સિનર્જી હોસ્પિટલ વિવાદમાં : સારવાર દરમિયાન યુવકનું મોત,ડોક્ટરની બેદરકારીનો આક્ષેપ
150 ફૂટ રીંગ રોડ પર અયોધ્યા ચોક નજીક આવેલી હોસ્પિટલમાં મૃતકના પરિજનો અને સંબંધીઓનો હંગામો, પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ મોતનું સાચું કારણ સામે આવશે
અગ્ર ગુજરાત, રાજકોટ
શહેરના 150 ફૂટ રીંગ રોડ, અયોધ્યા ચોક નજીક આવેલી સિનર્જી હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ રહેલા એક યુવકનું મોત થતા હોસ્પિટલ વિવાદમાં આવી છે. મૃતકના પરિવારજનોએ ડોક્ટરની બેદરકારીના કારણે મોત થયું હોવાનો ગંભીર આક્ષેપ લગાવી હોસ્પિટલ સામે ન્યાયિક તપાસની માંગ ઉઠાવી છે. બનાવને પગલે હોસ્પિટલ બહાર તણાવપૂર્ણ વાતાવરણ સર્જાયું હતું અને મૃતકના સગાસંબંધીઓએ હોસ્પિટલમાં ધરણા પણ કર્યા હતા.
મળતી માહિતી મુજબ, રાજકોટના રહેવાસી દીપક ઝાલાને અચાનક ડાબા હાથ અને પગમાં તકલીફ ઉભી થતા પરિવારજનોએ તેમને તાત્કાલિક સારવાર માટે સિનર્જી હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. હોસ્પિટલના તબીબોએ પ્રાથમિક તપાસ દરમિયાન યુવકને સ્ટ્રોક આવ્યો હોવાનું નિદાન કર્યું હતું. ત્યારબાદ તેમને હોસ્પિટલમાં દાખલ રાખી સારવાર શરૂ કરવામાં આવી હતી. પરિવારજનોએ જણાવ્યું હતું કે, દીપક ઝાલા છેલ્લા કેટલાક દિવસથી સારવાર હેઠળ હતા અને ડોક્ટરો તેમની સ્થિતિ પર સતત નજર રાખી રહ્યા હતા. જોકે, આજે સારવાર દરમિયાન અચાનક તેમનું હૃદય બંધ થઈ જતાં મોત નીપજ્યું હતું. યુવકના મોતના સમાચાર મળતાં જ પરિવારજનોમાં શોક સાથે રોષની લાગણી ફાટી નીકળી હતી.
મૃતકના સગાઓએ આક્ષેપ કર્યો હતો કે હોસ્પિટલના ડોક્ટરો દ્વારા યોગ્ય સારવાર આપવામાં આવી નહોતી અને બેદરકારીના કારણે જ દીપક ઝાલાનું મોત થયું છે. પરિવારજનોએ હોસ્પિટલ સંચાલન સામે ગંભીર સવાલો ઉઠાવતા કહ્યું હતું કે જો સમયસર યોગ્ય સારવાર આપવામાં આવી હોત તો યુવકનો જીવ બચી શક્યો હોત.
બીજી તરફ હોસ્પિટલ મેનેજમેન્ટે તમામ આક્ષેપોને નકારી કાઢ્યા હતા. હોસ્પિટલ તરફથી જણાવાયું હતું કે દર્દીને સ્ટ્રોકની તકલીફ સાથે દાખલ કરવામાં આવ્યો હતો અને નિષ્ણાત તબીબોની દેખરેખ હેઠળ તેની સારવાર ચાલી રહી હતી. હોસ્પિટલ મેનેજમેન્ટના જણાવ્યા અનુસાર, મગજના નિષ્ણાત ડોક્ટર દ્વારા સતત સારવાર આપવામાં આવી રહી હતી.
હોસ્પિટલ સંચાલકોએ વધુમાં જણાવ્યું હતું કે સારવાર દરમિયાન દર્દીને છાતીમાં દુખાવાની ફરિયાદ થતા તાત્કાલિક ઇકો ટેસ્ટ પણ કરવામાં આવ્યો હતો. ઇકો રિપોર્ટ સંપૂર્ણ નોર્મલ આવ્યો હતો અને તેમાં કોઈ ગંભીર હૃદય સંબંધિત તકલીફ સામે આવી નહોતી. તેમ છતાં બાદમાં અચાનક હૃદય બંધ થઈ જતા દર્દીનું મોત થયું હતું. હોસ્પિટલ મેનેજમેન્ટે સ્પષ્ટતા કરી હતી કે ડોક્ટરની કોઈ બેદરકારી નથી અને સમગ્ર સારવાર નિયમો અનુસાર જ કરવામાં આવી હતી. સાથે જ તેમણે કહ્યું હતું કે જો પરિવારજનોએ માંગ કરી હોય તો પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ સંપૂર્ણ સહકાર આપવા તૈયાર છે.
પ્રારંભે પરિવારજનોએ પોસ્ટમોર્ટમ કરાવવા અનિચ્છા દર્શાવી હતી, પરંતુ બાદમાં સમગ્ર મામલે સત્ય બહાર આવે તે માટે તેઓ પોસ્ટમોર્ટમ કરાવવા તૈયાર થયા હતા. હવે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું ચોક્કસ કારણ સ્પષ્ટ થશે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. યુવકના મોત બાદ મોટી સંખ્યામાં સગાસંબંધીઓ અને ઓળખીતાઓ હોસ્પિટલ ખાતે એકત્ર થયા હતા. રોષે ભરાયેલા સગાઓએ હોસ્પિટલમાં ધરણા કરી ન્યાયિક તપાસની માંગ ઉઠાવી હતી. ઘટનાને કારણે હોસ્પિટલ વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ હતી. સ્થિતિને ધ્યાનમાં રાખીને પોલીસ પણ હોસ્પિટલ ખાતે પહોંચી હતી અને મામલો શાંત પાડવાનો પ્રયાસ કર્યો હતો.
હાલ સમગ્ર ઘટનાને લઈને અનેક ચર્ચાઓ ચાલી રહી છે. એક તરફ પરિવારજનોએ તબીબી બેદરકારીના ગંભીર આક્ષેપો કર્યા છે, જ્યારે બીજી તરફ હોસ્પિટલ મેનેજમેન્ટ પોતે નિર્દોષ હોવાનું જણાવી રહ્યું છે. હવે પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને આગળની તપાસ બાદ જ સમગ્ર ઘટનાનું સાચું કારણ બહાર આવશે.


