રાજકોટ-જેતપુર સિક્સલેન પ્રોજેક્ટમાં ફરી વિલંબ : કોરાટ ચોક પર હવે બનશે એલિવેટેડ ઓવરપાસ
ખર્ચ 1200 કરોડથી વધીને 1500 કરોડે પહોંચ્યો : જાન્યુઆરી-2027 સુધી 28 ઓવરપાસ તૈયાર થશે, કેટલાક કામો જૂન-2027 સુધી લંબાશે
અગ્ર ગુજરાત,રાજકોટ
રાજકોટ થી જેતપુર વચ્ચે નિર્માણાધીન સિક્સલેન હાઈવે પ્રોજેક્ટ ફરી એકવાર વિલંબમાં સપડાયો છે. છેલ્લા ઘણા સમયથી વિવિધ તબક્કામાં ચાલી રહેલા આ મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટમાં હવે કોરાટ ચોક પાસે નવા એલિવેટેડ ઓવરપાસને મંજૂરી મળતા કામની સમયમર્યાદા વધુ આગળ ધકેલાઈ છે. બીજી તરફ આજી-ખોખળદડ નદી વચ્ચે કોર્પોરેશનની પાઈપલાઈનના કામને કારણે બે બ્રિજના નિર્માણમાં પણ વિલંબ થતા સમગ્ર પ્રોજેક્ટની ગતિ ધીમી પડી છે.
પ્રોજેક્ટ સાથે સંકળાયેલા અધિકારીઓના જણાવ્યા મુજબ, હાલની સ્થિતિએ જાન્યુઆરી-2027 સુધીમાં 28 જેટલા ઓવરપાસ પૂર્ણ કરવાની યોજના છે, જ્યારે બાકીના એક એલિવેટેડ ઓવરપાસ અને બે બ્રિજનું કામ જૂન-2027 સુધી પૂર્ણ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. સમયગાળો વધતા પ્રોજેક્ટનો અંદાજીત ખર્ચ પણ હવે રૂ.1200 કરોડથી વધીને રૂ.1500 કરોડ સુધી પહોંચી ગયો છે.
નેશનલ હાઈવે ઓથોરિટીના રાજકોટ-જેતપુર સિક્સલેન પ્રોજેક્ટ ડાયરેક્ટર અબ્દુલા ખાને આપેલી વિગતો મુજબ, હાલ માર્ગ પર અનેક સ્થળોએ બ્રિજ અને ઓવરપાસનું કામ એકસાથે ચાલી રહ્યું છે. પીઠડીયા પાસે બેમાંથી એક બ્રિજ વાહન વ્યવહાર માટે શરૂ કરી દેવામાં આવ્યો છે, જ્યારે બીજો બ્રિજ 1 જૂનથી ખુલ્લો મુકવામાં આવશે. ખોડલધામ-કાગવડ નજીક એક બ્રિજ કાર્યરત છે, જ્યારે વીરપુરમાં ત્રણ બ્રિજ લોકો માટે ખુલ્લા મૂકી દેવામાં આવ્યા છે.
ચરખડી અને ગોમટા વિસ્તારમાં પણ એક-એક બ્રિજ શરૂ થઈ ગયા છે, પરંતુ ચોરડી વિસ્તારમાં એક બ્રિજનું કામ હવે ચોમાસા બાદ હાથ ધરાશે. જામવાડી અને ગોંડલ વચ્ચે આવેલા ચાર બ્રિજમાં કોન્ક્રિટ રોડનું કામ બાકી છે. અહીં જેટકોની વીજલાઈન પસાર થતી હોવાથી જરૂરી મંજૂરીની રાહ જોવાઈ રહી છે. મંજૂરી મળ્યા બાદ જ આ બ્રિજ વાહન વ્યવહાર માટે ખુલ્લા મુકવામાં આવશે.
આશાપુરા ચોકડી પાસેનો એક બ્રિજ સપ્ટેમ્બર-2026 સુધીમાં પૂર્ણ થશે તેવી ધારણા છે. ભોજપરા વિસ્તારમાં બે બ્રિજ અને બીલીયાળામાં એક બ્રિજ હાલ કાર્યરત છે. ભૂણાવામાં ત્રણમાંથી એક બ્રિજ ખુલ્લો મુકાયો છે, જ્યારે બાકીના બે બ્રિજ પર પણ ટૂંક સમયમાં કામ પૂર્ણ થશે.
શક્તિમાન ઇન્ડસ્ટ્રીઝ નજીકનો બ્રિજ આગામી 15 જૂન સુધીમાં તૈયાર થઈ જશે. ભરૂડી અને પીપળીયા નજીકના બ્રિજ પણ કાર્યરત છે. શાપર-વેરાવળ વિસ્તારમાં એક બ્રિજ ચાલુ કરી દેવામાં આવ્યો છે. જોકે સમગ્ર પ્રોજેક્ટમાં સૌથી મોટો ફેરફાર હવે કોરાટ ચોક ખાતે જોવા મળી રહ્યો છે. અહીં પહેલેથી બ્રિજનું કામ શરૂ હતું, પરંતુ સ્થાનિક માંગ અને લોકસભાના સાંસદ પરસોતમ રૂપાલાની રજૂઆત બાદ હવે અહીં એલિવેટેડ ઓવરપાસ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નવા ઓવરપાસના એપ્રુવલ બાદ ડિઝાઇન અને ટેકનિકલ પ્રક્રિયા ફરીથી હાથ ધરાતા કામમાં વધુ સમય લાગશે. બીજી તરફ કોઠારીયા નજીક 1100 મીટર લાંબા બ્રિજનું કામ હાલ પ્રગતિમાં છે, જે ડિસેમ્બર-2026 સુધી પૂર્ણ થવાની શક્યતા છે. બોલબાલા રોડ ઉપર સ્વાતી પાર્ક નજીકનો બ્રિજ જૂનના અંત સુધી તૈયાર થઈ જશે.
