‘વિઝન ૨૦3૦’ માટે રાજય સરકારની કાલથી ચિંતન શિબિર
તા.૭ સુધી અડાલજના ત્રિમંદિરમાં મહેસુલ વિભાગ દ્વારા વિઝન ૨૦3૦ : ગુજરાતમાં લેન્ડ ગવર્નન્સનું ભવિષ્ય થીમ પર મનોમંથન કરાશે : મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી સહિતના વિષય નિષ્ણાંતો માર્ગદર્શન આપશે
અગ્ર ગુજરાત, ગાંધીનગર
ગુજરાતમાં જમીન વહીવટને વધુ પારદર્શક, ઝડપી અને ટેકનોલોજી આધારિત બનાવવા રાજ્ય સરકાર મોટા પગલાં લઈ રહી છે. આગામી 5થી 7મે દરમિયાન અડાલજ ત્રિમંદિરમાં મહેસૂલ વિભાગ દ્વારા ત્રિ-દિવસીય ‘ચિંતન શિબિર-2026’નું આયોજન કરવામાં આવ્યું છે. “વિઝન 2030: ગુજરાતમાં લેન્ડ ગવર્નન્સનું ભવિષ્ય” થીમ પર યોજાનારી આ શિબિરમાં રાજ્યના વહીવટી માળખાને વધુ મજબૂત બનાવવા માટે મનોમંથન કરવામાં આવશે.
આ શિબિરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, મહેસૂલ રાજ્યમંત્રી સંજયસિંહ મહિડા સહિત વરિષ્ઠ સચિવો, અધિકારીઓ અને વિષય નિષ્ણાતો ઉપસ્થિત રહી માર્ગદર્શન આપશે. મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ ડૉ. જયંતી રવિએ જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘વિકસિત ભારત @ 2047’ના વિઝનને સાકાર કરવા ગુજરાત અગ્રીમ ભૂમિકા ભજવશે અને તે માટે ‘વિકસિત ગુજરાત’નું લક્ષ્ય હાંસલ કરવું આવશ્યક છે.
શિબિર દરમિયાન જમીન વહીવટમાં ડિજિટલ ગવર્નન્સ, પેપરલેસ પ્રોપર્ટી રજીસ્ટ્રેશન, ઓનલાઈન કોર્ટ કેસ મેનેજમેન્ટ, આવક રેકોર્ડના ડિજિટાઈઝેશન અને અપડેશન જેવા મુદ્દાઓ પર ઊંડાણપૂર્વક ચર્ચા થશે. નાગરિકોને વધુ પારદર્શક અને ઝડપી સેવાઓ આપવા માટે વહીવટી પ્રક્રિયાઓમાં સુધારા લાવવાનો ખાસ ફોકસ રહેશે.
તે ઉપરાંત સર્વે-રીસર્વે, ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને નવી ટેકનોલોજીના ઉપયોગથી જમીન સંબંધિત સેવાઓ વધુ કાર્યક્ષમ બનાવવા વ્યૂહરચનાઓ ઘડાશે. ISRO, BISAG-N, IIT, IIM, IGNOU અને Survey of India જેવી અગ્રણી સંસ્થાઓના નિષ્ણાતો પણ ભાગ લઈને પોતાના અનુભવ શેર કરશે.
ચિંતન શિબિરના અંતે મહેસૂલ વિભાગ માટે સ્પષ્ટ, વ્યવહારુ અને અમલી બની શકે તેવો રોડમેપ તૈયાર કરવામાં આવશે. આ પહેલથી રાજ્યમાં લેન્ડ ગવર્નન્સમાં મોટા ફેરફારો થવાની સાથે નાગરિક કેન્દ્રિત વહીવટ વધુ મજબૂત બનવાની અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે.


