બિગબજાર, ગોંડલ ચોકડી અને અમીન માર્ગ પર સાત મહિનામાં મળશે ફૂટ ઓવરબ્રિજની સુવિધા
રૂ.૧૭ કરોડના ખર્ચે તૈયાર થનાર ફૂટ ઓવરબ્રીજની કામગીરીના આરંભની તૈયારીઓ : તેમાંથી પણ મનપા આવક ઉભી કરશે
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટમાં મનપાએ 150 ફૂટ રિંગ રોડ ઉપર બિગબજાર સર્કલ અને અમીન માર્ગ કોર્નર અને ગોંડલ ચોકડી ખાતે રૂ.17 કરોડના ખર્ચે ત્રણ ફૂટ ઓવરબ્રિજ બનાવવાની તૈયારી આરંભી છે. પીપીપી ધોરણે બ્રિજ તૈયાર કરી એજન્સીને પાંચ વર્ષ માટે મેન્ટેનન્સ સહિતની જવાબદારી સાથે સોંપવામાં આવશે.
મનપાના આ પ્રોજેક્ટ અંતર્ગત પ્રથમ 150 ફૂટ રિંગ રોડ ઉપર કે જ્યાં પગપાળા શહેરીજનોનો વધુ ટ્રાફિક રહે છે. તેવા બિગબજાર સર્કલ ખાતે 1 ફૂટ ઓવરબ્રિજ તેવી જ રીતે અમીન માર્ગ તરફથી આવતા શહેરીજનોને કાલાવડ રોડ તરફ જવા માટે બિગબજાર સર્કલ થઇને ફરવું પડતું હોય અમીન માર્ગ રોડના કોર્નર ઉપર એક ફૂટ ઓવરબ્રિજ બનાવવા માટે રૂ.12 કરોડનો ખર્ચે તેમજ ગોંડલ ચોકડી ખાતે રૂ.5ના ખર્ચ કરવામાં આવશે.
ત્રણેય પ્રોજેક્ટ સંપૂર્ણ પીપીપી ધોરણે હાથ ધરાશે. એજન્સી દ્વારા ફૂટ ઓવરબ્રિજ તૈયાર કરી પાંચ વર્ષ માટે મેન્ટેનન્સ કરવાનું રહેશે અને બ્રિજ પર ગેન્ટ્રી હોર્ડિંગ તથા બેનર લગાવી આવક ઊભી કરાશે.
તેવી જ રીતે વોર્ડ નં.13માં ગોંડલ રોડ ઉપર સાંઢિયા પુલ પૂરો થાય છે ત્યાં ગોંડલ ચોકડી પર પાંચ કરોડના ખર્ચે ફૂટ ઓવરબ્રિજ બનાવવામાં આવશે.
આ સ્થળ હવે ટ્રાવેલ્સ અને એસટી સહિતના વાહનો માટે પિકઅપ પોઈન્ટ થઈ ગયો હોય, વહેલી સવારથી મોડી રાત્રી સુધી સતત પેસેન્જરોની અવરજવર રહેતી હોય છે. આથી અહીં ફૂટ ઓવરબ્રિજ બનાવાશે આ તમામ માટે વર્ક ઓર્ડર ટૂંક સમયમાં અપાશે. મનપાએ ત્રણ સ્થળે ફૂટ બ્રિજ બનાવવાની યોજના બનાવી છે, પરંતુ સતત ટ્રાફિકથી ધમધમતા અને વધુ વધુ લોકો પગપાળા રોડ ક્રોસ કરી જતા હોય છે.
તેવા કાલાવડ રોડ ઉપર સ્વામિનારાયણ મંદિર સામે ફૂટ બ્રિજ બનાવવાની અગાઉ અનેક વખત જાહેરાત કરવામાં આવી છતાં આજ સુધી બ્રિજ ન બનતા પગપાળા વૈશાલીનગર જવામાં શહેરીજનોએ નાછૂટકે કોટેચા સર્કલ થઈને ફરવા મજબૂર થવું પડે છે. આથી સ્વામિનારાયણ મંદિર ખાતે ફૂટ ઓવરબ્રિજ બનાવવામાં આવે તો સેંકડો લોકોની સમસ્યાનો અંત આવી શકે છે.


