65 લાખના રોકાણ છેતરપિંડી કૌભાંડમાં ફરાર દંપતી ઝડપાયું
ડબલ રિટર્નની લાલચ આપી 17થી વધુ રોકાણકારોના લાખો રૂપિયા ઉઘરાવ્યા બાદ નાસી છૂટેલા પતિ-પત્ની પોલીસના હાથે ચઢ્યા
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ શહેરમાં ઊંચા વળતરની લાલચ આપીને રોકાણકારો સાથે લાખોની છેતરપિંડી આચરનાર દંપતીને બી. ડિવિઝન પોલીસે ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે. શ્રી પંચશીલ ક્રેડિટ સોસાયટીના નામે લોકો પાસેથી રોકાણ કરાવી અંદાજે રૂ. 65 લાખથી વધુની રકમ ઉઘરાવ્યા બાદ ફરાર થઈ ગયેલા પતિ-પત્નીની ધરપકડ કરવામાં આવતા સમગ્ર મામલો ફરી ચર્ચામાં આવ્યો છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, શહેરના સામાકાંઠા વિસ્તારમાં કાર્યરત શ્રી પંચશીલ ક્રેડિટ સોસાયટી મારફતે રોકાણકારોને ટૂંકા ગાળામાં રકમ ડબલ કરી આપવાની તેમજ ઊંચા વળતરની લાલચ આપવામાં આવતી હતી. આ લાલચમાં આવી 17થી વધુ લોકોએ પોતાની બચત અને મૂડીનું રોકાણ કર્યું હતું. જોકે, સમય આવતાં રોકાણકારોને વચન મુજબ નાણાં પરત ન મળતાં છેતરપિંડીનો ભાંડો ફૂટ્યો હતો. આ મામલે ગત વર્ષે બી. ડિવિઝન પોલીસ મથકે જીપીઆઇડી એક્ટ હેઠળ ગુનો નોંધાયો હતો. ગુનો નોંધાયા બાદ આરોપી દંપતી ફરાર થઈ ગયું હતું. દરમિયાન બી. ડિવિઝન પોલીસ મથકના પીઆઈ જી.આર. ચૌહાણના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એન.આર. ડોબરીયા અને તેમની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે મળેલી ચોક્કસ બાતમીના આધારે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પોલીસે લક્ષ્મી સોસાયટી, શેરી નં. 2 ખાતે રહેતા પરેશ પ્રાગજીભાઈ સોલંકી (ઉ.વ. 50) તથા તેની પત્ની નિર્મળાબેન ઉર્ફે નીરૂબેન સોલંકી (ઉ.વ. 50)ને ઝડપી પાડ્યા હતા. બંને સામે રોકાણકારોના નાણાં ઓળવી વિશ્વાસઘાત અને છેતરપિંડી કરવાનો આરોપ છે. પકડાયેલા દંપતીની પૂછપરછ શરૂ કરવામાં આવી છે. રોકાણકારોના નાણાં ક્યાં ખર્ચાયા, અન્ય કોઈ વ્યક્તિઓ સંડોવાયેલા છે કે કેમ અને છેતરપિંડીની કુલ રકમ કેટલી છે તે સહિતના મુદ્દાઓ પર પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.


