આજી નદીમાંથી મળેલા માસૂમના કપાયેલા માથાનું 8 વર્ષ બાદ રહસ્ય ઉકેલાયું
બાળમજૂરીના કાળા કારોબારનો ભયાનક ચહેરો બહાર આવ્યો; પશ્ચિમ બંગાળના ઠેકેદારે હત્યા કરી મૃતદેહના ટુકડા કરી ફેંક્યાની આપી કબૂલાત
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ શહેરને વર્ષ 2018માં હચમચાવી નાખનાર એક ભયાનક હત્યાકાંડનો ભેદ આખરે આઠ વર્ષ પછી ખુલવાના આરે પહોંચી ગયો છે. આજી નદીના પટમાંથી મળેલા એક અજાણ્યા બાળકના ધડ વગરના માથાની ઘટનાએ તે સમયે સમગ્ર રાજ્યમાં ચકચાર મચાવી હતી. લાંબા સમય સુધી બાળકની ઓળખ પણ થઈ શકી નહોતી અને પોલીસ માટે આ કેસ એક મોટું રહસ્ય બની ગયો હતો. હવે ક્રાઈમ બ્રાન્ચ અને શહેર પોલીસની સતત તપાસ બાદ આ કેસમાં ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે, જેમાં બાળમજૂરીના ગેરકાયદે રેકેટ સાથે સંકળાયેલા એક ઠેકેદારની સંડોવણી બહાર આવી છે.
18 ડિસેમ્બર, 2018ના રોજ રૂખડિયાપરા વિસ્તાર નજીક આજી નદીના પટમાંથી એક માસૂમ બાળકનું કપાયેલું માથું મળી આવ્યું હતું. ઘટનાની જાણ થતાં જ પોલીસ, ફોરેન્સિક નિષ્ણાતો અને ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી ગયા હતા. બાળકનું ધડ કે અન્ય અવશેષો ન મળતાં તેની ઓળખ કરવી લગભગ અશક્ય બની ગઈ હતી. બાળકના ચહેરાના આધારે વૈજ્ઞાનિક પદ્ધતિથી સ્કેચ તૈયાર કરાવવામાં આવ્યો હતો અને તેને જાહેર સ્થળો, બસ સ્ટેન્ડ, રેલવે સ્ટેશન સહિત વિવિધ જગ્યાઓએ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો. દેશભરના ગુમ થયેલા બાળકોના રેકોર્ડ પણ ચકાસવામાં આવ્યા હતા, છતાં કોઈ સફળતા મળી નહોતી.
ઘટનાની ક્રૂરતા જોઈ શરૂઆતમાં પોલીસને શંકા હતી કે કદાચ આ કોઈ અંધશ્રદ્ધા, તાંત્રિક વિધિ અથવા માનવબલિ સાથે સંકળાયેલો કેસ હોઈ શકે. આ દિશામાં પણ તપાસ હાથ ધરવામાં આવી હતી. અનેક તાંત્રિકો, શંકાસ્પદ વ્યક્તિઓ અને અવાવરું વિસ્તારોમાં તપાસ કરવામાં આવી હતી. ટાવર ડમ્પિંગ, ડોગ સ્ક્વોડ, ફોરેન્સિક વિશ્લેષણ અને અન્ય ટેકનિકલ તપાસ છતાં કેસમાં કોઈ ચોક્કસ કડી હાથ લાગી નહોતી. પરિણામે વર્ષો સુધી આ કેસ અધૂરો જ રહ્યો હતો.
કેસમાં સૌથી મહત્વપૂર્ણ વળાંક જૂન 2025માં આવ્યો હતો. રાજકોટના બેડી ચોકડી નજીક આવેલી ગોપાલ રેસિડેન્સીમાં એસઓજી અને એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટે સંયુક્ત કાર્યવાહી કરીને 19 જેટલા બાળમજૂરોને મુક્ત કરાવ્યા હતા. તપાસમાં સામે આવ્યું હતું કે આ બાળકોને પશ્ચિમ બંગાળમાંથી લાવી રાજકોટના ઇમિટેશન જ્વેલરી ઉદ્યોગમાં ગેરકાયદે રીતે કામ કરાવવામાં આવતું હતું. બાળકો અત્યંત ખરાબ પરિસ્થિતિમાં રહેતા હતા અને તેમને બંધક જેવી સ્થિતિમાં રાખવામાં આવ્યા હોવાના પણ આક્ષેપો સામે આવ્યા હતા. કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તમામ બાળકોને તેમના વતન પશ્ચિમ બંગાળ મોકલવામાં આવ્યા હતા. ત્યાં પહોંચ્યા બાદ જ આઠ વર્ષ જૂના હત્યાકાંડનો સૌથી મોટો તાર સામે આવ્યો હતો.
