પશ્ચિમ રેલવેનો બદલાતો ચહેરો
વર્લ્ડ ક્લાસ સ્ટેશનો, સેમી હાઈસ્પીડ ટ્રેન અને મુસાફર સુવિધાઓના નવા યુગની શરૂઆત
અગ્ર ગુજરાતની શુભેચ્છા મુલાકાતે આવેલા પશ્ચિમ રેલવેના S.PRO વિનીત અભિષેકે રજૂ કરી ભવિષ્યની બ્લૂપ્રિન્ટ
રાજકોટ જંક્શનનું થશે કાયાકલ્પ, અમૃત ભારત યોજના હેઠળ સ્ટેશનો બનશે આધુનિક
અગ્ર ગુજરાત, રાજકોટ
દેશની જીવનરેખા ગણાતી ભારતીય રેલવેમાં છેલ્લા કેટલાક વર્ષોથી ઝડપી પરિવર્તન જોવા મળી રહ્યું છે. ખાસ કરીને પશ્ચિમ રેલવે મુસાફરોને વધુ સુરક્ષિત, સુવિધાસભર અને આધુનિક સેવાઓ પૂરી પાડવા માટે સતત નવા આયામો સર કરી રહી છે. કેન્દ્ર સરકારના માર્ગદર્શન હેઠળ વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટો પર ઝડપથી કામગીરી ચાલી રહી છે, જેના પરિણામે આગામી વર્ષોમાં રેલવેનું સ્વરૂપ સંપૂર્ણપણે બદલાઈ જવાનું છે.
પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી (S.PRO) વિનીત અભિષેક ગુજરાતની મુલાકાતે આવ્યા હતા. આ દરમિયાન તેમણે અગ્ર ગુજરાત કાર્યાલયની શુભેચ્છા મુલાકાત લીધી હતી. અગ્ર ગુજરાતના એડિટર અતુલ સુરાણી, સિનિયર રિપોર્ટર વિનયભાઈ પરમાર તથા અસીમભાઈ અઘામ દ્વારા તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું.
આ મુલાકાત દરમિયાન પશ્ચિમ રેલવેના વિકાસકાર્યો અંગે વિશેષ ચર્ચા કરતાં વિનીત અભિષેકે જણાવ્યું હતું કે પશ્ચિમ રેલવેનો વિસ્તાર અત્યંત વિશાળ છે. ગુજરાત ઉપરાંત રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારો પશ્ચિમ રેલવે હેઠળ આવે છે. મધ્યપ્રદેશમાં ઇન્દોર અને ઉજ્જૈન સુધી તથા રાજસ્થાનમાં ચિત્તોડગઢ સુધી પશ્ચિમ રેલવેનું નેટવર્ક વિસ્તરેલું છે. મહારાષ્ટ્રમાં મુંબઈનો મોટો વિસ્તાર અને ગુજરાતમાં દ્વારકા સુધીનો વિસ્તાર પશ્ચિમ રેલવેમાં સમાવેશ પામે છે.
તેમણે જણાવ્યું હતું કે વર્ષ 2013-14 બાદ રેલવેમાં ટ્રાન્સફોર્મેશનનો યુગ શરૂ થયો હતો. મુસાફરોની સંખ્યામાં સતત વધારો થતાં સ્ટેશનોને આધુનિક બનાવવાની, વધુ સુવિધાઓ ઉભી કરવાની અને વધુને વધુ ટ્રેનો ઉપલબ્ધ કરાવવાની દિશામાં મોટા પાયે કામગીરી શરૂ કરવામાં આવી હતી. આજે દેશના હજારો સ્ટેશનોને આધુનિક બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.
મુસાફરોની સુવિધામાં વધારો કરવા માટે વંદે ભારત, અમૃત ભારત અને નમો ભારત રેપિડ રેલ જેવી અત્યાધુનિક ટ્રેનો શરૂ કરવામાં આવી છે. આ ટ્રેનો ખાસ કરીને રોજિંદા અપડાઉન કરતા નોકરીયાત વર્ગ, વેપારીઓ, ઉદ્યોગકારો અને સામાન્ય મુસાફરોને ઝડપી અને આરામદાયક મુસાફરી પૂરી પાડે છે. એક સમય એવો હતો જ્યારે સામાન્ય મુસાફરોને ગરમી અને ભીડ વચ્ચે ઊભા રહીને લાંબી મુસાફરી કરવી પડતી હતી, પરંતુ આજે સામાન્ય વર્ગના લોકો પણ એસી કોચ અને આધુનિક સુવિધાઓ સાથેની ટ્રેનોમાં મુસાફરીનો લાભ લઈ રહ્યા છે.
