દ્વારકા મંદિરના પુન: જિર્ણોધ્ધારની કામગીરી હજુ શરૂ નહી થતા ભાવિકોમાં રોષ
બે વર્ષ પૂર્વે તંત્ર દ્વારા માળખાનું સ્કેનીંગ-સર્વે કરાયો હતો
અગ્ર ગુજરાત, રાજકોટ
દેવભૂમિ દ્વારકાના વિશ્વવિખ્યાત ભગવાન દ્વારકાધીશના જગતમંદિરના શિખર અને મંદિર ના વિવિધ જર્જરીત ભાગોના પુનઃજીર્ણોદ્ધાર મુદ્દે હજુ સુધી કોઈ નક્કર કામગીરી શરૂ ન થતાં ભક્તો અને સ્થાનિકો લોકોમાં આશ્ચર્ય સાથે નારાજગી જોવા મળી રહી છે.
આશરે બે વર્ષ પૂર્વે ભારતીયપુરાતત્ત્વ વિભાગ દ્વારા મંદિરના શિખર સહિત સમગ્ર ઐતિહાસિક માળખાનું અદ્યતન ટેકનોલોજીથી સ્કેનીંગ અને સર્વે હાથ ધરાયો હતો, છતાં સ્થળ પર હજી સુધી કામગીરીનો પ્રારંભ ન થયો હોવાનું સામે આવી રહ્યું છે.
ભારતના પશ્ચિમ છેવાડે આવેલી પૌરાણિક દ્વારકા નગરીમાં સ્થિત ભગવાન દ્વારકાધીશનું જગતમંદિર દેશ વિદેશના લાખો શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું કેન્દ્ર ગણાય છે.મંદિરના સાત મજલાના શિખર સહિતના અનેક પત્થરો સમયાંતરે જીર્ણ હાલતમાં પહોંચતા મંદિરના સંરક્ષણ અને પુનઃજીર્ણોદ્ધાર માટે અનેક રજૂઆતો કરવામાં આવી હતી. ત્યારબાદ ગત જૂન 2024 દરમિયાન ભારતીય પુરાતત્ત્વ વિભાગની વિશેષ ટીમ દ્વારા મંદિરનું ટેકનિકલ સર્વેક્ષણ અને 3D સ્કેનીંગ કરાયું હતું.
માહિતી મુજબ મંદિરના ફ્લોરિંગમાં આવેલા કલાત્મક પત્થરો, સભામંડપ, નિજમંદિર તેમજ અન્ય અનેક ભાગોમાં તૂટી ગયેલા અને ઘસાઈ ગયેલા પત્થરો બદલવાની જરૂરિયાત દર્શાવવામાં આવી હતી.
આ સમગ્ર કામગીરી માટે અંદાજે રૂ.18 કરોડ જેટલો ખર્ચ પણ નિર્ધારિત કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યુ હતુ.તેમ છતાં બે વર્ષ જેટલો સમય વીતી જવા છતાં હાલ સુધી સ્થળ પર કોઈ સ્પષ્ટ કામગીરી શરૂ ન થતાં હવે ભક્તોમાં અનેક સવાલો ઉઠી રહ્યા છે.
મંદિરના શિખર અને પ્રાચીન પત્થરોની હાલત વધુ ખરાબ થાય તે પહેલાં તાત્કાલિક પુનઃજીર્ણોદ્ધાર શરૂ કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે. દિલ્હી સ્થિત ભારતીય પુરાતત્ત્વ વિભાગના ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ રાજકોટ સર્કલની ટીમના આશરે આઠ જેટલા એન્જિનિયરો દ્વારા મંદિરના ફ્લોરિંગથી લઈને શિખર અને ધ્વજાદંડ સુધીના વિસ્તારોનું વિશેષ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન મંદિરની પ્રાચીન શિલ્પકળા, કંડારણી અને જીર્ણ થયેલા ભાગોની વિગતવાર ડિજિટલ માહિતી એકત્રિત કરવામાં આવી હતી. મંદિરના મૂળ સ્થાપત્યને અનુરૂપ જ પત્થરો-કલાત્મક માળખા સાથે પુનઃ જીર્ણોદ્ધાર કરવાની યોજના તૈયાર કરવામાં આવનાર હોવાનું પણ જણાવાયું હતું.