પશ્ચિમ બંગાળ પહોંચેલા બાળકોના પરિવારોમાંથી એક પરિવારે સ્થાનિક પોલીસ સમક્ષ રજૂઆત કરી હતી કે તેમનો દીકરો વર્ષો પહેલાં અજીત મૌલા નામના ઠેકેદાર સાથે રાજકોટ કામ કરવા ગયો હતો, પરંતુ તાજેતરમાં મુક્ત કરાયેલા બાળકોમાં તેનો કોઈ પત્તો નહોતો. આ માહિતી રાજકોટ પોલીસ સુધી પહોંચતા જ વર્ષ 2018ના રહસ્યમય કેસની ફાઈલ ફરી ખોલવામાં આવી હતી. તપાસકર્તાઓએ બંને ઘટનાઓ વચ્ચેનો સંબંધ શોધવાનું શરૂ કર્યું અને ધીમે-ધીમે પુરાવાની કડીઓ જોડાતી ગઈ.
પોલીસે પશ્ચિમ બંગાળના અજીત મૌલા આજમત મૌલાની સઘન પૂછપરછ હાથ ધરી હતી. શરૂઆતમાં આરોપીએ ગેરમાર્ગે દોરવાના પ્રયાસો કર્યા હતા, પરંતુ સતત પૂછપરછ અને મળેલા પુરાવાઓ સામે આખરે તે ભાંગી પડ્યો હતો. સૂત્રોના જણાવ્યા મુજબ આરોપીએ સ્વીકાર્યું હતું કે તે ગરીબ પરિવારોના બાળકોને કામ અને કમાણીના સપના બતાવી ગુજરાત લાવતો હતો. વર્ષ 2018માં લાવવામાં આવેલા એક બાળક પાસેથી યોગ્ય રીતે કામ ન થતાં તે ગુસ્સે ભરાયો હતો. આ ગુસ્સો એટલો વધ્યો કે તેણે બાળક પર અત્યાચાર કર્યા બાદ તેની હત્યા કરી નાખી હતી. હત્યા બાદ ગુનાને છુપાવવા માટે મૃતદેહના ટુકડા કરી અલગ-અલગ જગ્યાએ ફેંકી દીધા હતા. જેમાંથી બાળકનું માથું રાજકોટની આજી નદીના પટમાંથી મળી આવ્યું હતું.
આરોપીની કબૂલાત બાદ હવે પોલીસ વૈજ્ઞાનિક પુરાવાઓ એકત્રિત કરવામાં વ્યસ્ત છે. વર્ષો પહેલાં મળેલા અવશેષો અને પશ્ચિમ બંગાળના પીડિત પરિવારના સભ્યોના ડીએનએ સેમ્પલ ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. પોલીસનું માનવું છે કે જો ડીએનએ રિપોર્ટ પોઝિટિવ આવશે તો બાળકની ઓળખ અંગે સત્તાવાર પુષ્ટિ થઈ જશે અને આરોપી સામે હત્યાની ગંભીર કલમો હેઠળ કાર્યવાહી શરૂ કરવામાં આવશે.
મુખ્ય આરોપી અજીત મૌલા હાલ પશ્ચિમ બંગાળમાં અન્ય એક ગુનામાં સજા ભોગવી રહ્યો હોવાનું જાણવા મળ્યું છે. ડીએનએ રિપોર્ટ બાદ રાજકોટ પોલીસ કોર્ટની મંજૂરી મેળવી ટ્રાન્સફર વોરંટના આધારે તેની કસ્ટડી મેળવશે અને આગળની પૂછપરછ માટે રાજકોટ લાવશે.
માનવ તસ્કરીના મોટા નેટવર્કની આશંકા
આ કેસ માત્ર હત્યા પૂરતો મર્યાદિત નથી. તપાસમાં માનવ તસ્કરી અને બાળમજૂરીના ગેરકાયદે નેટવર્કની સંભાવનાઓ પણ સામે આવી રહી છે. પોલીસ હવે એવા તમામ લોકો સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહી છે જેઓ બાળકોને એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં લઈ જઈ ગેરકાયદે મજૂરી કરાવતા હતા.
તપાસ એજન્સીઓ માને છે કે આ સમગ્ર રેકેટ પાછળ સંગઠિત ગેંગ કાર્યરત હોઈ શકે છે અને આગામી દિવસોમાં વધુ ચોંકાવનારા ખુલાસા થઈ શકે છે.
આઠ વર્ષ સુધી અજાણ્યા રહેલા માસૂમ બાળકની ઓળખ હવે સામે આવવાની શક્યતા વધી ગઈ છે. વર્ષો સુધી રહસ્ય બની રહેલો આ કેસ હવે ઉકેલની નજીક પહોંચી ગયો છે. જો ડીએનએ રિપોર્ટ આરોપીની કબૂલાતને સમર્થન આપશે તો માત્ર એક હત્યાકાંડનો ભેદ જ નહીં, પરંતુ બાળમજૂરી અને માનવ તસ્કરીના ભયાનક કાળા કારોબારનો પણ મોટો પર્દાફાશ થશે. રાજકોટ પોલીસની સતત મહેનત અને નવી કડીઓ જોડવાની કુશળતાને કારણે વર્ષો જૂનું રહસ્ય હવે અંતિમ તબક્કામાં પહોંચી ગયું છે, અને એક માસૂમ બાળકને ન્યાય મળવાની આશા ફરી જીવંત બની છે.


