કરંસી ક્રાઈસિસ સામે ભારતનું આર્થિક બ્રહ્માસ્ત્ર
રૂપિયાને ટેકો આપવા સરકાર-RBI ની ડબલ સ્ટ્રાઈક
વ્યાજ આવક અને કેપિટલ ગેઈન ટેક્સમાં મોટી રાહતો; બોન્ડ માર્કેટથી લઈને NRI રોકાણ સુધી અનેક છૂટછાટો, વિદેશી હુંડિયામણ 50 અબજ ડોલર આવવાની આશા
અગ્ર ગુજરાત, મુંબઈ
મધ્ય પૂર્વમાં અમેરિકા-ઈરાન વચ્ચે વધતા યુદ્ધી તણાવ અને વૈશ્વિક આર્થિક અનિશ્ચિતતાના માહોલ વચ્ચે ભારતીય અર્થતંત્રને સંભવિત આંચકાથી બચાવવા માટે કેન્દ્ર સરકાર અને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ એકસાથે આક્રમક પગલાં લીધા છે. રૂપિયાની કિંમત પર વધતા દબાણને હળવું કરવા અને વિદેશી હુંડિયામણના પ્રવાહને મજબૂત બનાવવા માટે સરકારે વિદેશી રોકાણકારોને અનેક કરરાહતો આપતા દેશના નાણાકીય બજારમાં નવી ઉર્જા ફૂંકવાનો પ્રયાસ કર્યો છે. નિષ્ણાંતોના મતે આ પગલાંઓના પરિણામે આગામી મહિનાઓમાં અંદાજે 40થી 50 અબજ ડોલર સુધીની વિદેશી મૂડી ભારતમાં પ્રવેશી શકે છે.
વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FII/FPI) માટે વ્યાજ આવક પર લાગતો આવકવેરો સંપૂર્ણપણે દૂર કરવામાં આવ્યો છે. ઉપરાંત સરકારી જામીનગીરીઓમાં રોકાણ પર લાગતા કેપિટલ ગેઈન ટેક્સમાંથી પણ રાહત આપવામાં આવી છે. અત્યાર સુધી વ્યાજ આવક પર 20 ટકા ટેક્સ તેમજ ટૂંકા ગાળાના નફા પર 30 ટકા અને લાંબા ગાળાના નફા પર 12.5 ટકા સુધીનો કર લાગતો હતો. આ કરબોજ દૂર થતાં ભારતીય બોન્ડ બજાર હવે વૈશ્વિક રોકાણકારો માટે વધુ આકર્ષક બનશે.
રિઝર્વ બેંકે પણ વિદેશી મૂડી આકર્ષવા માટે મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. અગાઉ વિદેશી રોકાણકારોને માત્ર 10 વર્ષની મુદતના સરકારી બોન્ડમાં વિશેષ સુવિધા મળતી હતી, જ્યારે હવે 15, 30 અને 40 વર્ષની અવધિના બોન્ડમાં પણ રોકાણની છૂટ આપવામાં આવી છે. આ નિર્ણયથી લાંબા ગાળાના વૈશ્વિક ફંડ્સ અને પેન્શન ફંડ્સ ભારત તરફ આકર્ષાય તેવી શક્યતા વધી છે. આ ઉપરાંત બિનનિવાસી ભારતીયો (NRI) અને વિદેશમાં વસતા ભારતીય નાગરિકો માટે ભારતીય શેરબજાર તથા અન્ય નાણાકીય સાધનોમાં રોકાણની મર્યાદા વધારવામાં આવી છે. વિદેશી ચલણની અદલાબદલી સંબંધિત નિયમોમાં પણ સરળતા લાવવામાં આવી છે. નિકાસકારોને તેમની વિદેશી આવક દેશમાં લાવવા માટેનો સમયગાળો ફરી નવ મહિના કરવામાં આવ્યો છે, જેના કારણે ડોલરની ઉપલબ્ધિમાં વધારો થશે.
