આજીડેમ બન્યો મૃત્યુનો કાળો કૂવો : એકને બચાવવા જતા ચાર જળસમાધિ પામ્યા
રિક્ષા ધોવા ગયા બાદ ન્હાવા પડતા પિતા-પુત્રો સહિત 4ના કરૂણ મોત,ત્રણ મૃતદેહ જેતે સમયે હાથ લાગ્યા જ્યારે ચોથો મૃતદેહ 20 કલાક બાદ મળતાં પરિવારમાં શોકની લાગણી
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ શહેર માટે અત્યંત હૃદયવિદારક ઘટના બની છે. શહેરના ભાવનગર રોડ પર આવેલ આજી ડેમમાં શનિવારે સાંજે એક જ પરિવારના ચાર લોકો પાણીમાં ડૂબી જતા મોતને ભેટ્યા હતા. મૃતકોમાં પિતા, તેમના બે પુત્રો અને ભાણેજનો સમાવેશ થાય છે. ઘટના એવી કરૂણ હતી કે, એક વ્યક્તિને બચાવવા માટે એક પછી એક પાણીમાં પડેલા ચારેય લોકો પોતાનો જીવ ગુમાવી બેઠા. સમગ્ર બનાવે શહેરમાં શોકની લાગણી ફેલાવી દીધી છે.
મોગલ માતાજીના દર્શન બાદ બની દુર્ઘટના
માહિતી મુજબ, શહેરના ઘાંચીવાડ વિસ્તારમાં રહેતા ભરતભાઈ દેવજીભાઈ જાદવ (ઉ.વ. 42) તેમના પરિવાર સાથે શનિવારે ત્રંબા રોડ પર આવેલા મોગલ માતાજીના મંદિરે દર્શન કરવા ગયા હતા. તેમના સાથે તેમના પુત્રો રોહિત (ઉ.વ. 21) અને ધવલ (ઉ.વ. 17) તેમજ સાળીના દીકરા ધ્રુવ મકવાણા (ઉ.વ. 15) પણ હતા. દર્શન પૂર્ણ કર્યા બાદ તેઓ નજીકમાં આવેલા આજી ડેમના કાંઠે રોકાયા હતા.
પ્રાથમિક તપાસ મુજબ, ડેમના કાંઠે પહોંચ્યા બાદ રોહિત પાણીમાં હાથ-પગ ધોવા અથવા ન્હાવા માટે ગયો હતો. પરંતુ પાણીનો ઊંડાણ અંદાજ કરતાં વધુ હોવાથી તે અચાનક ડૂબવા લાગ્યો હતો. રોહિતને ડૂબતા જોઈ પ્રથમ ધવલ તેને બચાવવા માટે પાણીમાં કૂદ્યો. ત્યારબાદ ભાણેજ ધ્રુવ પણ મદદ કરવા માટે પાણીમાં ઉતર્યો. જ્યારે ત્રણેય સંઘર્ષ કરતા દેખાતા હતા ત્યારે પિતા ભરતભાઈ, જેમને તરતા આવડતું હતું, તેઓ પણ તેમને બચાવવા પાણીમાં પડ્યા હતા. છતાં, પાણીની ઊંડાઈ અને પ્રવાહને કારણે કોઈપણ બહાર આવી શક્યા નહીં અને ચારેય ડૂબી ગયા હતા. આ ઘટના દરમ્યાન સાથે આવેલા અન્ય સગા મયુરે ચીસો પાડી આસપાસના લોકોને મદદ માટે બોલાવ્યા અને પરિવારજનોને જાણ કરી હતી.
ઘટનાની જાણ થતા જ રાજકોટ મહાનગરપાલિકાનો ફાયર વિભાગ, પોલીસ અને અન્ય રેસ્ક્યૂ ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી. શનિવારે સાંજે જ ફાયર બ્રિગેડની ટીમે ભારે મહેનત બાદ ત્રણ મૃતદેહોને બહાર કાઢ્યા હતા. પરંતુ રોહિતનો કોઈ પતો ન મળતા શોધખોળ ચાલુ રાખવામાં આવી હતી. રવિવારે સવારે ખાસ એસડીઆરએફ ની ટીમને બોલાવવામાં આવી હતી. આધુનિક સાધનો અને બોટની મદદથી સતત શોધખોળ કર્યા બાદ લગભગ 20 કલાક પછી બપોરે રોહિતનો મૃતદેહ મળી આવ્યો હતો.
આ દુર્ઘટનાએ એક પરિવારને સંપૂર્ણ રીતે તોડી નાંખ્યો છે. ભરતભાઈ જાદવ, જે જંગલેશ્વર વિસ્તારમાં સિંગનું કારખાનું ચલાવતા હતા, તેમના પરિવારનો મુખ્ય આધાર હતા. તેમના મૃત્યુ સાથે પરિવાર પર આર્થિક અને માનસિક બંને રીતે ભારે આફત આવી છે. પરિવારમાં હવે તેમની પત્ની અને માત્ર 7 વર્ષનો નાનો પુત્ર જ જીવતા રહ્યા છે. એક સાથે પતિ અને બે પુત્રોના મૃત્યુથી પરિવારમાં શોકનો માહોલ છવાયો છે.
મૃતક રોહિત પોતાના પિતાના કારખાનામાં મદદ કરતો હતો અને પરિવારની જવાબદારી ઉઠાવતો હતો. જ્યારે ધવલ પણ અભ્યાસ સાથે પિતાને સહયોગ આપતો હતો. બીજી તરફ ધ્રુવ મકવાણા ધોરણ 9 પૂર્ણ કરીને ધોરણ 10માં પ્રવેશવાનો હતો. વેકેશનમાં તે પોતાના માસા-માસીના ઘરે આવ્યો હતો, પરંતુ આ દુર્ઘટનાએ તેના જીવનનો અંત લાવી દીધો.
આ ઘટના બાદ પોલીસ અને પ્રશાસન દ્વારા લોકોને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે. ઝોન-1ના ડીસીપી હેતલ પટેલે જણાવ્યું હતું કે, આજી ડેમમાં ન્હાવા પર પ્રતિબંધ છે. છતાં લોકો મોજમસ્તી માટે આવા જોખમી સ્થળોએ જાય છે, જે જીવલેણ સાબિત થઈ શકે છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં સ્વિમિંગ પૂલોની સુવિધા ઉપલબ્ધ છે, જ્યાં લોકો સુરક્ષિત રીતે તરવાની મજા લઈ શકે છે. તેથી, નાગરિકોએ અનધિકૃત અને જોખમી જળાશયોમાં ન્હાવું કે તરવાનું ટાળવું જોઈએ. આ ઘટના એ સાબિત કરે છે કે પાણી સાથેની નાની બેદરકારી પણ મોટી દુર્ઘટનામાં ફેરવાઈ શકે છે. ખાસ કરીને ડેમ, તળાવ કે નદી જેવા ઊંડા અને અજાણ્યા જળાશયોમાં જવાનું ટાળવું જરૂરી છે. એક ક્ષણની મોજ માટે લેવામાં આવેલો જોખમ આખા પરિવારને જીવનભરનો દુઃખ આપી શકે છે. રાજકોટની આ ઘટના સમગ્ર સમાજ માટે ચેતવણીરૂપ છે.
એક જ પરિવારના ચાર સભ્યોના આ રીતે મૃત્યુ પામવાથી સમગ્ર પરિવારમાં દુઃખ અને વ્યથા વ્યાપી ગઈ છે.


