અક્ષરપુરુષોત્તમ મહારાજની ભવ્ય મૂર્તિપ્રતિષ્ઠા – પ્રમુખરાજ વિસ્તારમાં ઉદ્ઘાટિત થયું નૂતન સ્વામિનારાયણ સંસ્કારધામ : શોભાયાત્રા સહિતના વિવિધ કાર્યક્રમોમાં હરિભકતો ઉમટી પડયા
BAPS દ્વારા સંસ્કાર અને સંસ્કૃતિના સંવર્ધન કરતા નવમા સંસ્કારધામનું લોકાર્પણ
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ શહેરના કોઠારીયા વિસ્તારમાં બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થા દ્વારા નિર્મિત “પ્રમુખરાજ સંસ્કારધામ” ખાતે પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજની પ્રેરણા અને આશીર્વાદથી આયોજિત મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ ભક્તિ, શ્રદ્ધા અને આધ્યાત્મિક ચૈતન્યના અનોખા માહોલમાં ધામધૂમપૂર્વક પૂર્ણ થયો. ત્રિદિવસીય આ પાવન મહોત્સવે રાજકોટ શહેરને ભક્તિમય બનાવી દીધું હતું, જેમાં હજારો હરિભક્તો, સંતો અને આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને ગુરુભક્તિ તથા ધર્મપ્રેમની અનોખી અભિવ્યક્તિ કરી હતી.
મહોત્સવનો મંગલ પ્રારંભ તા.૨ મે, શનિવારના રોજ વહેલી સવારે ૫:૩૦ વાગ્યે વિશ્વશાંતિ મહાયજ્ઞથી કરવામાં આવ્યો હતો. મંદિરની બાજુમાં આવેલા વિશાળ મેદાનમાં વૈદિક મંત્રોચ્ચારના ગુંજન વચ્ચે યોજાયેલ આ યજ્ઞે સમગ્ર પરિસરને પવિત્ર અને દિવ્ય બનાવ્યો હતો. યજ્ઞકુંડોમાં અહૂતિઓ અર્પણ કરતાં ભક્તોએ પરોપકાર, સેવા અને સમર્પણના સંદેશને પોતાના જીવનમાં ઉતારવાની પ્રેરણા મેળવી હતી. “અન્યની સેવા કરવી એ જ જીવનનું સાચું સુખ છે” જેવા સંદેશ સાથે યજ્ઞભાવનાએ ભક્તોના હૃદયમાં માનવીય મૂલ્યો પ્રત્યે નવી જાગૃતિ પેદા કરી હતી.
પ્રમુખરાજ સંસ્કારધામથી ભવ્ય નગરયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. પૂજ્ય સંતો તથા નગરના પ્રતિષ્ઠિત આગેવાનો દ્વારા વિધિવત્ પૂજન સાથે યાત્રાનો આરંભ થયો હતો. આ નગરયાત્રામાં અક્ષરપુરુષોત્તમ મહારાજ રથમાં વિરાજમાન રહી શહેરભરમાં ભક્તોને દર્શન આપતા હતા. સ્વામિનારાયણ મહામંત્રના ગુંજતા નાદ, કીર્તન-ભજન અને ગુરુપરંપરાના જયઘોષ સાથે સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. નાના બાળકોથી માંડીને યુવાનો અને વડીલો સુધી દરેક વર્ગના લોકો ઉત્સાહભેર જોડાયા હતા અને સાંસ્કૃતિક વેશભૂષામાં સજ્જ બાળમંડળે યાત્રાની શોભામાં વધારો કર્યો હતો. નગરયાત્રામાં વ્યસનમુક્તિનો સંદેશ આપતો વિશેષ “વ્યસનમુક્તિ રથ” પણ સામેલ રહ્યો હતો, જે દ્વારા નગરજનોને વ્યસનોથી દૂર રહી સ્વસ્થ અને સંસ્કારસભર જીવન જીવવાની પ્રેરણા આપવામાં આવી હતી. ઘોડેસવારોની આકર્ષક હાજરીએ યાત્રાની ભવ્યતા વધારી હતી. સાથે પરંપરાગત વાજિંત્રોના મધુર નાદ અને તીર-કામઠા સાથે દાહોદથી આવેલ લોકનૃત્ય મંડળીએ પોતાના પ્રાદેશિક નૃત્ય દ્વારા સમગ્ર નગરયાત્રામાં રંગ જમાવ્યો હતો. તેમની રજૂઆતથી ઉપસ્થિત નગરજનો મંત્રમુગ્ધ બની ગયા હતા.
સાંજે ૭:૩૦ વાગ્યે યોજાયેલી જાહેર રવિસભા મહોત્સવનું એક મુખ્ય આકર્ષણ બની રહી હતી. આ પ્રસંગે બી.એ.પી.એસ. સંસ્થાના વરિષ્ઠ સંતો દ્વારા આશીર્વચન અને પ્રેરણાદાયી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સંસ્થાના વિદ્વાન અને વરિષ્ઠ સંત પૂજ્ય અક્ષરચરણ સ્વામીના આશીર્વચન, પૂજ્ય બ્રહ્મતીર્થ સ્વામીના માર્ગદર્શન અને પૂજ્ય અપૂર્વમુનિ સ્વામીના ઉર્જાસભર પ્રવચન દ્વારા ભક્તોને સંસ્કારયુક્ત અને આધ્યાત્મિક જીવન જીવવાની પ્રેરણા મળી હતી. સંતોએ પોતાના વક્તવ્યોમાં મંદિરના મહત્વને ઉજાગર કરતાં જણાવ્યું હતું કે મંદિર માત્ર પૂજાનું સ્થાન નથી, પરંતુ તે મનને શાંતિ આપતું, જીવનને દિશા આપતું અને માનવતાને મજબૂત બનાવતું પવિત્ર કેન્દ્ર છે.
મહોત્સવ દરમિયાન શહેરના પ્રતિષ્ઠિત આગેવાનો અને મહાનુભાવો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ખાસ કરીને મહિલા આગેવાનોમાં વોર્ડ નં. ૧૮ની કોર્પોરેટર દક્ષાબેન વાઘેલા તથા ભારતીબેન પરસાણા ઉપસ્થિત રહી કાર્યક્રમને ગૌરવ આપ્યું હતું.
તા.૪ મે, સોમવારના રોજ વહેલી સવારે પ્રમુખરાજ સંસ્કારધામ ખાતે મૂર્તિઓની વૈદિક વિધિપૂર્વક પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવી હતી. પૂજ્ય સંતોના પવિત્ર હસ્તે મંદિરના દ્વાર ખુલ્લા મુકાતા જ ભક્તોમાં અનોખો આનંદ અને ભાવવિભોરતા છવાઈ ગઈ હતી. વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે મૂર્તિઓમાં પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવી હતી અને ત્યારબાદ અન્નકૂટ અર્પણ કરવામાં આવ્યું હતું જેમાં કુલ ૨૭૦ જેટલી વિવિધ વાનગીઓ ભગવાનને અર્પણ કરવામાં આવી હતી. પ્રમુખરાજ સંસ્કારધામ હવે ભવિષ્યમાં આધ્યાત્મિક પ્રવૃત્તિઓ, સંસ્કાર, શિક્ષણ અને સમાજસેવાના કેન્દ્ર તરીકે સેવા આપશે તેવી ભાવના સાથે આ પાવન ધામ તમામ શહેરીજનો માટે ખુલ્લું મુકાયું છે.


