રાજકોટમાં છેલ્લી ઘડીએ પ્રચાર-પ્રસાર કરતા દિલ્હીના પૂર્વ ડે.મુખ્યમંત્રી
ભ્રષ્ટાચાર-મીલીભગત વિરૂધ્ધ ‘આપ’ એક માત્ર વિકલ્પ : સિસોદીયા
વિજય વિશ્વાસ પદયાત્રામાં મનિષ સિસોદીયાના શાસકો પર આકરા પ્રહાર, યાત્રામાં હજારો કાર્યકર્તાઓ જોડાયા
ગુજરાતના લોકોને ભાજપ ગુલામ સમજે છે, કોંગ્રેસના ઉમેદવારો કમલમમાંથી નક્કી થતા હોવાનો ટોણો
મહાપાલિકાની ચૂંટણીમાં આપ એક મજબૂત અને નિર્ણાયક વિકલ્પ તરીકે ઉભરી આપશે : મનિષ સિસોદીયા
અગ્ર ગુજરાત, રાજકોટ
સ્થાનિક સ્વરાજયની ચૂંટણીના પ્રચાર-પડઘમ આજે સાંજે શાંત થઇ જશે તે અગાઉ રાજકોટમાં આમ આદમી પાર્ટીના નેતા અને દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સીસોદીયા દ્વારા પદયાત્રા કરવામાં આવી હતી અને તે પૂર્વે પત્રકાર પરિષદ સંબોધી હતી જેમાં તેમણે ભાજપ સામે આકરા પ્રહાર કર્યા હતાં. તેમણે જણાવ્યું હતું કે ગુજરાતના લોકોને ભાજપ ગુલામ સમજે છે અને કોંગ્રેસના ઉમેદવારો કમલમમાંથી નક્કી થાય છે. પ્રજા માટે હવે એક માત્ર વિકલ્પ આપ છે. પદયાત્રામાં હજારોની સંખ્યામાં કાર્યકરો અને સામાન્ય જનતા જોડાઇ હતી. મનીષ સીસોદીયાની મુલાકાતથી રાજકોટમાં રાજકીય ગરમાવો આવ્યો છે.
મનીષ સિસોદિયાએ સૌથી મોટો હુમલો તાજેતરમાં ગાજેલા હવાલાકાંડ મુદ્દે કર્યો હતો. તપાસ એજન્સીઓ અને રાજ્ય સરકારની મિલીભગત હોવાનો ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, આ મામલે ભાજપ દ્વારા જનતાની આંખમાં ધૂળ નાખવાનો પ્રયાસ થઈ રહ્યો છે. તેમણે સવાલ ઉઠાવ્યો હતો કે માત્ર 10 થી 30 સેકન્ડના સીસીટીવી ક્લિપિંગ્સ જાહેર કરીને લોકોને શું સાબિત કરવા માંગો છો? સિસોદિયાએ તપાસ એજન્સીઓને પડકાર ફેંકતા કહ્યું કે, જો તમારામાં હિંમત હોય તો તે દિવસના આખા દિવસના તમામ સીસીટીવી ફૂટેજ સાર્વજનિક કરો. તેમણે દાવો કર્યો હતો કે જો સંપૂર્ણ ફૂટેજ બહાર આવશે, તો ગુજરાતની જનતા જોશે કે ભાજપના કયા કયા મોટા માથાઓ અને નેતાઓ રૂપિયા લેવા માટે તે સ્થળે પહોંચ્યા હતા. તેમના મતે, છેલ્લા 30 વર્ષના શાસનમાં ગુજરાતમાં આંગણિયા અને હવાલાનું નેટવર્ક વ્યાપક બન્યું છે, જે શાસકો માટે અત્યંત શરમની બાબત છે.
રાજકોટના ઇતિહાસની સૌથી કમનસીબ ઘટના એવી TRP ગેમ ઝોન અગ્નિકાંડ વિશે વાત કરતા સિસોદિયા ભાવુક અને આક્રમક જણાતા હતા. તેમણે આરોપ લગાવ્યો હતો કે આ ભીષણ કાંડમાં અનેક માસૂમ જીવ ગયા છે, જેની પાછળ સીધેસીધો ભ્રષ્ટાચાર જવાબદાર છે. તેમણે આક્ષેપ કર્યો કે આ ગેમ ઝોન સાથે ભાજપના સ્થાનિક નેતાઓના હિતો જોડાયેલા હતા અને તેમની રહેમરાહે જ તમામ નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું. સત્તાના પ્રભાવ હેઠળ મોટા નેતાઓ સામે હજુ સુધી કોઈ કડક કાર્યવાહી કરવામાં આવી નથી, તે બાબત જ સાબિત કરે છે કે શાસક પક્ષ પોતાના મળતિયાઓને બચાવવા માટે કોઈ પણ હદે જઈ શકે છે. તેમણે આ મામલે ન્યાયિક તપાસ અને જવાબદારો સામે કડક પગલાંની માંગણી કરી હતી.
