ઉપલેટામાં ખાતરના ભાવ વધારા સામે કોંગ્રેસનો ૧ રૂપિયે કિલો ડુંગળી વેંચી વિરોધ
ખાતરમાં તોતિંગ ૭૦૦ રૂપિયાનો વધારો અને ડુંગળીના કંગાળ ભાવથી ખેડૂતો પાયમાલ, વિઘે ૨૦ હજાર સુધીનું નુકસાન
અગ્ર ગુજરાત, ઉપલેટા
ઉપલેટામાં કોંગ્રેસ દ્વારા રાજ્ય સરકારની ખેડૂત વિરોધી નીતિઓ અને કમરતોડ મોંઘવારી સામે એક અનોખો અને ઉગ્ર વિરોધ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ખેડૂતોને તેમના પાકના પોષણક્ષમ ભાવ ન મળતા હોવાની વાસ્તવિકતા ઉજાગર કરવા કોંગ્રેસના કાર્યકરોએ પ્રતીકાત્મક રૂપે માત્ર એક રૂપિયે કિલોના ભાવે ડુંગળીનું વેચાણ કર્યું હતું. રાજકોટ જિલ્લા કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ કૃષ્ણકાંત ચોટાઈ અને ઉપલેટા શહેર અને તાલુકા કોંગ્રેસ પ્રમુખની આગેવાનીમાં ઉપલેટા શહેરમાં આ વિરોધ પ્રદર્શન યોજાયું હતું.
કોંગ્રેસના આગેવાનોએ ખેતીમાં વપરાતા ખાતરના ભાવમાં થયેલા તોતિંગ વધારા મુદ્દે સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે ડીએપી (ડી.એ.પી.), ૧૨-૩૨-૧૬ અને એનપીકે (એન.પી.કે.) જેવા રાસાયણિક ખાતરોની થેલી પર એકસાથે ૭૦૦ રૂપિયાનો ઝીંકાયેલો વધારો ખેડૂતોને રાતા પાણીએ રોવડાવી રહ્યો છે. આજે એક વિઘે ખેતી પાછળ ૧૦,૦૦૦ રૂપિયા જેટલો માતબર ખર્ચ થાય છે, પરંતુ મગફળી અને ડુંગળી જેવા પાકના તળિયાના ભાવ મળતા ખેડૂતોને વિઘે ૧૫ થી ૨૦ હજાર રૂપિયાનું નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે. સરકારે ટેકાના ભાવમાં માત્ર ૫૦ રૂપિયાનો નજીવો વધારો કરી ખેડૂતોની મજાક ઉડાવી હોવાનો આક્ષેપ પણ કરાયો હતો.
આ ઉપરાંત, કોંગ્રેસ નેતાઓએ સરકાર પર પ્રજાના પરસેવાની કમાણીના ખુલ્લેઆમ દુરુપયોગનો ગંભીર આરોપ લગાવ્યો હતો. મુખ્યમંત્રીના કાર્યક્રમમાં ભીડ એકઠી કરવા માટે ૨૪૦૦ જેટલી એસટી બસો ફાળવી દેવાતા રૂટ બંધ થવાથી સામાન્ય જનતાને પડતી હાલાકીનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો. એક તરફ સરકાર ડીઝલ બચાવવાની વાતો કરે છે અને બીજી તરફ સરકારી તાયફાઓમાં બેફામ ખર્ચ કરે છે તેવો રોષ વ્યક્ત કર્યો હતો.
કોંગ્રેસ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, આ બહેરી-મૂંગી સરકારને ઢંઢોળવા અને સૌરાષ્ટ્ર સહિત સમગ્ર ગુજરાતની જનતાને આ ખેડૂત વિરોધી નીતિઓથી માહિતગાર કરવા ઉપલેટા શહેર અને તાલુકા કોંગ્રેસ દ્વારા આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેથી લોકો વર્તમાન સરકારની વાસ્તવિકતા ઓળખી શકે અને ખેડૂતોના હકમાં અવાજ ઉઠાવી શકે.


