લાખો વાહન ચાલકોની હાડમારીનો અંત
સાંઢિયા પુલનું શનિવારે નાયબ મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ
આજે ફરીથી ઓવરબ્રિજની મુલાકાત લેતા મનપાના પદાધિકારીઓ-અધિકારીઓ, કામગીરીની સમીક્ષા કરી
સવારે ૧૦ વાગ્યે બ્રિજને ખુલ્લો મૂકાશે : મહાનગરપાલિકાની જાહેરાત
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ શહેર અને જામનગર તરફથી આવતા-જતા વાહનચાલકો માટે લાંબા સમયના પ્રતીક્ષાના અંતે ખૂબ જ સારા અને રાહતના સમાચાર સામે આવ્યા છે. છેલ્લા બે વર્ષથી જેની આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી હતી તે નવનિર્મિત ફોરલેન સાંઢીયા પુલની મોટાભાગની ક્ષતિઓ દૂર કરવામાં આવી છે. આજે આ કામગીરીની મુલાકાતે મેયર સહિતના પદાધિકારીઓ અને મ્યુ. કમિશ્નર સહિત તમામ અધિકારીઓએ લીધી હતી. આ બ્રિજ તા.૧3ને શનિવારના રોજ સવારે ૧૦ વાગ્યે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે ખુલ્લો મૂકવામાં આવશે તેવી જાહેરાત મનપા દ્વારા કરવામાં આવી છે.
પ્રાપ્ત વિગત મુજબ ગત 29 મેનાં રોજ મેયર સહિતના પદાધિકારીઓએ સાંઢીયા પુલની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન નવનિર્મિત બ્રિજની કામગીરીમાં વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા નહીં હોવા સહિત કેટલીક ગંભીર ખામીઓ સામે આવી હતી. કરોડોના ખર્ચે બનેલા આ મહત્વકાંક્ષી પ્રોજેક્ટમાં ટેકનિકલ – ફિનિશિંગ સ્તરની ખામીઓ જોઈને મેયર ભારે નારાજ થયા હતા અને ઘટનાસ્થળે જવાબદાર અધિકારીઓની સાથે સાથે કોન્ટ્રાક્ટરનો કડક શબ્દોમાં ઉધડો લીધો હતો. એટલું જ નહીં વાહનચાલકોની સુરક્ષા સાથે કોઈ બાંધછોડ થાય નહીં તે હેતુથી તમામ ખામીઓને તાત્કાલિક ધોરણે દૂર કરવા માટે કડક આદેશો આપ્યા હતા.
અધિકારીઓએ પદાધિકારીઓના આદેશને પગલે તમામ ખામીઓ સુધારી લીધી હોવાનો અહેવાલ આપતા આજે ફરી એકવાર મેયર સહિતના પદાધિકારીઓ અને કમિશ્નર સહિતના અધિકારી દ્વારા ઓવરબ્રીજનું ફરી નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. મેયર અને મ્યુ. કમિશ્નર સહિતના તમામે ઓવરબ્રીજ ઉપર પગપાળા ચાલીને ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું. ખાસ પાણીના નિકાલની વ્યવસ્થાની સમીક્ષા કરી હતી. આ તકે હવે પછીના પ્રોજેકટમાં પાણી નિકાલ માટે વધારે મોટી સાઈઝનાં પાઇપ લગાવવા માટે સૂચના પણ મેયરે અધિકારીઓને આપી હતી.
આખા બ્રીજનું પગપાળા નિરીક્ષણ કર્યા બાદ મેયર ડો. નેહલ શુક્લએ જણાવ્યું કે, અમે પદભાર સંભાળ્યાના બીજા જ દિવસે આ બ્રિજની મુલાકાત લીધી હતી અને જે નાની-મોટી ત્રુટીઓ દેખાતી હતી તે તાત્કાલિક દૂર કરવા સૂચના આપી હતી. ગઈકાલે જ તંત્ર દ્વારા અમને તમામ સૂચનો મુજબ કામગીરી પૂર્ણ થઈ ગઈ હોવાની માહિતી મળતા આજે અમે ફરી આરએમસી કમિશનર અને અન્ય પદાધિકારીઓ સાથે અહીં આવ્યા છીએ. અત્યારે મોટાભાગની કામગીરી સંતોષકારક જણાઈ રહી હોવાથી આગામી શનિવારે ડે.સીએમના હસ્તે લોકાર્પણ કરવામાં આવશે.
આ પ્રોજેક્ટ પૂર્ણ કરવા માટે 18 મહિનાનો સમયગાળો નિર્ધારિત કરવામાં આવ્યો હતો. રાજકોટ મનપા દ્વારા કામગીરી નિર્ધારિત સમયમાં પૂર્ણ કરવા માટે પહેલાથી જ પ્રયાસો કરવામાં આવી રહ્યા હતા. આ માટે ભોમેશ્વર પાસેથી ડાઈવર્ઝન કાઢવામાં આવ્યું હતું. ત્યાંથી ચાલતા વાહનવ્યવહારમાં લોકોને ખૂબ મુશ્કેલીઓ પડતી હતી. જોકે સાંઢિયા પુલમાં તમામ 120 ગર્ડર સફળતાપૂર્વક મુકાઈ ગયા છે. ઉપરાંત, પુલ પર અન્ય સ્લેબ ભરવાની પ્રક્રિયા તેમજ સર્વિસ રોડ સહિતની તમામ કામગીરી પૂર્ણ કરી લેવામાં આવી છે. આજે પદાધિકારીઓ દ્વારા ફાઇનલ વિઝીટ પણ કરી લેવામાં આવી છે.