વિનીત અભિષેકે જણાવ્યું હતું કે ટેક્નોલોજીના ઉપયોગથી મુસાફરોની ફરિયાદોના નિરાકરણમાં પણ ક્રાંતિ આવી છે. અગાઉ કોઈ ફરિયાદ હોય તો મુસાફરે સ્ટેશન પર જઈને લેખિત રજૂઆત કરવી પડતી હતી, જ્યારે હવે મોબાઇલ એપ્લિકેશન અને ઓનલાઈન સિસ્ટમ દ્વારા કરવામાં આવેલી ફરિયાદોનું સરેરાશ 15 થી 20 મિનિટમાં નિરાકરણ કરવામાં આવે છે. મુસાફરોને તાત્કાલિક મદદ મળી રહે તે માટે વિશેષ મોનિટરિંગ સિસ્ટમ કાર્યરત છે.
રેલવે દ્વારા સ્વચ્છતા અને સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવામાં આવી રહી હોવાનું જણાવતાં તેમણે કહ્યું કે સ્ટેશનો અને ટ્રેનોની સફાઈ પર સતત દેખરેખ રાખવામાં આવે છે. મુસાફરોને સ્વચ્છ અને અનુકૂળ વાતાવરણ મળી રહે તે માટે નિયમિત ચેકિંગ અને મોનિટરિંગ કરવામાં આવે છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે હાલમાં પશ્ચિમ રેલવે ત્રણ મુખ્ય મુદ્દાઓ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. જેમાં પ્રથમ સુરક્ષા (Safety), બીજું મુસાફરોની સુવિધા અને ત્રીજું સ્ટેશનો પર વિશ્વસ્તરીય સુવિધાઓનો વિકાસ સામેલ છે. આ ત્રણેય મુદ્દાઓને ધ્યાનમાં રાખીને આગામી દાયકાઓને ધ્યાનમાં રાખી રેલવેનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિઝન મુજબ અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ દેશભરના એક હજાર જેટલા સ્ટેશનોને રી-ડેવલપ કરવામાં આવી રહ્યા છે. આ સ્ટેશનો માત્ર મુસાફરીના કેન્દ્ર નહીં રહે, પરંતુ શહેરની ઓળખ સમાન આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર તરીકે વિકસાવવામાં આવશે. તેમાં આધુનિક વેઇટિંગ એરિયા, ફૂડ કોર્ટ, ડિજિટલ સુવિધાઓ, એસ્કેલેટર, લિફ્ટ, દિવ્યાંગજનો માટે વિશેષ સુવિધાઓ અને અત્યાધુનિક ડિઝાઇનનો સમાવેશ કરવામાં આવ્યો છે.
વિનીત અભિષેકે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે કેન્દ્ર સરકાર અને રેલવે તંત્ર દ્વારા હાથ ધરાયેલા આ વિકાસકાર્યો આગામી 50 વર્ષ સુધી દેશના રેલવે નેટવર્કને મજબૂત આધાર આપશે. મુસાફરોને વધુ સુરક્ષિત, ઝડપી અને આરામદાયક મુસાફરી ઉપલબ્ધ કરાવવા માટે રેલવે સતત નવી ટેક્નોલોજી અને આધુનિક સુવિધાઓ અપનાવી રહી છે.
