1100 ગાયોના સાનિધ્યમાં ગૌચારણ મનોરથ અને 2100 કુંડી પુરુષોત્તમ સહસ્ત્રનામ મહાયજ્ઞ યોજાશે
વૈષ્ણવાચાર્ય વ્રજરાજકુમારજી મહારાજ દ્વારા શ્રીમદ ભગવદ ગીતા વિષય પર ત્રિદિવસીય વચનામૃત સત્ર : ગિરિરાજ્જીના સાનિધ્યમાં ભવ્ય રાસોત્સવ : ધર્મપ્રેમીજનોમાં ભારે ઉત્સાહ
અગ્ર ગુજરાત, રાજકોટ
પવિત્ર પુરુષોત્તમ માસ કે જેમાં પ્રભુ નામ સ્મરણ અને ભક્તિનો અનેરો મહિમા છે; એવાં પવિત્ર અવસરે વૈષ્ણવાચાર્ય પૂજ્ય વ્રજરાજકુમારજી મહારાજશ્રીની અધ્યક્ષતા તથા પ્રેરણાથી વૈશ્વિક સંસ્થા Vallabh Youth Organization (VYO) તેમજ ગુજરાતના પુષ્ટિમાર્ગના સૌથી મોટા સંકુલ વ્રજધામ સંકુલના સંયુક્ત ઉપક્રમે નવલખી મેદાન ખાતે ભવ્ય દિવ્ય “ગિરિરાજ કૃપા મહોત્સવ”* નું ઐતિહાસિક આયોજન કરવામાં આવ્યું છે.
આ મહોત્સવ દરમિયાન વૈષ્ણવાચાર્ય પૂજ્ય વ્રજરાજકુમારજી મહારાજના સ્વમુખેથી ત્રિદિવસીય શ્રીમદ્ ભગવદ્ ગીતા વચનામૃત સત્રનો આજથી પ્રારંભ થયો છે. એક સાથે 15,000 થી વધુ વૈષ્ણવો એક સાથે આ વચનામૃત સત્રનો લાભ પ્રાપ્ત કરશે. મહોત્સવનું મુખ્ય આકર્ષણ ૨૫૦ ફૂટ લાંબા અને ૭૦ ફૂટ ઊંચા વિરાટ ગિરિરાજજીનું નિર્માણ થયું છે જેનાથી વૈષ્ણવ સમાજમાં ખુબ ઉત્સાહ મળી રહ્યો છે. ગિરિરાજજીની તળેટીમાં વ્રજધામ સંકુલના સાક્ષાત્ ગિરિરાજ પ્રભુ ૧૧00 ગાયો સાથે ગૌચરણ કરતા બિરાજમાન થશે અને શ્રી ગોવર્ધન ગૌચારણ મહામનોરથના દર્શનથી સમસ્ત ધર્મપ્રેમીજનોને કૃતાર્થ કરશે*. વિશાળ ફાઉન્ટેન, વ્રજભૂમિના વિવિધ પવિત્ર કુંડોમાંથી લાવવામાં આવેલ પ્રસાદી જળથી ભાવાત્મક કુંડ, તેમજ વ્રજની પવિત્ર રજ પણ પધરાવવામાં આવ્યા છે, જેના કારણે નવલખી મેદાન ખાતે વૈષ્ણવોને સાક્ષાત્ વ્રજભૂમિનો અનુભવ થશે.
૨૪ મે ના રોજ ૧૧૦૦ ગાયો સમક્ષ ૨૧૦૦ કુંડી “પુરુષોત્તમ સહસ્ત્ર નામ યજ્ઞ”* યોજાશે જેમાં વડોદરા ઉપરાંત બહારગામથી પણ મોટી સંખ્યામાં વૈષ્ણવો જોડાશે. આ ઉપરાંત ૧૧૦૦ વૈષ્ણવોના ઠાકોરજી એકસાથે બિરાજશે અને વિશેષ અમૃતોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. ૧૧00 વૈષ્ણવ પરિવારોના ઠાકોરજી એકસાથે બિરાજતા દર્શન કરવો પણ એક દુર્લભ અને દિવ્ય લાભ ગણાશે.
૨૫ મેના રોજ લોકપ્રિય ગાયક અતુલ પુરોહિતના કંઠે ભવ્ય રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મોટી સંખ્યામાં યુવાનો, બાળકો તથા વડીલો જોડાશે. આજથી શહેરના મધ્યે નવલખી મેદાન ખાતે પવિત્ર પુરુષોત્તમ માસ – અધિક માસમાં હરિ નામ સ્મરણનો હજારો વૈષ્ણવો તેમજ ધર્મપ્રેમીજનો લાભ પ્રાપ્ત કરશે.