તાજેતરમાં ઈરાન સંકટ અને હોર્મુઝ જળમાર્ગ અંગેની ચિંતાઓને કારણે વૈશ્વિક બજારમાં ક્રૂડ તેલના ભાવમાં ઉછાળો આવ્યો હતો. સાથે જ વિદેશી રોકાણકારો દ્વારા નાણાં ઉપાડી લેવાના કારણે રૂપિયો દબાણમાં આવ્યો હતો. આવી સ્થિતિમાં સરકારે અને આરબીઆઈએ મળીને ચલણ બજારમાં વિશ્વાસ વધારવા માટે આ નીતિગત બાઝુકા ચલાવ્યા છે. આર્થિક નિષ્ણાંતોનું માનવું છે કે જો ક્રૂડ ઓઈલનો ભાવ બેરલ દીઠ 90 ડોલરની આસપાસ સ્થિર રહે અને ચાલુ ખાતાની ખાધ જીડીપીના 2.1 ટકા સુધી મર્યાદિત રહે તો વર્તમાન નાણાકીય વર્ષમાં બેલેન્સ ઓફ પેમેન્ટ પર પડનાર દબાણમાં નોંધપાત્ર ઘટાડો થઈ શકે છે. વર્ષ 2013માં પણ સમાન પ્રકારના પગલાંથી લગભગ 12 અબજ ડોલરની વિદેશી મૂડી ભારતમાં આવી હતી, પરંતુ આ વખતે આપવામાં આવેલી રાહતો વધુ વ્યાપક અને આકર્ષક હોવાથી વિદેશી રોકાણનો પ્રવાહ વધુ મોટો રહેવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
સરકાર અને રિઝર્વ બેંકની આ સંયુક્ત વ્યૂહરચના માત્ર રૂપિયાને ટેકો આપવા પૂરતી મર્યાદિત નથી, પરંતુ વૈશ્વિક અનિશ્ચિતતા વચ્ચે ભારતીય અર્થતંત્રને સ્થિરતા અને રોકાણ માટે વિશ્વસનીય ગંતવ્ય તરીકે મજબૂત બનાવવાનો પ્રયાસ પણ છે.
શું છે સરકારનો ‘કરંસી બાઝુકા’?
* વિદેશી રોકાણકારોને ટેક્સમાં મોટી રાહતો
* વ્યાજ આવક પર ટેક્સ નાબૂદ
* સરકારી બોન્ડ પર કેપિટલ ગેઈન ટેક્સમાં છૂટ
* એનઆરઆઈ રોકાણ મર્યાદામાં વધારો
રૂપિયો શા માટે દબાણમાં આવ્યો?
* અમેરિકા-ઈરાન યુદ્ધી તણાવ
* હોર્મુઝ જળમાર્ગ અંગે અનિશ્ચિતતા
* ક્રૂડ ઓઈલના ભાવમાં તેજી
* વિદેશી રોકાણકારો દ્વારા નાણાં ઉપાડાયા
વિદેશી રોકાણકારોને શું મળશે?
* વ્યાજ આવક પર શૂન્ય ટેક્સ
* લાંબા ગાળાના બોન્ડમાં વધુ વિકલ્પ
* સરળ નિયમનકારી પ્રક્રિયા
* રોકાણ પર વધુ વળતરની સંભાવના
50 અબજ ડોલરની આશા કેમ?
* બોન્ડ માર્કેટ વધુ આકર્ષક બન્યું
* ટેક્સ બોજ લગભગ દૂર
* વૈશ્વિક ફંડ્સ માટે અનુકૂળ માહોલ
* ભારતની આર્થિક વૃદ્ધિ મજબૂત
આરબીઆઈના મુખ્ય પગલાં
* 15, 30 અને 40 વર્ષના બોન્ડમાં રોકાણ છૂટ
* ડોલર પ્રવાહ વધારવાના પ્રયાસ
* રૂપિયાને સ્થિર રાખવાની વ્યૂહરચના
* ચલણ બજારમાં વિશ્વાસ વધારવો
નિકાસકારોને મોટો ફાયદો
* નિકાસી આવક લાવવાનો સમય ફરી 9 મહિના
* ડોલરની ઉપલબ્ધિ વધશે
* વિદેશી ચલણ ભંડારને ટેકો
* વેપાર પ્રવાહમાં સરળતા
નિષ્ણાંતો શું કહે છે?
* બેલેન્સ ઓફ પેમેન્ટનું જોખમ ઘટશે
* રૂપિયામાં સ્થિરતા આવશે
* વિદેશી હુંડિયામણ વધશે
* વૈશ્વિક અસ્થિરતા ઓછી થાય તો રોકાણ વધુ ઝડપથી આવશે
* ભારતીય અર્થતંત્રને લાંબા ગાળે મજબૂતી મળશે