અમૃત ભારત યોજના હેઠળ ગુજરાતના 15 સ્ટેશનો તૈયાર, ભક્તિનગર સ્ટેશન બન્યું મોડેલ સ્ટેશન
ગુજરાતમાં અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ 17 સ્ટેશનોના રી-ડેવલપમેન્ટની કામગીરી હાથ ધરવામાં આવી હતી. તેમાંના 15 સ્ટેશનોનું કામ પૂર્ણ થઈ ચૂક્યું છે. ખાસ કરીને દિવ્યાંગજનો માટે સ્ટેશનના પ્રવેશદ્વારથી લઈને ટ્રેનમાં ચઢવા સુધીની તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. રેમ્પ, ટચ પાથ, લિફ્ટ અને અન્ય આધુનિક સુવિધાઓ સાથે સ્ટેશનોને સર્વસમાવેશક બનાવવામાં આવ્યા છે. તાજેતરમાં જ ભક્તિનગર રેલવે સ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવ્યું છે, જે અમૃત ભારત યોજના હેઠળ વિકસિત થયેલા આધુનિક સ્ટેશનોમાંનું એક મહત્વપૂર્ણ સ્ટેશન છે.
રાજકોટ જંક્શનનું થશે મેગા મેકઓવર, રૂખડિયા તરફ બનશે નવું પ્રવેશદ્વાર
રાજકોટ જંક્શન રેલવે સ્ટેશન આગામી સમયમાં સંપૂર્ણપણે નવા સ્વરૂપમાં જોવા મળશે. હાલમાં સ્ટેશન પર એક જ મુખ્ય પ્રવેશદ્વાર છે, પરંતુ રી-ડેવલપમેન્ટ પ્રોજેક્ટ હેઠળ રૂખડિયા ફાટક તરફ નવું પ્રવેશદ્વાર, કર્મચારીઓ માટે આધુનિક બિલ્ડિંગ અને અન્ય સુવિધાઓ વિકસાવવામાં આવશે. પ્રોજેક્ટની અંદાજે 40 ટકા કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે. પ્લેટફોર્મ નંબર-1થી 7ને જોડતો વિશાળ ફૂટ ઓવરબ્રિજ તૈયાર થશે. ઉપરાંત રૂખડિયા તરફ અંડરપાસ અને વૃદ્ધ તથા દિવ્યાંગ મુસાફરો માટે બંને બાજુ નવા એસ્કેલેટર પણ મૂકવામાં આવશે. સમગ્ર પ્રોજેક્ટ પૂર્ણ થતાં રાજકોટ સ્ટેશનની કાયાપલટ થઈ જશે.
સરખેજ-ધોલેરા વચ્ચે દોડશે સેમી હાઈસ્પીડ ટ્રેન, પશ્ચિમ રેલવેનો અનોખો પ્રોજેક્ટ
પશ્ચિમ રેલવે દ્વારા વિશ્વમાં અનોખો કહી શકાય એવો સેમી હાઈસ્પીડ ટ્રેન પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે. સરખેજથી ધોલેરા વચ્ચે સેમી હાઈસ્પીડ ટ્રેન દોડાવવાની મંજૂરી મળી ગઈ છે. ખાસ વાત એ છે કે આ ટ્રેન હાલના અસ્તિત્વમાં રહેલા રેલવે ટ્રેક પર જ દોડાવવામાં આવશે. આગામી દિવસોમાં તેની ટ્રાયલ હાથ ધરવામાં આવશે. પ્રોજેક્ટ સફળ થતાં ગુજરાતમાં ઝડપી અને આધુનિક રેલ પરિવહનને નવી દિશા મળશે.
અમદાવાદ સુધી આવતી 6 લાંબા અંતરની ટ્રેનોને રાજકોટ સુધી લંબાવવાની તૈયારીને આખરી ઓપ
કેન્દ્ર સરકારે લાંબા અંતરની છ ટ્રેનોને અમદાવાદથી રાજકોટ સુધી લંબાવવાની મંજૂરી આપી દીધી છે. જોકે હજુ સુધી આ ટ્રેનો રાજકોટ સુધી શરૂ થઈ શકી નથી. આ અંગે વિનીત અભિષેકે જણાવ્યું હતું કે ટ્રેનોને રાજકોટ સુધી દોડાવવા માટે ટ્રેક ક્ષમતા, પ્લેટફોર્મ ઉપલબ્ધતા અને સમયપત્રકનું વિગતવાર પરીક્ષણ ચાલી રહ્યું છે. કોરિડોર અને ઓપરેશનલ ક્લિયરન્સ સહિતના ટેકનિકલ મુદ્દાઓની તપાસ પૂર્ણ થયા બાદ આ છ ટ્રેનોને રાજકોટ સુધી લંબાવવાનો માર્ગ મોકળો બનશે. મુસાફરોને આગામી સમયમાં આ નિર્ણયનો સીધો લાભ મળી શકે છે.