શહેરના સ્થાનિક ભ્રષ્ટાચારના મુદ્દે પણ સિસોદિયાએ ભાજપના નેતાઓને આડે હાથ લીધા હતા. તેમણે રાજકોટ ભાજપના નેતાઓ દ્વારા ચલાવવામાં આવતા ‘હપ્તા રાજ’ અને ‘ખંડણીખોરી’નો પર્દાફાશ કર્યો હતો. તેમણે જણાવ્યું કે, ભાજપના નેતાઓએ બાંધકામ ક્ષેત્રના વ્યવસાયીઓ અને બિલ્ડરોને લૂંટવા માટે એક ચોક્કસ મોડસ ઓપરેન્ડી વિકસાવી છે. આ પદ્ધતિ મુજબ, સૌ પ્રથમ કોઈ પણ નવા બાંધકામ સામે પાયાવિહોણી અને ખોટી અરજીઓ કરવામાં આવે છે. ત્યારબાદ સરકારી તંત્રનો ઉપયોગ કરીને નોટિસ મોકલાવી બિલ્ડરોને ડરાવવામાં આવે છે. અંતે, આ વિવાદના ઉકેલ માટે ભાજપના નેતાઓ વચેટિયા બનીને આવે છે અને મામલો થાળે પાડવા માટે રૂ. 50,000 થી લઈને લાખો રૂપિયાની માંગણી કરે છે. આ પ્રકારનો ભ્રષ્ટાચાર રાજકોટના ખૂણે ખૂણે વ્યાપેલો છે અને સામાન્ય વેપારીઓ તેનાથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.
આમ આદમી પાર્ટીની ભવિષ્યની રણનીતિ અંગે વાત કરતા મનીષ સિસોદિયાએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આગામી મહાનગરપાલિકાની ચૂંટણીમાં ‘આપ’ એક મજબૂત અને નિર્ણાયક વિકલ્પ તરીકે ઉભરી આવશે. તેમણે કહ્યું કે ભાજપના નેતાઓ એવા ભ્રમમાં છે કે ગુજરાતની જનતા તેમની ગુલામ છે, કોંગ્રેસના નેતાઓ કામલમમાંથી નક્કી થાય છે. ત્યારે આમ આદમી પાર્ટી એકમાત્ર વિકલ્પ છે. ભાજપનાં નેતાઓ ભૂલી રહ્યા છે કે લોકશાહીમાં જનતા જ સર્વોપરી છે.
જો સરકારના નાક નીચે હવાલાકાંડ ચાલતા હોય અને ભ્રષ્ટાચારીઓ મોજ કરતા હોય, તો આવી સરકારે સત્તા પર રહેવાનો કોઈ અધિકાર નથી. તેમણે રાજકોટની જનતાને અપીલ કરી હતી કે તેઓ ભવિષ્યમાં ભ્રષ્ટાચાર મુક્ત શાસન પસંદ કરે. સિસોદિયાના આક્રમક તેવરથી રાજકોટ સહિત સમગ્ર રાજ્યના રાજકારણમાં ભારે ચર્ચાઓ જાગી છે, અને આગામી દિવસોમાં હવાલાકાંડ મુદ્દે નવા ઘટસ્ફોટ થવાની શક્યતાઓ નકારી શકાતી નથી. મનીષ સિસોદિયાની આ મુલાકાતે ભાજપના ગઢ ગણાતા રાજકોટમાં ચોક્કસપણે હલચલ મચાવી દીધી છે. ત્યારે હવે ભાજપ આ આક્ષેપોનો શું જવાબ આપે છે તે આવનારો સમય બતાવશે.
દબાવવાથી અમે ડરીશું નહી : સિસોદીયા
શિક્ષણ અને સ્વાસ્થ્યના ક્ષેત્રમાં દિલ્હીમાં થયેલા કામોનો ઉલ્લેખ કરતા તેમણે જણાવ્યું કે, ગુજરાતની જનતા હવે સ્લોગન નહીં પણ સુવિધા ઈચ્છે છે. લોકોને મળ્યા બાદ મને સ્પષ્ટ સંકેત મળ્યા છે કે, લોકો હવે પરિવર્તન માટે તૈયાર છે. કાર્યકરોને હાકલ કરી હતી કે તેઓ ગભરાયા વગર ભાજપના અન્યાય સામે અવાજ ઉઠાવે અને જનતાની સેવા કરે. ગુજરાતમાં હવે ડરનું સામ્રાજ્ય સમાપ્ત થવા જઈ રહ્યું છે. જે રીતે વિપક્ષના નેતાઓ પર ખોટા કેસ કરીને તેમને દબાવવાનો પ્રયાસ કરવામાં આવે છે, તેનાથી આમ આદમી પાર્ટી ડરવાની નથી.


