લોકાર્પણની રાહ જોતા સાંઢીયા પુલની મુલાકાત લીધી
ઓન ફાયર : સાંઢીયાપુલમાં ખામીઓ જોવા મળતા બાબુઓ પર બગડયા મેયર
ક્ષતિઓ દેખાતા સ્થળ પર જ અધિકારીઓનો ઉધડો લીધો, ખામીઓ દૂર કરવા આદેશ
મેયરની જાહેરાત : ટૂંક સમયમાં જ બ્રિજ જનતા માટે ખુલ્લો મૂકી દેવાશે
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટના જામનગર રોડ પર રૂપિયા 74 કરોડના ખર્ચે મહાનગરપાલિકા દ્વારા જર્જરીત થયેલા સાંઢીયા પુલનું નવીનીકરણ કરવામાં આવ્યું છે. આ પુલ હાલ તૈયાર થઈ ગયો છે. રાજકોટ મહાનગરપાલિકાના નવનિયુક્ત મેયર નેહલભાઈ શુકલએ આજે સાંઢીયા પુલની મુલાકાત લીધી હતી. આ મુલાકાત વેળાએ પુલમાં ક્ષતિઓ દેખાતા સ્થળ પર જ અધિકારીઓનો ઉધડો લીધો હતો અને ક્ષતિઓ તાકીદે દૂર કરવા માટે આદેશ આપ્યો હતો.
જામનગર રોડ પર સાંઢીયા પુલની કામગીરી હાલ પૂર્ણ થઈ ચૂકી છે અને લોકાર્પણના વાંકે લોકો રાહ જોઈ રહ્યા છે. રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણી બાદ નવા હોદ્દેદારોની વરણીમાં સમય જતા સાંઢીયા પુલ ખુલ્લો મુકવાનું મુહૂર્ત આવ્યું ન હતું. ત્યારે મનપાના મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન, ડેપ્યુટી મેયર અને શાસક પક્ષના નેતાની નિયુક્તિ થતા નેતાઓ એક્શન મોડમાં આવ્યા છે. આજે મેયર નેહલભાઈ શુક્લાએ આ નવનિર્મિત પુલની મુલાકાત લીધી હતી.
સાંઢીયા પુલની મુલાકાત મેળાએ મેયર નેહલભાઈ શુકલને કેટલી જગ્યાએ પુલમાં ખામીઓ હોવાનું નજરે ચડ્યું હતું. આ અંગે સ્થળ પર હાજર અધિકારીઓને પૂછતા અધિકારીઓએ ગોળ ગોળ જવાબો આપતા પોતાનો બચાવ રજૂ કર્યો હતો. જેની સામે નેહલભાઇ શુક્લએ સ્થળ પર જ અધિકારીઓનો ઉધડો લીધો હતો અને ગુણવત્તા બાબતે ખખડાવ્યા હતા. તેમજ તાકીદે ક્ષતિઓ દૂર કરવા માટે આદેશ આપ્યો હતો.
વધુમાં મેયર નેહલભાઈ શુકલએ જણાવ્યું હતું કે ટૂંક સમયમાં જ સાંઢીયા ફૂલને પ્રજાજનો માટે ખુલ્લો મુકવામાં આવશે. હાલ દૈનિક પડતી હાલાકીનો ટૂંક સમયમાં અંત આવશે. સાંઢીયા પુલની કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે અને આગામી દિવસોમાં તેના લોકાર્પણ પણ કરી દેવામાં આવશે. હાલ તમામ કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી કામગીરી સંપૂર્ણ પૂર્ણ થઈ ચૂકી છે. સાંઢીયા પુલની મુલાકાત વેળાએ મેયર ડો.નેહલ શુકલાની સાથે વોર્ડ નંબર 2 ના સ્થાનિક કોર્પોરેટરો ડો.શૈલેષભાઈ વાસાણી, ધૈર્ય પારેખ,મીનાબા જાડેજા અને દક્ષાબેન વાઘેલા પણ સાથે રહ્યા હતા.


