવટ, કોર્ટના આદેશનો ભંગ અને સરકારી તંત્ર સાથે છેતરપિંડી જેવા ગંભીર ગુનાઓ પણ જોડાઈ ગયા છે.
મહત્વપૂર્ણ છે કે અગાઉના ઠગાઈ કેસના ટ્રાયલ હજુ રાજકોટ કોર્ટમાં ચાલુ છે, ત્યારે આ નવી ફરિયાદથી આરોપીઓ માટે મુશ્કેલીઓ વધુ વધી શકે છે. જો આરોપો સાબિત થાય, તો તેમને વધુ કડક સજા ભોગવવી પડી શકે છે.
આ સમગ્ર ઘટનાએ રોકાણકારોમાં ફરી એકવાર ચિંતા ફેલાવી છે. લોકો હવે ફાઇનાન્સ કંપનીઓમાં રોકાણ કરતા પહેલા વધુ સાવચેતી રાખવાની જરૂરિયાત અનુભવી રહ્યા છે. સાથે સાથે આ કેસે કાયદા અને વ્યવસ્થાની અસરકારક અમલવારી અંગે પણ સવાલો ઉભા કર્યા છે.
હાલ પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ શરૂ કરી છે અને આરોપીઓની હરકતો અંગે પુરાવા એકત્રિત કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. આવનારા દિવસોમાં આ કેસમાં વધુ મોટા ખુલાસા થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.
જામીન રદ કરવાની કાર્યવાહી શરૂ
ધનંજય ફાઇનાન્સ કૌભાંડમાં નવા ખુલાસા બાદ રાજકોટ પોલીસે કડક પગલાં લેવાનું શરૂ કર્યું છે. ઘનશ્યામ પાંભર અને તેમની પત્ની અસ્મિતા પાંભરે કોર્ટમાં પાસપોર્ટ જમા કરાવ્યા હોવા છતાં ખોટા દસ્તાવેજોના આધારે નવા પાસપોર્ટ મેળવી વિદેશ પ્રવાસ કર્યો હોવાના આક્ષેપોને ગંભીરતાથી લેવામાં આવ્યા છે. આ બાબતને આધારે રાજકોટ પોલીસે બંને આરોપીઓના જામીન રદ કરવા માટે કાનૂની કાર્યવાહી શરૂ કરી છે. કોર્ટના આદેશનો ભંગ અને ખોટી માહિતી આપવાના મુદ્દે હવે કેસ વધુ ગંભીર બન્યો છે, જેના કારણે આરોપીઓ માટે મુશ્કેલીઓ વધી રહી છે.
સુરત પોલીસ દ્વારા ગુનો દાખલ, ધરપકડ
રાજકોટ પોલીસ દ્વારા કરવામાં આવેલી પ્રાથમિક તપાસ બાદ સમગ્ર મામલો સુરત પોલીસને સોંપવામાં આવ્યો હતો. પોલીસ કમિશનર મારફત ફરિયાદ ડીંડોલી પોલીસ સ્ટેશન સુધી પહોંચતા સુરત પોલીસે તાત્કાલિક ગુનો દાખલ કર્યો હતો. તપાસ દરમિયાન પૂરતા પુરાવા મળતા પાંભર દંપત્તિની ધરપકડ કરવામાં આવી છે. આ કાર્યવાહીથી સ્પષ્ટ થાય છે કે પોલીસ તંત્ર આ મામલે ગંભીર છે અને કોઈપણ પ્રકારની ગેરરીતિ સહન નહીં કરવામાં આવે. હાલ આરોપીઓને કાયદેસર પ્રક્રિયા હેઠળ વધુ પૂછપરછ માટે કસ્ટડીમાં લેવામાં આવ્યા છે.
બોગસ ડોક્યુમેન્ટ બનાવનારા સુધી પહોંચશે તપાસ
સુરતના ડીંડોલી પોલીસ દ્વારા હવે તપાસનો ફોકસ માત્ર આરોપીઓ સુધી મર્યાદિત નથી, પરંતુ બોગસ દસ્તાવેજ બનાવનારા નેટવર્ક સુધી પહોંચવાનો છે. ખોટા દસ્તાવેજોના આધારે પાસપોર્ટ કેવી રીતે કઢાવવામાં આવ્યા અને તેમાં કોનો સહયોગ હતો તે જાણવા માટે પોલીસે તપાસ તેજ બનાવી છે. પાસપોર્ટ ઓફિસ સુધી આ ખોટી માહિતી કેવી રીતે પહોંચી અને કોના મારફતે સમગ્ર કાવતરું રચાયું તે મુદ્દાઓ પર ઊંડાણપૂર્વક તપાસ ચાલી રહી છે. આવનારા સમયમાં આ કેસમાં વધુ નામો બહાર આવવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.