રાજ્યસભાના સાંસદ રામ મોકરીયાની રજૂઆત બાદ આજીડેમ અને ખોખળદડ નદી વચ્ચે એક નવા બ્રિજને મંજૂરી આપવામાં આવી છે. આ બ્રિજનું કામ ચોમાસા બાદ શરૂ કરવામાં આવશે. ઉપરાંત આજીડેમ અને માર્કેટિંગ યાર્ડ વચ્ચેનો અંડરપાસ સપ્ટેમ્બર સુધીમાં પૂર્ણ થવાની શક્યતા છે.
આ દરમિયાન ટ્રાફિક વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને 10 મેથી 31 મે સુધી ખાસ ડાયવર્ઝન જાહેર કરવામાં આવ્યું છે. ગોંડલ તરફથી રાજકોટ આવતા વાહનચાલકોને ખોડીયાર હોટલથી વાવડી GIDC, પુનિતનગર અને કાંગસિયાળી રોડ મારફતે મન્નત હોટલ તરફ ડાયવર્ટ કરવામાં આવશે. કોરાટ ચોક પાસે એલિવેટેડ ઓવરપાસના કામને કારણે આ ડાયવર્ઝન લાગુ કરાયું હોવાનું અધિકારીઓએ જણાવ્યું છે.
રાજકોટ-જેતપુર સિક્સલેન પ્રોજેક્ટ સૌરાષ્ટ્ર માટે અત્યંત મહત્વનો માનવામાં આવે છે. રોજિંદા હજારો વાહનો આ માર્ગ પરથી પસાર થતાં હોવાથી ટ્રાફિકનું ભારણ ઘટાડવા અને મુસાફરી વધુ ઝડપી બનાવવા આ પ્રોજેક્ટ હાથ ધરાયો હતો. જોકે સતત વધતા કામો, નવી મંજૂરીઓ, વીજલાઈન અને પાઈપલાઈન જેવા ટેકનિકલ અવરોધોના કારણે પ્રોજેક્ટની સમયમર્યાદા વારંવાર લંબાઈ રહી છે.
સ્થાનિક લોકોમાં પણ હવે આ પ્રોજેક્ટ વહેલી તકે પૂર્ણ થાય તેવી અપેક્ષા વધી રહી છે, કારણ કે હાલ અનેક સ્થળોએ ડાયવર્ઝન, ખોદકામ અને અધૂરા બ્રિજને કારણે મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. છતાં અધિકારીઓનો દાવો છે કે કામને ઝડપી ગતિએ પૂર્ણ કરવા માટે સતત મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે અને આગામી વર્ષ સુધીમાં મોટાભાગના ભાગો વાહન વ્યવહાર માટે ખુલ્લા મૂકી દેવામાં આવશે.
21 દિવસ માટે ટ્રાફિક ડાયવર્ઝન
10 મેથી 31 મે સુધી ગોંડલથી રાજકોટ આવતા વાહનો માટે ટ્રાફિક ડાયવર્ટ કરવામાં આવશે. કોરાટ ચોક પાસે એલિવેટેડ ઓવરપાસના કામને કારણે વાહનચાલકોએ ખોડીયાર હોટલથી વાવડી GIDC, પુનિતનગર અને કાંગસિયાળી રોડ મારફતે મન્નત હોટલ તરફ આવવું પડશે. ટ્રાફિક વિભાગે વાહનચાલકોને વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવા અપીલ કરી છે.
પ્રોજેક્ટ ખર્ચમાં 300 કરોડનો વધારો
રાજકોટ-જેતપુર સિક્સલેન પ્રોજેક્ટનો પ્રારંભિક અંદાજીત ખર્ચ રૂ.1200 કરોડ હતો. પરંતુ નવા એલિવેટેડ ઓવરપાસ, વધારાના બ્રિજ અને ટેકનિકલ ફેરફારોને કારણે હવે ખર્ચ વધીને રૂ.1500 કરોડ સુધી પહોંચ્યો છે. વધતા ખર્ચ સાથે પ્રોજેક્ટની સમયમર્યાદા પણ જૂન-2027 સુધી લંબાઈ ગઈ છે.
ક્યાં ક્યાં શરૂ થયા બ્રિજ?
પીઠડીયા, વીરપુર, ચરખડી, ગોમટા, ભોજપરા, બીલીયાળા, પીપળીયા અને શાપર-વેરાવળ સહિતના વિસ્તારોમાં અનેક બ્રિજ વાહન વ્યવહાર માટે શરૂ કરી દેવામાં આવ્યા છે. કેટલાક સ્થળોએ કોન્ક્રિટ રોડ અને વીજલાઈનની કામગીરી પૂર્ણ થયા બાદ જ બ્રિજ સંપૂર્ણપણે ખુલ્લા મૂકવામાં આવશે.
કોરાટ ચોક પર હવે એલિવેટેડ ઓવરપાસ
કોરાટ ચોક વિસ્તારમાં વધતા ટ્રાફિકને ધ્યાનમાં રાખીને હવે સામાન્ય બ્રિજના બદલે એલિવેટેડ ઓવરપાસ બનાવવાનો નિર્ણય લેવાયો છે. સાંસદ પરસોતમ રૂપાલાની રજૂઆત બાદ આ પ્રસ્તાવને મંજૂરી મળી છે. જેના કારણે ડિઝાઇનમાં ફેરફાર થતા કામમાં વધુ વિલંબ થશે, પરંતુ ભવિષ્યમાં ટ્રાફિક સમસ્યાનો લાંબા ગાળાનો ઉકેલ મળશે.