રેલવેના અધિકારી નહીં, પોડકાસ્ટર પણ છે વિનીત અભિષેક! હવે પશ્ચિમ રેલવેમાં શરૂ થશે અનોખું પોડકાસ્ટ પ્લેટફોર્મ
પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી (S.PRO) વિનીત અભિષેક માત્ર રેલવેના અધિકારી જ નહીં પરંતુ એક ઉત્સાહી પોડકાસ્ટર તરીકે પણ પોતાની આગવી ઓળખ ધરાવે છે. અગ્ર ગુજરાત સાથેની અનૌપચારિક અને ખુલ્લા મનની ચર્ચા દરમિયાન તેમણે પોતાના પોડકાસ્ટ પ્રત્યેના શોખ અને આ ક્ષેત્રમાં કરેલા અનોખા પ્રયોગો વિશે રસપ્રદ માહિતી આપી હતી.
વિનીત અભિષેકે જણાવ્યું હતું કે તેમને પોડકાસ્ટિંગનો અતિશય શોખ છે અને રેલવેની માનવીય કહાનીઓને લોકો સુધી પહોંચાડવા માટે તેમણે સૌપ્રથમ પોતાના કાર્યકાળ દરમિયાન વેસ્ટર્ન રેલવેમાં પોડકાસ્ટની શરૂઆત કરાવી હતી. આ પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય રેલવેના પડદા પાછળ કામ કરતા કર્મચારીઓના જીવન, સંઘર્ષ અને અનુભવોને લોકો સુધી પહોંચાડવાનો હતો. તેમણે જણાવ્યું હતું કે પોડકાસ્ટ શ્રેણી હેઠળ સ્ટેશન માસ્ટર, ટિકિટ ચેકર, ગેંગમેન, ટેક્નિકલ સ્ટાફ અને સ્ટેશન પર બૂટ પોલિશ કરીને જીવન ગુજારતા શ્રમિકો સુધીના અનેક લોકોના ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યા હતા. આ ઉપરાંત ટ્રેનમાં મુસાફરી કરતા સામાન્ય મુસાફરોના અભિપ્રાયો અને અનુભવોને પણ પોડકાસ્ટ મારફતે રજૂ કરવામાં આવ્યા હતા.
વિનીત અભિષેકના જણાવ્યા મુજબ રેલવે માત્ર ટ્રેન અને પાટા પૂરતી સીમિત નથી, પરંતુ તેની પાછળ હજારો લોકોની મહેનત અને અનેક પ્રેરણાદાયક કથાઓ જોડાયેલી છે. પોડકાસ્ટ દ્વારા આવા અજાણ્યા ચહેરાઓને ઓળખ અને સન્માન આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, જેને લોકો તરફથી સારો પ્રતિસાદ મળ્યો હતો. તેમણે વધુમાં જણાવ્યું હતું કે હવે પશ્ચિમ રેલવેમાં પણ આ પહેલને વધુ વ્યાપક સ્વરૂપ આપવામાં આવશે. આગામી દિવસોમાં પશ્ચિમ રેલવેનું સત્તાવાર પોડકાસ્ટ ચેનલ શરૂ કરવાની યોજના પર કામગીરી ચાલી રહી છે. આ પ્લેટફોર્મ પર રેલવે કર્મચારીઓ, અધિકારીઓ, મુસાફરો અને રેલવે સાથે સંકળાયેલી પ્રેરણાદાયક ઘટનાઓને સ્થાન આપવામાં આવશે. વિનીત અભિષેકે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે ડિજિટલ યુગમાં પોડકાસ્ટ લોકો સુધી પહોંચવાનું એક અસરકારક માધ્યમ બની રહ્યું છે અને તેના માધ્યમથી રેલવેની સકારાત્મક કામગીરી તથા માનવીય પાસાઓને વધુ વ્યાપક રીતે રજૂ કરી શકાશે.


