વલભીપુર તાલુકા પંચાયતના કર્મચારીઓ માટે બાયોમેટ્રિક હાજરી ફરજિયાત
દર મંગળવારે ‘જન સુનાવણી’ દ્વારા અરજદારોના પ્રશ્નોનું સ્થળ પર નિરાકરણ: અપક્ષ પેનલનું કડક વલણ
અગ્ર ગુજરાત, વલભીપુર
વલભીપુર તાલુકા પંચાયતમાં સત્તાનું સુકાન સંભાળનાર નવી અપક્ષ પેનલે પ્રથમ દિવસથી જ વહીવટી તંત્રમાં સુધારા માટે કડક વલણ અપનાવ્યું છે. પંચાયતના કર્મચારીઓની સમયબદ્ધતા અને શિસ્ત જાળવી રાખવા માટે હવે તમામ કર્મીઓ માટે ડિજિટલ થમ્બ વેરિફિકેશન (બાયોમેટ્રિક હાજરી) ફરજિયાત બનાવવામાં આવી છે. આ નિર્ણયથી ઓફિસમાં મોડા આવતા કે ગેરહાજર રહેતા કર્મચારીઓ પર લગામ આવશે.
સત્તાધારી પક્ષ દ્વારા સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે દરેક વિભાગમાં અરજદારોના કામો કોઈ પણ વિલંબ વગર ત્વરિત પૂરા કરવાના રહેશે. સાથે જ ચેતવણી ઉચ્ચારવામાં આવી છે કે, જો કોઈ પણ વિભાગમાંથી કામમાં ભ્રષ્ટાચાર કે લાંચ-રુશ્વતની ફરિયાદ મળશે, તો તેવા જવાબદાર કર્મચારીઓ સામે ત્વરિત અને કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.
સ્થાનિક લોકોના પ્રશ્નોને વાચા આપવા માટે બ્રિજરાજસિંહ ગોહિલ પ્રેરિત પેનલે ‘સેવા સંગઠન’ કાર્યાલય ખાતે દર મંગળવારે ‘જન સુનાવણી’ કાર્યક્રમ યોજવાનો નિર્ણય કર્યો છે. આ કાર્યક્રમમાં તાલુકાના નાગરિકો સીધા જ પોતાના પડતર પ્રશ્નો રજૂ કરી શકશે. એટલું જ નહીં, રજૂ થયેલા પ્રશ્નોના ઝડપી અને યોગ્ય નિકાલ માટે સ્થળ પરથી જ સંબંધિત અધિકારીઓને સૂચના આપીને ઉકેલ લાવવાનો પ્રયાસ કરવામાં આવશે. વલભીપુર તાલુકા અને જિલ્લા પંચાયતની બેઠકો પર મળેલી ભવ્ય જીત બાદ, સત્તાધીશો દ્વારા લેવાયેલા આ નિર્ણયોથી સ્થાનિકોમાં વહીવટી સુધારાની આશા જાગી છે.


